લાગે છે કે વિકાસના નામે પ્રકૃતિનો નાશ કરવાની શરૂઆત કરાઈ છે. પ્રશાસન દ્વારા એક તરફ 10 લાખ વૃક્ષો વાવવાની ઝુંબેશ શરૂ કરાઈ હતી અને વનમહોત્સવની ઉજવણી પાછળ કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે. પણ પાટણ, વેરાવળ નગરપાલિકા દ્વારા 1 હજાર 200 જેટલા વૃક્ષોનું કોઈ પરમીશન વગર નિકંદન કરી નાખતા મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો.
પરવાનગી વગર વૃક્ષ કેમ કાપ્યા?: હાઈકોર્ટ
અરજદારે વૃક્ષ નિકંદન મામલે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. અરજીમાં ઉલ્લેખ કરાયો હતો કે 2008માં નંદનવન ફોરેસ્ટ તરીકે વિકસાવાયેલા વૃક્ષો તંત્ર દ્વારા કાપી નાખવામાં આવ્યા છે. પાટણ, વેરાવળ નગરપાલિકા દ્વારા 1 હજાર 200 જેટલા વૃક્ષોનું નિકંદન કરવામાં આવ્યું છે. જે બાદ હાઈકોર્ટમાં આજે હાથ ધરાયેલી સુનવાણીમાં સરકારને વૃક્ષ નિકંદન મામલે આકરા સવાલો કોર્ટે કર્યા હતા. અને કહ્યું હતું કે વૃક્ષો નહીં હોય તો ઓક્સિજન કયાંથી મેળવશો?, પરવાનગી વગર વૃક્ષ કેમ કાપ્યા? તેનો જવાબ રજૂ કરવા આદેશ આપવામાં આવ્યા છે. શોપિંગ સેન્ટર, ઓડિટોરિયમ બનાવવા માટે આ વૃક્ષો પરમીશન વગર કપાયા હોવાનો આરોપ છે ત્યારે હાઈકોર્ટે તમામ પ્રક્રિયા સ્ટે મૂકી રાજ્ય સરકારને જરૂરી કાર્યવાહી કરવા આદેશ કર્યા છે.સ
વિકાસના રસ્તે વૃક્ષોના નિકંદન કયા સુધી?
કોઈ પણ સાઈટ કે વિસ્તારમાં જો વિકાસ માટે વૃક્ષોને કાપવામાં આવે તો પર્યાવરણ વિભાગ સંબધિત કચેરીમાંથી મજૂરી મેળવવી પડે છે. જે બાદ કપાયેલા વૃક્ષોની સામે અન્ય કેટલા વૃક્ષો વાવી તેની જાળવણી જે તે સબંધિત કપની કરી રહી છે તેનો વિગતવાર રિપોર્ટ પણ સોંપવો પડે છે પણ અહી તો ન કોઈ પરમીશન ન કોઈ નિયમ. એક ઝાટકે શોપિંગ સેન્ટર, ઓડિટોરિયમ બનાવવા 1 હજાર 200 જેટલા વૃક્ષોને કાપી નાખ્યા હતા. જે બાદ પર્યાવરણ પ્રેમીઓમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે ત્યારે હાઈકોર્ટના કડક વલણ બાદ વિકાસના રસ્તાની આડમાં કપાતા વૃક્ષો મામલે કોઈ યોગ્ય નિર્ણય લેવાય તેવી શક્યતાઓ પૂરેપૂરી સેવાઇ રહી છે.
શહેરોમાં સતત વધતું પ્રદૂષણ ચિંતાનો વિષય
રાજ્યના શહેરોમાં સતત પ્રદુષણના વધી રહ્યુ છે. શહેરી વિસ્તારમાં પ્રદુષણની માત્રા ઘટાડવા અને ઓક્સિજનનો વ્યાપ વધારવા માટે વૃક્ષોનું વાવેતર પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે પણ ગુજરાતમાં હાલ ઊલટી ગંગા જોવા મળી રહી રહી છે. વિકાસના નામે આડેધડ વૃક્ષો કપાઈ રહ્યા છે. વન વિભાગ ઘોર નિંદ્વામાં હોય તેવુ સ્પષ્ટ લાગી રહ્યું છે ઘટાદાર વૃક્ષોના નિકંદન માટે કોણ જવાબદાર છે તે મોટો સવાલ છે.
ધ્રાંગધ્રા રોડ પર પણ કારણ વગર વૃક્ષો કપાયા
રાજ્ય સરકાર એક તરફ વધુ વૃક્ષો વાવવાની જાહેરાત કરે છે. તો બીજી તરફ ધ્રાંગધ્રા રોડ પર 10 થી વધુ વૃક્ષો જમીનદોસ્ત કરવામાં આવ્યા છે. આ વૃક્ષોના નિકંદનનો વીડિયો સોશીયલ મીડિયામાં વાયરલ થયો હતો. કોઈપણ જાતના કારણ વગર 10થી વધુ વૃક્ષો કાપવામાં આવ્યા છે.