દેશભરમાં લોકડાઉનની સ્થિતિ છે. મોટા ભાગના શહેરમાં જાહેરનામું બહાર પાડીને સામુહિક રીતે બહાર પાડીને ટોળામાં બહાર નહીં નિકળવાની સુચના આપી દેવામાં આવી છે. જો સામાન્ય વ્યક્તિ આ સુચનાનું ઉલ્લંઘન કરે તો મોર બોલી જાય છે. એવા વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. જોકે, આ વખતે એક મોટા ગજાના નેતાએ જ લોકડાઉનનું ઉલ્લંઘન કર્યું છે. જાણો કોણ છે આ નેતા અને શું છે સમગ્ર મામલો...
લોકડાઉનનો અમલ કરાવવા નિકળેલા નેતાએ કર્યું ઉલ્લંઘન
લોકોને ઘરે રહેવાની અપીલ કરવા મંત્રી ખુદ બહાર નિકળ્યા
60-70 લોકો એકી સાથે ફોટો સેશનમાં
ગુજરાતમાં કોરોનાને કારણે સ્થિતિ અત્યંત ભયંકર છે અને તેમાં પણ રાજ્યના કુલ કેસમાંથી 89 ટકા કેસ માત્ર અમદાવાદ વડોદરા અને સુરત શહેરના છે. એટલે કે, રાજ્યમાં 10 માંથી 9 દર્દીઓ આ ત્રણ શહેરના છે તેમ આરોગ્ય સચિવ જયંતિ રવીએ જણાવ્યું હતું. મતલબ સાફ છે કે, આ ત્રણ શહેરો અત્યંત સંવેદનશીલ છે. જો અહીંના લોકો જાગૃત હોય તો બજાર પર ચકલુ પણ ન ફરકવું જોઈએ. પરંતું એવું બને જ કઈ રીતે? કારણ કે યથા રાજ તથા પ્રજાની ઉક્તી કામ તો કરે ને. આ ઉક્તિ સુરતમાં સંપૂર્ણ સાચી ઠરી છે. સુરતના વરાછા વિસ્તારમાંથી ધારાસભ્ય અને રાજ્યના આરોગ્ય રાજ્યમંત્રીએ જ આરોગ્ય સચિવની ગંભીર ચેતવણીને અવગણી છે.
લોકોને ઘરે રહેવાની અપીલ કરવા મંત્રી ખુદ બહાર નિકળ્યા
રાજ્યના જૂનિયર આરોગ્ય મંત્રીશ્રીએ લોકોને ઘરે રહેવાની અપીલ કરવા માટે પોતે રસ્તા પર ઉતરીને રોડ શો કર્યો હતો. સાહેબ કલમ 144 ભૂલી ગયા અને લોકોનો જમાવડો કર્યો. તેઓ એ પણ ભૂલી ગયા કે ગુજરાત આજે આરોગ્યની ગંભીર સમસ્યાથી ઝઝૂમી રહ્યું છે અને તેઓ ખુદ આરોગ્યમંત્રી છે. એટલે રોગ સામે બચવા લગાવવામાં આવેલી કલમનું પાલન ખુદે પણ કરવું પડે.
કોરોનાની મહામારી આફત છે તાયફા કરવાનો અવસર નથી
મંત્રીજીને યાદ હોવું જોઈએ કે આ કોરોનાની મહામારી આફત છે તાયફા કરવાનો અવસર નથી. પોતાની વાહવાહી અને આગતા સ્વાગતાના કાર્યક્રમો તો સામાન્ય દિવસોમાં ચાલવાના જ છે. મત વિસ્તારમાં વટ પાડી દેવાની પ્રક્રિયા તો લોકડાઉન બાદ પણ થઈ શકે તેમ છે. અત્યારે સમય છે નિયમનોનું પાલન કરવાનો અને કરાવવાનો. જો એક જનપ્રતિનિધિ થઈને તમે જ નિયમ તોડશો તો તમારા અનુયાયી કેવી રીતે અનુસરણ કરશે.
સાહેબ શ્રી તમે જે દિકરીઓને હાથ જોડીને તેમનું અભિવાદન સ્વિકારી રહ્યા છો તે દિકરીએ જ માસ્ક મો પર લગાવવાને બદલે ગળામાં લટકાવ્યું છે. બાજુમાં આ નાનકડી દિકરીએ પણ માસ્ક નથી પહેર્યું. લોકડાઉનમાં આમ તો બહાર નિકળવા પર જ પ્રતિબંધ છે અને તેમ છતા પણ અત્યંત આવશ્યક હોય તો વધુમાં વધુ 4 વ્યક્તિઓ એકી સાથે બહાર જઈ શકે તે પણ સોશિયલ ડિસ્ટન્સ જાળવીને. પરંતુ સાહેબ શ્રી તમારા આ જમાવડામાં ઓછામાં ઓછા 60 લોકો દેખાઈ રહ્યા છે.
60-70 લોકો એકી સાથે ફોટો સેશનમાં
એક દિવસમાં બે અલગ અલગ ઘટના છે. એટલે કે, રંગોળીનો આ કાર્યક્રમ છે જેમાં રસ્તા પર રંગોળી કરવામાં આવી છે અને આરોગ્યમંત્રી હોશે હોશે તેમાં જોડાઈ રહ્યા છે. પરંતુ તેમાં નિયમનું પાલન નથી કરાયું. એક-બે નહીં પણ 60-70 લોકો એકી સાથે ફોટો સેશન કરી રહ્યા છે અને તેમાં પોલીસ કર્મી અને આરોગ્યમંત્રી પણ સામેલ છે.
શું રાજ્યના આરોગ્યમંત્રી આ પ્રકારની ટોળાશાહીથી દિલગીર થશે?
ત્યારે સવાલ એ છે કે, લોકડાઉન વચ્ચે આવો જમાવડો કેટલો યોગ્ય? શું રંગોળી વગર કોરોના સામે ન લડી શકાય? રંગોળી કર્યા બાદ ફોટો સેશન જરૂરી છે? ફોટો સેશનમાં ટોળું એકઠું કરવું કેટલું યોગ્ય? શું આ પોલીસના જાહેરનામાનો ભંગ નથી? સુરતમાં ગંભીર સ્થિતિ હોવા છતા પણ બેદરકારી દાખવાઈ છે? શું રાજ્યના આરોગ્યમંત્રી આ પ્રકારની ટોળાશાહીથી દિલગીર થશે?
લોકશાહીમાં રાજા હોઈ કે રંક નિયમ સૌના માટે સરખા છે. માટે અન્યનોને ઘરની બહાર ન નિકળવાની સલાહ દેવા માટે ખુદને નિયમ ભંગ કરવાની જરૂર નથી. અથવા તો લોકોને ઘરમાં રહેવાની અપીલ કરવાની આડમાં ખુદની આગતા સ્વગતા કરાવવાનો આ સમય નથી.