આ પહેલા ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપતા કહ્યું હતું કે પ્રેમ કરવો એ ખોટું નથી. પરંતુ ઓળખ છૂપાવીને છોકરીઓને ફસાવવીએ નહીં ચલાવી લેવાય
લવ જેહાદ મુદ્દે સી.આર.પાટીલનું નિવેદન
વિધર્મીઓ લવ જેહાદના કિસ્સા કરે છેઃ પાટીલ
આવા કૃત્ય કરનાર ને છોડવામાં નહિ આવેઃ પાટીલ
દિવ્ય કાશી ભવ્ય કાશી અંતર્ગત રિવરફ્રન્ટ ખાતે ધર્માચાર્ય આશીર્વાદ સમારોહ યોજાયો ..વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આશીર્વાદ આપવા આ મંચ પર રાજ્યના 900 સંતો ઉપસ્થિત રહ્યા હતા સી એમ ભુપેન્દ્ર પટેલ , પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી સહીત તમામ મંત્રીઓની આ કાર્યક્રમમાં હાજરી હતી. સી આર પાટીલ એ ફરી લવ જેહાદ મામલે નિવેદન આપ્યું હતું કે હિન્દૂ દીકરીઓની સુરક્ષા કરવામાં આવશે..લવજેહાદના કિસ્સા કરનારને છોડવામાં નહીં આવે. હર્ષભાઈ આવા બનાવમાં કાર્યવાહી કરી રહ્યા છે.
અગાઉ હર્ષ સંઘવીએ કહ્યું હતું કે છોકરીઓને ફસાવનારને છોડાશે નહીં
આ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, લવ જેહાદ એક મોટું ષડયંત્ર છે...પ્રેમ કરવો એ ખોટું નથી. પરંતુ ઓળખ છૂપાવીને છોકરીઓને ફસાવવી તે ચલાવી લેવાય નહીં. ખોટા દસ્તાવેજ બનાવી છોકરીઓને ફસાવનારને છોડાશે નહીં. પાલિતાણાના બંને કેસમાં ગંભીરતાથી તપાસ ચાલી રહી છે. બંને દીકરીઓના પરિવાર સાથે મુલાકાત કરવામાં આવશે.
પાલિતાણામાં લવજેહાદના કિસ્સા સામે આવ્યા
ભાવનગરના પાલીતાણા ખાતે રહેતા ચેતનભાઈ ધીરુભાઈ દેવલૂકની પુત્રી ગૂમ થયાની ફરિયાદ બાદ પોલીસે આ કેસની તપાસમાં ફરિયાદ નોંધી કાર્યવાહી કરતા આ સમગ્ર કેસમાં એવો વળાંક આવ્યો કે જે યુવતીને ભગાડી જવામાં આવી છે. તેને ધર્મ પરિવર્તન કરાવી નખાંયુ છે અને મેરેજ સર્ટિફિકેટ તેમજ નિકાહના સર્ટીફિકેટ પણ ખોટા હોવાનું બહાર આવ્યું છે. પાલીતાણામાં જ રહેતા જાકીર હારૂનભાઇ સૈયદ નામનો યુવક આ યુવતીને ભગાડી ને દિલ્હી લઇ ગયો હતો, અને ત્યાં લગનના ખોટા સર્ટી પણ યુવતીને બતાવી ધર્મ પરિવર્તન કરાવ્યું હતું. આ ઘટના પગલે આમ તો પરિવારને અગાઉથી જ શંકા હતી કે કોઈ વિધર્મી આ યુવતીને ભગાડી ગયો છે. આથી જે તે સમયે પાલીતાણા બંધ જેવા કાર્યક્રમો પણ આપવામાં આવ્યા હતા અને હિન્દૂ સંગઠનો પણ મેદાનમાં આવ્યા હતા.
થોડા દિવસ પહેલા નોંધાઈ હતી લવ જેહાદની ફરિયાદ
ભાવનગરના પાલીતાણામાં લવ જેહાદની ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદના આધારે પોલીસે 4 આરોપીઓની અટકાયત કરી છે. જ્યારે અન્ય 2 આરોપીઓને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે જાકીર સૈયદ, ગુલાબખાન પઠાણ, અલ્તાફ શેખ અને મહંમદ શીલ કાદરીની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ચારેય આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા. જે દરમિયાન કોર્ટે ચારેય આરોપીઓના 12 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પાલીતાણામાં લવ જેહાદનો પ્રથમ કેસ ગ્રામ્ય લેવલે બનતા હાલ પોલીસ સતર્ક થઈ છે.
ગુજરાતમાં ધર્મસ્વાતંત્ર્ય અધિનિયમ
2021ના ધર્મસ્વાતંત્ર્ય અધિનિયમમાં સુધારેલા કાયદાના હેતુઓ તેમજ ઉપરોક્ત પાસાઓને ધ્યાનમાં લીધા બાદ, ગુજરાતની નામદાર ઉચ્ચ અદાલતે તેના તારીખ ૧૯-૦૮-૨૦૨૧ના વચગાળાનો આદેશ આપતા સ્પષ્ટતા કરી છે કે, આ અરજીઓની અંતિમ સુનાવણી બાકી છે ત્યાં સુધી કલમ ૩, ૪, ૪ક, ૪ખ, ૪ગ, ૫, ૬ક ને બળજબરી/દબાણ અથવા પ્રલોભન/લાલચ અથવા કપટયુક્ત માધ્યમો વિના લાગુ પાડી શકાશે નહીં. આમ, ઉપરોક્ત સંજોગોમાં કે જેમાં લગ્ન દ્વારા વ્યક્તિને એક ધર્મમાંથી બીજા ધર્મમાં ધર્માંતરિત કરવા માટે બળ, લાલચ અથવા કપટનું માધ્યમ અપનાવામાં આવેલ હોય તો તેવા ધર્મ પરિવર્તનનો હાલમાં પણ અધિનયમની કલમો મુજબ પ્રતિબંધિત રહેશે અને ઉપરોક્ત કલમો ૩, ૪, ૪ક, ૪ખ, ૪ગ, ૫, ૬ અને ૬ક લાગુ પડશે.
આ કાયદાની સુધારેલ કલમ-૩ મુજબ કોઈ પણ વ્યક્તિનું એક ધર્મથી અન્ય ધર્મમાં ધર્માંતરણ બળજબરી/દબાણ (force) દ્વારા, અથવા લાલચ/પ્રલોભન (allurement) દ્વારા અથવા કપટયુક્ત સાધનો (fraudulent means) દ્વારા અથવા લગ્ન (marriage) દ્વારા પ્રતિબંધિત કરવામાં આવેલ છે. તદુપરાંત સુધારેલા અધિનિયમની કલમ ૪-બ એ નક્કી કરે છે કે કોઈપણ લગ્ન કે જે એક ધર્મના વ્યક્તિ દ્વારા બીજા ધર્મની વ્યક્તિ સાથે ગેરકાયદેસર ધર્માંતરણ કરવાના હેતુથી કરવામાં આવે તેને ફેમિલી કોર્ટ દ્વારા રદબાતલ જાહેર કરવામાં આવશે.