કોંગ્રેસના વિરજી ઠુમ્મર, જીગ્નેશ મેવાણી, પૂંજાભાઈ વંશે સરકારના વર્ષ 2022-23 બજેટની ઝાટકણી કાઢી છે
ગુજરાતનુ વર્ષ 2022-23નુ બજેટ રજૂ
બજેટમાં રૂપિયા 668 કરોડની પુરાંત
બજેટ બાદ વિજય રૂપાણી,નીતિન પટેલની પ્રતિક્રિયા
ગુજરાતનું 2022-23નું બજેટ નાણામંત્રી કનુ દેસાઇએ વિધાનસભામાં રજૂ કર્યું છે. આ બજેટ અત્યાર સુધી રજૂ થયેલા બજેટ કરતાં સૌથી વધારે કદનું છે. 2 લાખ 43 કરોડ 965 કરોડના વર્ષ 2022-23નું આ બજેટ રૂપિયા 668 કરોડની પુરાંતવાળું છે. જો આંકડાકીય માહિતી પર નજર કરીએ તો સરકારનો 1 લાખ 82 હજાર 45 કરોડની મહેસુલી આવકનો અંદાજ છે. જ્યારે રૂપિયા 1 લાખ 81 હજાર 39 કરોડનો મહેસુલી ખર્ચનો અંદાજ રાખવામાં આવ્યો છે. નાણાકિય વર્ષમાં સરકારને રૂપિયા 51 હજાર 271 કરોડની મુડી આવક થશે અને તો સામે લોન અને મુડી ખર્ચ પેટે સરકારે રૂપિયા 59 હજાર 394ની ફાળવણી કરી દીધી છે.ગત વર્ષે 2,27,029 રૂપિયાનું અંદાજપત્ર રજૂ કર્યું હતું જેની સરખામણી કરીએ તો ગત વર્ષ કરતા 16,936 કરોડનો વધારો સૂચવ્યો છે
ગુજરાતના નાણા મંત્રી કનુ દેસાઈએ ગુજરાતનુ બજેટ રજુ કર્યુ છે. બજેટ બાદ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પૂર્વ ઉપમુખ્યમંત્રી નિતીન પટેલે પ્રતિક્રિયા આપી બજેટને આવકાર્યુ હતુ. જેમાં વિજય રૂપાણીએ જણાવ્યુ હતુ કે, આ બજેટમાં મહિલા, હરીબ અને આદિવાસી પર વિશેષ ભાર મુકવામં આવ્યો છે. નિતીન પટેલે આ બજેટને સર્વ વિસ્તાર અને જ્ઞાતી-જાતિને સમાવતુ બજેટ ગણાવ્યુ છે.
ચૂંટણી લક્ષી બજેટ કહેવું ખોટું કહેવાશે: પૂર્વ CM વિજય રૂપાણી
પૂર્વ CM વિજય રૂપાણીએ બજેટ મુદ્દે નિવેદન આપતા કહ્યું છે કે ભૂપેન્દ્ર સરકારનું આ બજેટ સર્વાંગી, સર્વ સ્પર્શી અને વિકાસલક્ષી બજેટ છે. નવા કરવેરા વગરના બજેટની જનતાને મોટો લાભ થયો છે. પાણીના અભાવે લોકોને સમશ્યા ન થાય એનું ધ્યાન અપાયું તો ચણા ની સબસીડીમાં, વૃદ્ધોના પેંશનમાં વધારો કરવામાં આવ્યો છે. યોજનાઓની દ્રષ્ટીએ પણ બજેટ શ્રેષ્ઠ છે. મહિલા, ગરીબ અને આદિવાસી પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે તો ખેડૂતો માટે દિવસે વીજળીની યોજનાને આગળ વધારવા યોજના બનાવવામાં આવી છે. ગિફ્ટ સીટી કાર્યરત બને અને હબ બને એ માટે બજેટમાં ચિંતા કરવામાં આવી છે અને સૌથી વધુ શિક્ષણ પાછળ રૂપિયા ફાળવી ઉત્તમથી સર્વોત્તમ ગુજરાત માટેના બજેટની અનેક જોગવાઈઓ કરવામાં આવી છે. ચૂંટણી લક્ષી બજેટ કહેવું ખોટું કહેવાશે તેવી પણ સ્પષ્ટતા પૂર્વ CM વિજય રૂપાણીએ કરી હતી.
જૂની યોજનાઓને યથાવત રાખી વધુ પ્રજાલક્ષી બજેટ રજૂ કર્યું: પૂર્વ DyCM નીતિન પટેલ
તો બીજી તરફ બજેટ મુદ્દે પૂર્વ DyCM નીતિન પટેલએ પણ પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે ગુજરાતના સર્વ વિસ્તાર અને જ્ઞાતિ જાતિને સમાવતું બજેટ કનુભાઈએ 2022-23નું બજેટ રજૂ કર્યું છે જૂની યોજનાઓને યથાવત રાખી વધુ પ્રજાલક્ષી બનાવવામાં આવી છે અને વિદ્યાર્થીઓની શિષ્યવૃતિ, પેંશનની યોજનામાં વધારો કરતાંની સાથે ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ્યાંકને આગળ વધારશે તેવી જાહેરાત આ બજેટમાં કરવામાં આવી છે. તેમણે બજેટ થયેલી અન્ય જાહેરાતો પર પ્રકાશ પાડતા કહ્યું હતું કે શિયાળુ પાક માટે ટૂંકી મુદતની લોન પર પણ વ્યાજમાફી ખેડૂતલક્ષી અને ખેડૂતોને આવરી લેતું બજેટ છે. નર્મદા સહિતના પ્રોજેકટ માટે જરૂરી રકમ ફાળવાઈ તો નવી મેડિકલ કોલેજોને આગળ વધારવા જૂની હોસ્પિટલને અપગ્રેડ કરવાનું આયોજન કરવાની પણ જોગવાઈ કરવામાં આવી છે.
બેરોજગારોના જીવતરમાં ઝેર રેડતું બજેટ - મેવાણી
રાજ્ય સરકારના બજેટને લઈને કોંગ્રેસ MLA જીગ્નેશ મેવાણીના પ્રહારો કરતા કહ્યું છે કે બેરોજગારોના જીવતરમાં ઝેર રેડતું બજેટ ભાજપ સરકારે રજૂ કર્યું છે. રોજગારી આપવાની વાત નથી, બજેટમાં નોકરીઓનો કોઈ ઉલ્લેખ નહીં, સ્મોલ અને મિડિયમ સ્કેલ ઈન્ડસ્ટ્રીઝને ઉભો કરવાનો કોઈ ઉલ્લેખ નહીં, બજેટમાં આદિવાસી અને દલિત સમાજનો બજેટમાં ઉલ્લેખ નહીં, મુસ્લિમ સમાજ માટે એક પાયલીનો પણ બજેટમાં ઉલ્લેખ નહીં, તાલુકા અને જિલ્લા કક્ષાએ સ્પોર્ટ્સ સંકુલો માટે કોઈ ઉલ્લેખ નથી.
ભાજપ સરકારનું વાતો લક્ષી બજેટ: વિરજી ઠુમ્મર ધારાસભ્ય કોંગ્રેસ
બજેટ મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમ્મરે સરકારને આડે હાથ લેવા કહ્યું છે કે ભાજપ સરકારનું વાતો લક્ષી બજેટ છે, ખેડૂતોની આવક ડબલ કરવાનું લક્ષ્યાંક ક્યાંય ના દેખાયું, ખેડૂતોને વીજળી, પાણી માટે કોઇ નવી યોજના નહી,આ બજેટે તો ખેડૂતોની અપેક્ષા પર પાણી ફેરવવાનું કામ કર્યું છે. નર્મદા માટે 1200 કરોડની ઓછી જોગવાઈ તો કલ્પસરના બજેટમાં પણ ઓછી ફાળવણી કરવામાં આવી છે. ટેક્ષ નહીં નાખીને ચૂંટણીલક્ષી બજેટ આપ્યું છે.
ઠાકોર અને કોળી સમાજ નિગમને નાણામંત્રી ભૂલી ગયા: પૂંજાભાઈ વંશ, કોંગ્રેસ પ્રવક્તા
બજેટ મુદ્દે કોંગ્રેસના પ્રવક્તા પૂંજાભાઈ વંશએ નિવેદન આપતા કહ્યું છે કે શોષિતો-વંચિતોની ઉપેક્ષાઓ કરનાર આ બજેટમાં મુખ્ય જોગવાઈઓ કરવામાં આવી નથી. ગયા વર્ષના બજેટને પુનરાવર્તિત કરવામાં આવ્યું છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની જોગવાઈ મુજબ બજેટમાં જોગવાઈ નહીં. કોરોનાથી મૃત્યુ પામેલાના પરિવારને 4 લાખની સહાયની જોગવાઇ નથી જેથી કહી શકાય કે સરકાર માત્ર 50 હજાર રૂપિયા જ ચૂકવવા માંગતી હોવાનું સ્પષ્ટ થઈ ગયું છે. આંગણવાડી બહેનોના પગાર વધારાની પણ જોગવાઈ નહીં તો રાજ્યની કુલ વસ્તીના 52 ટકા વસ્તી OBC માટે કોઇ જાહેરાત નથી. ઠાકોર અને કોળી સમાજની ઉપેક્ષા અને મજાક કરવામાં આવી છે. નાણામંત્રી તેમણે સાવ ભૂલી ગયા હોય તેવુ આ નિરાશાજનક બજેટમાંથી દેખાઈ આવે છે.