રાજ્યની છ મહાનગર પાલિકામાં લોકડાઉન લાગશે તેવો એક વાયરલ પત્ર પર ગૃહ વિભાગે કર્યો ખુલાસો, પત્ર લોકોને ગેરમાર્ગે દોરી રહ્યો છે, આવું કોઈ જાહેરાત થઈ નથી
ગુજરાત રાજ્ય ગૃહ વિભાગના નામે ફેક પત્ર વાયરલ
રાજ્યના 6 શહેરોમાં લોકડાઉનની વાત માત્ર અફવા
ફેક પત્રમાં 6 મહાનગરોમાં લોકડાઉનની વાતનો ઉલ્લેખ
એક તરફ કોરોનાના વધી રહેલા કેસ અને મૃત્યુને કારણે લોકોમાં ભયનો માહોલ છે. ફરી લોકડાઉન લાગશે તેવી ચર્ચાને લઇ વેપારીઓથી લઇ લોકોને ચિંતા સતાવી રહી છે. ત્યારે આ વચ્ચે રાજ્યની છ મહાનગર પાલિકામાં લોકડાઉન લાગશે તેવો એક પત્ર વાયરલ થયો છે.
અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, રાજકોટ, ભાવનગર અને સુરતમાં ફરી લોકડાઉન લગાવવામાં આવશે તેવો ફેક પત્રમાં ઉલ્લેખ કરાયો છે. ત્યારે આ અંગે રાજ્ય ગૃહ વિભાગ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે અને જણાવાયું કે, જે પત્ર વાયરલ થઇ રહ્યો છે તે ફેક છે અને લોકડાઉનની માત્ર અફવા છે. હાલ રાજ્ય ગૃહવિભાગ દ્વારા લોકાડાઉન અંગે કોઇ નિર્ણય લેવાયો નથી.
ગૃહ વિભાગ દ્વારા કરાઈ સ્પષ્ટતા
ગુજરાત રાજ્યના ગૃહ વિભાગ તરફથી આપત્કાલીન નોંધ સ્વરૂપે સોશિયલ મીડિયામાં ફરતો થયેલો પત્ર તદ્દન ફેક અને ખોટો હોવાનો ખુલાસો કરાયો છે. ખોટા પત્રથી ગુજરાતના લોકો ગેરમાર્ગે ન દોરાય તેની અપીલ કરી છે. લોકડાઉન કરવાના પત્રમાં કોઇ જ સત્યતા નથી. લોકોને ગેરમાર્ગે દોરવાના પ્રયાસને વખોડ્યો છે.
રાજ્ય સરકારના ગૃહવિભાગના પ્રવક્તાએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે, ગુજરાતના 6 મોટા શહેરોમાં તારીખ 11 એપ્રિલથી તારીખ 17મી એપ્રિલ સુધી રાજ્ય સરકારે સંપૂર્ણ લોકડાઉનનો નિર્ણય કર્યો છે એવો આ પત્રમાં ઉલ્લેખ છે. જે બિલકુલ અસત્ય અને ખોટો છે. ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમારના નામજોગ અને ખોટી સહી સાથેનો આ પત્ર તદ્દન ખોટો અને ફેક છે.