ગુજરાતના જાફરાબાદને ભારતનું પહેલું FSRU જહાજ મળ્યું છે, આ જહાજ મેળવનાર કંપની જાફરાબાદમાં જ બંદરનું પણ નિર્માણ કરી રહી છે. ભારત નેચરલ ગેસ મુદ્દે વધુને વધુ આગળ વધી રહ્યું છે ત્યારે આ જહાર આવવું એ LNG પ્રોજેક્ટ માટે એક ખાસ ઉપલબ્ધી સાબિત થશે.
સ્વાન એનર્જી લિમિટેડ કંપનીએ ભારતની પહેલી FSRU જહાજ પ્રાપ્ત કર્યું
નેચરલ ગેસના સંગ્રહ અને રિગેસિફીકેશનમાં ઉપયોગમાં આવશે FSRU
આ જ કંપનીનો જાફરાબાદ 2021ના અંત સુધીમાં પોર્ટ બનાવવાનો પ્લાન
ગુજરાતની સ્વાન એનર્જી લિમિટેડ કંપનીએ ભારતની પહેલી FSRU જહાજ પ્રાપ્ત કરવાનું ગૌરવ મેળવ્યું છે. આ જહાજ ગુજરાતની કંપનીને મળવું એ જાફરાબાદમાં નિર્માણ પામી રહેલા LNG પોર્ટ પ્રોજેક્ટ માટે એક મોટી ઉપલબ્ધી છે.
FSRUનો અર્થ થાય છે કે Floating, Storage and Regasification Unit. વસંત-1 ભારતનો પહેલો FSRU છે જે 29મી સપ્ટેમ્બરના રોજ જાફરાબાદમાં તેની ડીલીવરી થઇ છે. જે કંપની આ FSRUની માલિકી ધરાવે છે તે સ્વાન એનર્જી લિમિટેડની ગૌણ કંપની છે.
પ્રાકૃતિક ગેસના ભંડારણ અને રિગેસિફીકેશન માટે આ FSRUનો ઉપયોગ કરવામાં આવશે. આ જહાજનું નિર્માણ હ્યુન્ડાઈ દ્વારા બનાવવામાં આવ્યું છે અને સાઉથ કોરિયામાં તે નિર્માણ પામ્યું છે. આ જહાજ બે રીતે ઉપયોગમાં લેવાઈ શકે છે જેમાં એક છે LNG કેરિયર અને બીજું FSRU.
નોંધનીય છે કે આ જ કંપની દ્વારા જાફરાબાદમાં એક પોર્ટનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ પોર્ટની ખાસિયત છે કે તે અમરેલીમાં બનતું આ પોર્ટ ભારતનું પહેલું FSRU અને LNG સમર્પિત પોર્ટ છે. આ પોર્ટના અમલીકરણ માટે કામ ચાલી રહ્યું છે અને વર્ષ 2021ના અંત સુધીમાં પોર્ટ બનાવવાનો પ્રોજેક્ટ પૂર્ણ થાય તેવી સંભાવના છે.
નોંધનીય છે કે ભારત દુનિયામાં LNGની આયાત કરનાર ચોથો મોટો દેશ છે. ભારતમાં સરકાર નેચરલ ગેસના ઉપયોગ માટે સતત પ્રોત્સાહન આપી રહી છે અને તે દિશામાં કામ કરી રહી છે, એવામાં નેચરલ ગેસની માંગને પહોંચી વળવા માટે LNG મહત્વની ભૂમિકામાં રહેશે.