`જળ એ જીવન છે' આવાં સૂત્રો આપણે દિવાલો પર વાંચીએ છીએ અને વ્યવહારમાં બોલીએ છીએ. પરંતુ કેટલાંક એવાં વિરલા પણ હોય છે કે જેઓ આ સૂત્રને આત્મસાત કરી જાણે છે. આવાં વિરલાઓ આ સૂત્રને ચરિતાર્થ કરી જાણે છે.
આ વાતને આગળ વધારતા આજે આપણે વાત કરવી છે એવાં જળસંચયનાં ભગીરથ કાર્યની કે જેને સાકાર કરવા સુરતનાં એક ઉદ્યોગપતિએ રાત દિવસ એક કર્યા. ગામનાં નદીનાળા જોડીને ખરા અર્થમાં તેમણે વતનનું ઋણ અદા કર્યુ છે.
કામે વળગાડેલી આ જેસીબી મશીનરી અને રાત દિવસથી શ્રમયજ્ઞ કરી રહેલાં આ મહેનતકશ આગેવાનો કે જે મોટી આશા સાથે નાળાં અને તળાવ ઉંડા કરે છે. દુષ્કાળને દેશવટો આપવા અને જળને આવકારવા છેલ્લાં દોઢેક માસથી અમરેલી જિલ્લાનાં લીલીયા તાલુકાનાં ઈંગોરાળાડાંડ ગામમાં આ શ્રમયજ્ઞ ચાલી રહ્યો છે અને આ ભગીરથ કાર્યની પહેલ આ ગામનાં જ પનોતા પુત્ર અને સુરતનાં ઉદ્યોગપતિ ધીરુભાઈ ઉકાણીએ કરી છે.
ઈંગોરાળાનાં વતની ધીરુભાઈ ઉકાણીએ પોતાનાં વતનમાં અનોખી ટહેલ નાખી છે. તેમણે વતન ઋણ અદા કરવા ગામ આસપાસ 12 જેટલાં 20થી 30 ફૂટ ઊંડા તળાવો બનાવવાની સ્વખર્ચે જળ સંચયની કામગીરી હાથ ધરી છે.
પહેલાં ગામની આસપાસ રહેલાં નદી-નાળાંવાટે ચોમાસામાં પાણી વ્યર્થ વહી જતું હતું. પરંતુ હવે ગામમાં અનેક જગ્યાએ 20થી 30 ફૂટ ઊંડા તળાવ બનાવવામાં આવતાં નદી નાળાં અને વોકળાઓનું પાણીનો તેમાં સંગ્રહ થશે.
ધીરુભાઈએ સ્વ-ખર્ચે વતનનાં હિત માટે એક હિટાચી મશીન તેમજ 5થી વધુ ટ્રેક્ટર અને જેસેબીની મદદ લઈ દિવસ રાત જોયાં વિના નાના-મોટાં તળાવો બનાવાનું કામ શરૂ કરાવ્યું હતું. આ કામ હવે પૂર્ણતાને આરે છે. 12 જેટલાં તળાવો 20થી 30 ફૂટ ઊંડા ઉતરી જતાં આવનારા સમયમાં હવે પાણીની સમસ્યાથી આ પંથકનાં લોકોને કાયમી છુટકારો મળી જશે.
દર વર્ષે ચોમાસા દરમ્યાન કરોડો ગેલન પાણી પાણી પૃથ્વી પર પડે છે. પરંતુ જળસંચય અંગેની ચોક્કસ વ્યવસ્થાનાં અભાવે મોટા ભાગનું પાણી દરિયામાં વહી જાય છે. ત્યારે જળ સંચય માટે કરવામાં આવેલું આ કામ ખરેખર પાણી પહેલાં પાળ બાંધ્યાની વાત કહી જાય છે.
ગ્રામજનોને લાગે છે કે આગામી ચોમાસામાં વરસાદ પડતાં ઈંગોરાળા ગામનાં આ તળાવો છલકાઈ જશે અને પાણીનાં તળ ઊંચા આવશે. જેનો લાભ ખેડૂતોને અને ખેતી પર નભતા શ્રમજીવીઓને તો થશે જ પરંતુ રોજગારી માટે વતન છોડી ગયેલાં ગામ લોકો પણ પરત આવવા મન બનાવશે તે વાતમાં સંદેહ નથી.