દિલ્હીમાં કોરોનાના વધતા જતા કેસોમાં 45 વર્ષથી ઓછી ઉંમરના લોકોને કોરોના રસી આપવાનો મામલો સરકારના ધ્યાને આવ્યો છે.
દિલ્હીમાં કોરોનાના કેસો વધી રહ્યા છે
રસીકરણ અભિયાનમાં સામે આવી ગરબડ
45 થી ઓછી ઉંમરના લોકોને પણ અપાઈ રસી
નિયમોને બાયપાસ કરીને ખાનગી હોસ્પિટલમાં થયેલી આ ગતિવિધિના લીધે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે દિલ્હીના આરોગ્ય સચિવને ચેતવણી પણ આપી છે. આરોગ્ય મંત્રાલયે દિલ્હીના મુખ્ય સચિવને પત્ર લખીને જણાવ્યું છે કે, દિલ્હીના કેટલાક ખાનગી રસીકરણ કેન્દ્રો રસી આપવા માટેની નિર્ધારિત વયમર્યાદાની કાળજી લેવાતી નથી. આ કેન્દ્રોમાં 45 વર્ષથી ઓછી ઉંમરના લોકોને કોરોના ડોઝ આપવાની જાણકારી સામે આવી છે.
કેન્દ્ર સરકારે આપી ચેતવણી
પત્રમાં કહેવામાં આવ્યું છે કે, ખાનગી રસી કેન્દ્ર તરીકે કાર્યરત નહેરુનગરમાં VIMHANS (વિદ્યાસાગર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ, ન્યુરો અને એલાયડ સાયન્સ) ખાતે રસી માટે લાભાર્થીઓની નોંધણી કરવામાં ગંભીર ચૂક સામે આવી છે. અહીં 45 વર્ષથી ઓછી વયના લોકો આરોગ્ય કર્મચારીઓ અને ફ્રન્ટ લાઇન વર્કર્સ તરીકે નોંધાયેલા હતા અને તેમને રસી પણ આપવામાં આવી હતી.
આ અગાઉ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં વધી રહેલા કોરોના કેસો અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો હતો. પીએમ મોદીને લખેલા પત્રમાં કેજરીવાલે દિલ્હીમાં કોરોના રસીકરણને વધુ તીવ્ર બનાવવાની અને રસીકરણ કેન્દ્રો ખોલવાની અને રસીકરણની વયમર્યાદાની ફરજ દૂર કરવા માટેની શરતો માફ કરવાની માંગણી કરી છે.
દિલ્હી સીએમ કેજરીવાલે કરી હતી માંગણી
સીએમ કેજરીવાલે કહ્યું કે આપણે કોરોના રસીકરણ અભિયાનને ઝડપથી આગળ વધવું પડશે. જો નવા કોરોના રસીકરણ કેન્દ્રો ખોલવાના નિયમોને સરળ બનાવવામાં આવે અને દરેકને રસી આપવાની મંજૂરી મળે, તો દિલ્હી સરકાર 3 મહિનાની અંદર તમામ દિલ્હીવાસીઓને રસી આપી શકે છે. કેજરીવાલે કહ્યું કે કોરોનાના આ નવા ચેપથી દેશભરમાં ચિંતા વધી છે, આપણે રસીકરણ અભિયાનને વધુ ઝડપથી આગળ વધારવું પડશે.