પૂરતી સુવિધા પૂરી પાડ્યા વિના પૈસા ઊસેટી લેવાની લ્હાય એટલી જ ભયાનક છે જેટલી સુરતમાં એક ટ્યૂશન ક્લાસિસમાં લાગેલી આગ છે. ટ્યૂશન ક્લાસિસમાં સંચાલકોની અને મ્યુનિસિપલ તંત્રની બેદરકારીથી લાગેલી આગમાં 17 બાળકો ભુંજાઈ ગયા. ત્યારે હવે આ ઘટનાના પગલે અમદાવાદ, રાજકોટ અને વડોદરા તંત્ર જાગ્યું છે.
અમદાવાદમાં તમામ ક્લાસીસને બંધ કરવાનો આદેશ
સુરતમાં ટ્યુશન ક્લાસિસમાં આગ લાગતાં 15થી વધુ મોત થઈ ગયા છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ ટ્વીટ કરી અને અચોક્કસ મુદત સુધી ક્લાસિસને બંધ રાખવાનો આદેશ આપ્યો છે. ફાયર સેફ્ટીની તપાસ કરી આગામી આદેશ અપાશે. ત્યારબાદ જ ટ્યુશન ક્લાસિસ ચાલુ થશે.
વડોદરામાં ટ્યુશન ક્લાસીસ બંધ કરવાના આદેશ
બીજી બાજુ વડોદરામાં ટ્યુશન ક્લાસીસ બંધ રાખવાના મ્યુનિસિપલ કમિશનરે આદેશ આપ્યા છે. જે ક્લાસીસ પાસે ફાયર NOC નહીં હોય તેને ચાલવા દેવામાં નહીં આવે. વડોદરામાં અનેક જગ્યાએ સેફ્ટી વગર ટ્યુશન ક્લાસિસ ચાલી રહ્યા છે.
ગાંધીનગરમાં પણ ટ્યુશન ક્લાસિસ બંધ કરવાના આદેશ
અમદાવાદ, વડોદરા બાદ ગાંધીનગરમાં પણ તંત્ર દ્વારા ટ્યુશન ક્લાસીસ બંધ કરવાના આદેશ આપી દેવાયા છે.
રાજકોટમાં ફાયર વિભાગની કવાયત
જ્યારે રાજકોટ ફાયર વિભાગ દ્વારા પણ કવાયત હાથ ધરવામાં આવી છે. રાજકોટના ફાયર વિભાગે ટ્યુશન ક્લાસીસમાં તપાસ શરૂ કરી દીધી છે. ટ્યુશન ક્લાસીસમા ફાયર વિભાગે તપાસ શરૂ કરી છે. 3 ટીમો દ્ધારા અલગ અલગ જગ્યાએ તપાસ હાથ ધરી છે.