રાધારમણ સ્વામીએ મંદિરના નામે દાનમાં લીધેલી જમીન વડતાલ હેઠળ સમાવવાના બદલે ખાનગી માલિકી હસ્તક કબજામાં લઇને તેના પર દુકાનો અને તબેલા બનાવી દીધા હોવાના આક્ષેપ છે, જેનો કોર્ટ કેસ ચાલે છે.
ચલણી નોટ છાપવાના માસ્ટર માઇન્ડ સહિત પાંચની ધરપકડ
સુરત ક્રાઇમ બ્રાંચની ટીમે ખેડા જિલ્લાના અંબાવ ગામના સ્વામિનારાયણ મંદિર પરિસરમાં રાધારમણ સ્વામીની રૂમમાંથી બે હજારના દરની ડુપ્લીકેટ ચલણી નોટ છાપવાનું કારખાનું ઝડપી પાડી રાધારમણ સ્વામી ઉપરાંત ચલણી નોટ છાપવાના માસ્ટર માઇન્ડ સહિત પાંચ જણાની ધરપકડ કરી છે.
ક્રાઇમ બ્રાંચ સહિત પોલીસની ટીમે રાધારમણ સ્વામીની ઊંડાણપૂર્વક તેમજ તેમની સંપિત્તના મામલે પણ તપાસ શરૂ કરી છે, જેમાં સામે આવ્યું છે કે રાધારમણ સ્વામીએ કરોડો રૂપિયાની જમીન પચાવી પાડી છે.
કોર્ટમાં પણ ચાલી રહ્યો છે એક કેસ
સૂત્રોના જણાવ્યા અનુસાર રાધારમણ સ્વામીના શિષ્ય પ્રેમનંદન સ્વામી તે જ જમીનમાં ખેતી અને ગાય રાખીને દૂધનું વેચાણ પણ કરતા હતા, જેના કારણે ગામલોકો, હરિભક્તો અને જેની જમીન છે તેના માલિકમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. આ અંગે કોર્ટમાં કેસ ચાલતો હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
તપાસ એજન્સીએ આરોપીઓની કરી પૂછપરછ
આ મામલામાં સોમવારે તપાસ માટે સેન્ટ્રલ આઈબી અને સ્ટેટ આઈબી સહિતની એજન્સીઓ સુરત ક્રાઇમ બ્રાંચની ઓફિસે આવી હતી. રાધારમણ સ્વામી, માસ્ટર માઇન્ડ પ્રવીણ ચોપડા સહિત પાંચેયની લગભગ 3 થી 4 કલાક સુધી એજન્સીઓએ પૂછપરછ કરી હતી, જેમાં ડુપ્લીકેટ નોટો ક્યાં ક્યાં સપ્લાય કરી તે અંગેની સઘન પૂછપરછ કરી હતી. તેમના ઉપરાંત આ કેસમાં અન્ય કોઇની પણ સંડોવણી છે કે નહીં તે અંગે પણ તપાસ કરી હતી.