દિલ્હીના તબલીગી જમાત કાર્યક્રમમાં કોરોના વાયરસનાં સંક્રમણનો સૌથી મોટો કેસ સામે આવ્યો છે. એકથી વધુ લોકોને એકઠા થવા પર પ્રતિબંધ હોવા છતા સરકારના આદેશનું ઉલ્લંઘન કરી લોકો એકઠા થયા હતા. જેથી સરકારના આદેશના ઉલ્લંઘન બદલ મૌલાના સાદ અને જમાતના અન્ય લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મહામારી અધિનિયમ અને IPC અંતર્ગત ગુનો દાખલ કરી તપાસ શરૂ કરવામાં આવી છે. ત્યારે ગુજરાતના પણ અનેક લોકો અહીં ગયા હતા. આ અંગે ભાવનગરના રેન્જ આઈજી અને સુરત મ્યુનિસિપલ કમિશ્નનરે મોટો ખુલાસો કર્યો છે.
સુરતના 76 લોકો જમાતમાં ગયા હોવાનો મોટો ખુલાસો
સુરત મનપા કમિશનરે આપી જાણકારી
ભાવનગરના 13 અને બોટાદના 4 લોકો કાર્યક્રમમાં ગયા હતાઃ રેન્જ આઇજી
દિલ્હીના તબલીગી જમાત કાર્યક્રમમાં કોરોના વાયરસના સંક્રમણનો સૌથી મોટો કેસ સામે આવતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ જમાતમાં દેશનાં 11 રાજ્યોના લોકો સામેલ થયા હોવાનું સામે આવ્યું છે. જેમાં ગુજરાતનાં ભાવનગર અને બોટાદ બાદ સુરતના પણ કેટલાક લોકો દિલ્હી ગયા હોવાનો વધુ એક મોટો ખુલાસો થયો છે.
સુરત મનપા કમિશનરે માહિતી આપી છે કે, દિલ્હીના નિઝામુદ્દીન તબલીગી જમાતમાં સુરતના પણ 76 લોકો ગયા હતા. આ અંગે સુરત મનપાએ તમામ 76 લોકોની શોધ શરૂ કરી છે. આ તમામને શોધીને કોરોન્ટાઇન કરવામાં આવશે.
ભાવનગરના 13 અને બોટાદના 4 લોકો ગયા હતા કાર્યક્રમમાં, જેમાંથી 1નું મોત
આ અગાઉ ભાવનગર રેન્જ આઈજી અશોક યાદવે ખુલાસો કર્યો હતો કે ભાવનગરના 13 અને બોટાદના 4 લોકો કાર્યક્રમમા ભાગ લેવા ગયા હતા. જેમાંના 1નું કોરોનાથી મોત નિપજ્યું છે. ભાવનગરના 13, બોટાદના 4, ઘોઘાના 2, મહુવા 1 અને તળાજાના 1 આમ ટોટલ 17 વ્યક્તિઓ આ પ્રોગ્રામમાં હોવાનું ભાવનગર આઈ.જી અશોક યાદવે જણાવ્યું હતું. સાથે જ ગુજરાતમાં કોરોના વાયરસથી સંક્રમિત થયેલા લોકોને પકડવા માટે તપાસના આદેશ અપાયા છે. મહત્વનું છે કે, આ મામલે ભાવનગર રેન્જ આઈજીએ તપાસ માટે સીટની રચના કરી છે. આ ટીમમાં DySP, LCB અને SOG શહિતના અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
મોરબીથી 3 લોકો દિલ્હીના નિઝામુદ્દીન ગયા હતા
મોરબીથી ગયેલા ત્રણેય લોકોની ફોન ટ્રેસિંગના આધારે લીંક મળી હતી. આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું હતું. ત્રણેયને મેડિકલ ચેકઅપ માટે સિવિલ લવાયા છે.
તબલીગી જમાત શું છે?
ભારતમાં મોઘલ શાસનમાં કેટલાયે લોકોએ ઈસ્લામ ધર્મ અપનાવ્યો હતો. છતાં તેઓ હિંદૂ પરંપરા અને રીત-રિવાજ અપનાવી રહ્યાં હતા. ભારતમાં અંગ્રેજોના શાસન પછી આર્ય સમાજે તેમને ફરી હિંદુ બનાવવાનું અભિયાન આદર્યું છે. તો સામે મૌલાના ઈલિયાસ કાંધલવીએ ઈસ્લામના શિક્ષણનું કામ શરૂ કર્યું છે. આ માટે મૌલાનાએ 1926-27માં દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં તબલીગી જમાતની રચના કરી છે. ફરી હિંદુ ધર્મ અપનાવતા લોકોને ઈસ્લામમાં જ રાખવા એ આ જમાતનું મુખ્ય કામ હતું. તબલીગી જમાતનો મતલબ થાય છે અલ્લાહે કહેલી વાતોનો પ્રચાર કરવો. અલ્લાહે કહેલી વાતોનો પ્રચાર કરનારો સમૂહ એટલે તબલીગી જમાત.
જ્યારે મરકજનો મતલબ થાય છે કે તબલીગી જમાતને મળવાનું સ્થળ છે. તબલીગી જમાત સાથે જોડાયેલા લોકો પારંપરિક ઈસ્લામ ધર્મમાં માને છે. તબલીગી જમાતનું હેડક્વાટર દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં જ છે. તબલીગી જમાતનું કામ આજે દુનિયાભરના 213 દેશોમાં ચાલી રહ્યું છે. મરકજમાંથી જ અલગ અલગ જગ્યાએ જવા માટે જમાત નીકળે છે. 3 દિવસ, 5 દિવસ, 10 દિવસ અને 40 દિવસની પણ જમાત હોય છે. એક જમાતમાં 8થી 10 લોકો હોય છે, જેમાંથી 2 લોકો જમવાનું બનાવે છે. જમાતના લોકો સવારે-સાંજે શહેરોમાં નિકળે છે અને લોકોને નજીકની મસ્જિદમાં પહોંચવાનું કહે છે. મસ્જિદમાં લોકો પહોંચે એટલે તેમને રોજા રાખવા અને નમાજ પઢવાનું કહેવાય છે.