કોંગ્રેસના હાથ અંતે છૂટ્યો! હવે કોનો હાથ બનશે હાર્દિક? કોંગ્રેસ કડવી તો ભાજપ મીઠી કે પછી..?
હાર્દિક પટેલના રાજીનામા મુદ્દે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરનું નિવેદન
ચિંતન શિબિર સમયે મેં હાર્દિકને બે વખત ફોન કર્યો હતો- જગદીશ ઠાકોર
જેણે હાથ ઝાલ્યો.જેણે રાજનીતિમાં પ્રવેશ આપ્યો.પદ આપ્યું. હોદ્દો આપ્યો. નાની ઉમરમાં અનુભવ કરતા જરાક વધારે જ આપી દીધું. પરંતુ તે જરાક વધારે આપવું આજે કોંગ્રેસ માટે જ નુકસાનકારક સાબિત થયું છે. કારણ કે, હાર્દિક પટેલે અંતે નારાજગીના નાટકનો અંત લાવી દીધો. કોંગ્રેસનો હાથ કાયમી માટે છોડી દીધો. પરંતુ અત્યાર સુધીના આ નાટકોથી શું પાટીદારોના મતો હાર્દિકને મળી જશે?
હાર્દિકના રાજીનામાનો પત્ર કમલમથી લખાયો છે- જગદીશ ઠાકોર
તેવામાં હાર્દિક પટેલના રાજીનામા મુદ્દે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે તીખી પ્રતિક્રિયા આપી છે. ચિંતન શિબિરનો ઉલ્લેખ કરતાં કહ્યું કે શિબિર સમયે મેં હાર્દિકને બે વખત ફોન કર્યો હતો. પણ હાર્દિકે ફોન કાપી નાખ્યો, કોઈ જવાબ ન આપ્યો.હાર્દિક પટેલની ઈચ્છા હતી કે નારાજગીનો મામલો વધુ લંબાય. હાર્દિકના રાજીનામાનો પત્ર કમલમથી લખાયો હોવાનો આરોપ પણ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે કર્યો હતો.
હાર્દિક હિંદુવાદી નેતાની છાપ ઊભી કરી..?
છેલ્લા એક મહિનાથી સતત હાર્દિક પટેલની કોંગ્રેસ સામેની નારાજગીનો આખરે અંત આવી ગયો છે. કારણ કે, હાર્દિકે કોંગ્રેસના તમામ હોદ્દા અને પદ પરથી રાજીનામું ધરી કોંગ્રેસને આખરે અલવિદા કહી દીધું છે. છેલ્લા ઘણા સમયથી ભાજપમાં એન્ટ્રી થવાની ચર્ચાઓ હતી. તેને અંતે વાચા આપી દીધી છે. આગામી દિવસોમાં હિંદુવાદી છબી ઉભી કરવાનો પ્રયાસ કરતા હાર્દિક પટેલ ભાજપમાં સત્તાવાર રીતે પણ જોડાવા જઈ રહ્યા છે. નામ લીધા વધર ભાજપના નેતાઓ પણ હાર્દિકના હાર્દિક સ્વાગત માટેની તૈયારીઓમાં છે.
રાજીનામા સાથે હાર્દિકે ખોલી કોંગ્રેસની પોલ! હાર્દિકના લેટર બોમ્બમાં ચીકનબર્ગર ખાતા નેતાઓ પર કટાક્ષ
છેલ્લા ઘણા સમયથી મીડિયામાં નારાજગીનો દેખાવ કરતા હાર્દિકે અંતે કાર્યકારી પદ સહિતના તમામ સ્તરેથી રાજીનામું આપી દીધું છે. સાથે જ સોનિયા ગાંધીને સંબોધીને પત્ર લખ્યો છે.
આ પત્રમાં હાર્દિકે કોંગ્રેસ પર માછલા ધોતા લખ્યુંકે,.
છેલ્લા ત્રણ વર્ષમાં મેં જોયું છે કે, કોંગ્રેસ પાર્ટી માત્ર વિરોધની રાજનીતિ પુરતી સીમિત રહી ગઈ છે. જ્યારે દેશની જનતાને એવા વિકલ્પોની જરૂર છે જે તેમના ભવિષ્ય વિશે વિચારે, દેશને આગળ લઈ જવાની ક્ષમતા રાખે. અયોધ્યામાં ભગવાન શ્રી રામનું મંદિર હોય, CAA-NRCનો મુદ્દો હોય, જમ્મુ-કશ્મીરમાંથી કલમ 370 હટાવવાની વાત હોય કે, GST લાગુ કરવાની હોય. દેશ લાંબા સમયથી તેનો ઉકેલ ઈચ્છતો હતો અને કોંગ્રેસ પાર્ટી માત્ર તેમાં અડચણરૂપ બનવાનું કામ કરતી રહી. ભારત હોય, ગુજરાત હોય કે, મારો પાટીદાર સમાજ હોય, દરેક મુદ્દે કોંગ્રેસનું સ્ટેન્ડ કેન્દ્ર સરકારનો વિરોધ કરવા સીમિત રહ્યું છે. પત્રમાં તો આ સિવાય પણ ઘણું બધું કોંગ્રેસની બદનામી માટે લખ્યું છે. પરંતુ આ લેટર સાથે કોંગ્રેસને અલવીદા ચોક્કસથી કહી દીધું છે. ત્યારે હાર્દિકના આ નિર્ણયને તેના એક સમયના સાથીદારોના પણ અલગ મતાંતર જોવા મળ્યું.
10 દિવસમાં ભાજપમાં જોડાઈ શકે છે હાર્દિક! હાર્દિકના વેલકમ્ માટે કેન્દ્રીય મંત્રી આવશે ગુજરાત!
હાર્દિક ભાજપમાં જાય છે તે વાત હવે સ્પષ્ટ છે. આગામી 10 દિવસમાં તેની સત્તાવાર રીતે ભાજપમાં એન્ટ્રી પણ થઈ જશે. સૂત્રોના મતે કેદ્રીય મંત્રી ગુજરાત આવશે. તેમની હાથે જ હાર્દિક ભાજપને ખેસ ધારણ કરશે. ત્યારે જોવાનું એ રહેશે કે, હાર્દિકના ભાજપમાં હાર્દિક સ્વાગતથી ભાજપના નેતાઓમાંથી કોઈ નારાજગીના સૂર ઉઠે છે કે પછી તમામ નેતાઓ પણ સ્વાગત કરે છે.
કોંગ્રેસ કડવી કેમ લાગવા લાગી?
મહત્વનું છે કે, 2015માં પાટીદાર આંદોલનથી હાર્દિક પટેલ હીરો બન્યો હતો. કેટલાક વીડિયોના કારણે શાખ ખરડાઈ પણ ખરી. પરંતુ ખેડૂતો મુદ્દે આંદોલન અને ઉપવાસ કરીને ફરી હીરો બની ગયો. 2017માં પરદા પાછળ રહીને કોંગ્રેસને ફાયદો કરાવ્યો અને 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધીના હાથે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો. મોટા પદ સાથે મોટી કામગીરીઓ પણ કોંગ્રેસમાં મળી. પરંતુ 2022 આવતા-આવતા હાર્દિકને કોંગ્રેસ પણ કડવી લાગવા માંડી. કારણ કે, તેના મતે કોંગ્રેસમાં પાટીદાર નેતાઓની અવગણના થાય છે. સ્ટેજ પર સ્થાન નથી મળતું. કામ કરવું છે પણ મોટું કામ નથી મળતું. બસ દિલ્હીથી આવતા નેતાઓને ચિકનબર્ગર ખવડાવવાની કામગીરીઓ સોંપાઈ છે. આમ સતત એક મહિનાથી નારાજગીનું રટણ રટતા-રટતા કોંગ્રેસને અંતે અલવિદા કહી દીધું છે.