વિધાનસભા ચૂંટણી અનુલક્ષીને ચર્ચા વિચારણા અને માર્ગદર્શન આપવા પ્રધાનમંત્રી મોદીને કમલમ ખાતે કોર ગ્રુપની બેઠક માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું
કમલમમાં થયું મંથન
પ્રધાનમંત્રી મોદીએ કમલમમાં કરી બેઠક
CM ભૂપેન્દ્ર પટેલ અને સી.આર.પાટીલ હતા હાજર
PM મોદી ગુજરાતના 2 દિવસીય પ્રવાસે છે. ગત કાલે અમદાવાદમાં ખાડી ઉત્સવમાં હાજરી આપ્યા બાદ આજે વડાપ્રધાને કચ્છને વિવિધ કામોમાં 4700 કરોડની ભેટ આપી હતી. જે બાદ મોડી સાંજે મહાત્મા મંદિર ખાતે મારુતિ સુઝુકીના વિશેષ કાર્યક્રમમાં હાજર પણ રહ્યા હતા. જે બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર શ્રી કમલમ ખાતે એક મોટી બેઠક યોજી હતી જેમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઈ ચર્ચા થઈ છે.
માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીએ આજરોજ પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્ 'ની મુલાકાત લીધી.
સંગઠન-સરકારની કામગીરીની PM સમક્ષ રજૂઆતો થઈ હતી: જીતુ વાઘાણી
પ્રધાનમંત્રી મોદીની કમલમ મુલાકાત મુદ્દે જીતુ વાઘાણીએ નિવેદન આપતા કહ્યું કે ભાજપ કોરકમિટીની વિનંતી પર PM કમલમ્ બેઠકમાં સહભાગી થવા આવ્યા હતા. ઈંફોર્મલ બેઠક હતી જેમાં જૂની વાતો ફરી યાદ કરવામાં આવી. અનેક મુદ્દાઓ પર PMનું માર્ગદર્શન મળ્યું. PMએ અમારી વિનંતી સ્વીકારી એ બદલ ગુજરાત સરકાર તેમનો આભાર વ્યકત કરે છે. વધુમાં વાઘાણીએ જણાવ્યું હતું કે PM મોદીએ જૂના કાર્યકરો તેમજ આગેવાનોને પણ યાદ કર્યાં હતા. કમલમમાં PM મોદીની હાજરીમાં 2 કલાક બેઠક ચાલી હતી. જેમાં સંગઠન-સરકારની કામગીરીની PM સમક્ષ રજૂઆતો થઈ હતી. જે બાદ કોરકમિટીને PM મોદીએ માર્ગદર્શન આપ્યું હતું. PM મોદીએ રાજ્ય સરકારની કામગીરીને બિરદાવી હતી અને કાર્યકર્તાઓ તરીકે અમારો ઉત્સાહ વધારવાનું કામ કર્યું હતું. PM મોદી અવારનવાર કમલમમાં આવતા હોય છે. માત્ર ચૂંટણી છે એટલે PM આવ્યા એવુ નથી.
મહાત્મા મંદિરમાં મારૂતિ સુઝુકીના કાર્યક્રમમાં પીએમ મોદીએ હાજરી આપી હતી. મારૂતિ સુઝુકીને ભારતમાં આવ્યાને 40 વર્ષ પૂર્ણ થયા છે. આ નિમિત્તે કંપની દ્વારા આજે(28 ઓગસ્ટ) પ્રધાનમંત્રીના હસ્તે સુઝુકીના 2 પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પ્રધાનમંત્રી મોદીએ ગુજરાત અને હરિયાણાના લોકોને શુભકામના પાઠવી હતી. મહત્વનું છે કે, સુઝુકી કંપની ટૂંક સમયમાં ગુજરાતમાં ઇલેક્ટ્રિક વ્હીકલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ, બેટરી મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ અને માંડવી તાલુકામાં ઓટોમોટિવ રિસાઇકલિંગ ફેસિલિટી માટે રૂપિયા 10 હજાર કરોડનું રોકાણ કરશે. ગાંધીનગર કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ, નાયબ મુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલા અને કેબિનેટ મંત્રી જેપી દલાલ હાજર રહ્યા હતા.
હરિયાણામાં ત્રીજો મારુતિ સુઝુકી પ્લાન્ટ સ્થપાયો
હરિયાણામાં સોનીપતના ખરખૌદામાં લાગનારા મારૂતિ સુઝુકી પ્લાન્ટનું પ્રધાનમંત્રી મોદીએ ગાંધીનગરથી વર્ચ્યુઅલી ખાતમુહૂર્ત કર્યું. આ પહેલા મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે ભૂમિપૂજન કર્યું હતું. ખરખૌદા આઈએમટીમાં બનનારો આ રાજ્યનો ત્રીજો મારુતિ સુઝુકી પ્લાન્ટ છે.
કચ્છને આપી 4700 કરોડની ભેટ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કચ્છમાં આયોજિત કાર્યક્રમમાં પોતાના ઉદ્બોધનની શરૂઆત કચ્છી ભાષાથી કરી હતી, તેમણે જણાવ્યું હતું કે, આજે મન ખૂબ જ સારી ભાવનાઓથી ભરેલું છે. ભૂજિયા ડુંગરમાં સ્મૃતિવન મેમોરિયલ અને અંજારમાં સ્મારકનું લોકાર્પણ કચ્છની અને ગુજરાત સમગ્ર દેશની વેદનાનું પ્રતિક છે. તેના નિર્માણમાં માત્ર પસીનો જ નહીં પરંતુ કેટલાય પરિવારના આંસુઓ જોડાયેલા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગળગળા થઈને 2001માં કચ્છમાં આવેલા ભૂકંપ વિશે વાત કરતા કહ્યું કે મને યાદ છે ૨૬ જાન્યુઆરીનો એ દિવસ, જ્યારે હું દિલ્હીમાં હતો. ભૂકંપનો અહેસાસ મને દિલ્હીમાં પણ થયો હતો. થોડા જ કલાકોમાં હું દિલ્હીથી અમદાવાદ પહોંચ્યો અને બીજા દિવસે હું કચ્છ પહોંચી ગયો, ત્યારે હું મુખ્યમંત્રી ન હતો પણ એક સાધારણ ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તા હતો. મને નહોતી ખબર કે હું કેમ અને કેટલા લોકોની મદદ કરી શકીશ પણ મેં નક્કી કર્યું કે હું આ દુઃખની ઘડીમાં તમારા સૌની વચ્ચે રહીશ અને જે પણ શક્ય હશે, હું તમારા દુઃખમાં ભાગીદાર બનવાનો પ્રયાસ કરીશ.
મેઘા પાટકર અર્બન નક્સલવાદી: સીએમ ભૂપેન્દ્ર પટેલ
આ પ્રસંગે સીએમ ભૂપેન્દ્ર પટેલે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજનાના ભારોભાર વખાણ કર્યા હતા. અને નર્મદા યોજનો વિરોધ કરનારાઓને અર્બન નક્સલવાદી કહી સંબોધ્યા હતા. અને કહ્યું હતું કે 'આજે એ પણ યાદ કરવું પડે કે એવા કોણ લોકો હતા જેમણે 5 5 દાયકા સુધી કચ્છના લોકોને નર્મદાના પાણીથી વંચિત રાખ્યા હતા, કચ્છને તરસ્યું રાખ્યું હતું સૂકું ભઠ્ઠ રાખ્યું હતું. આપણે બધા જાણીએ છીએ કે વિરોધ કરવા વાળા અર્બન નક્સલવાદી કોણ હતા જેમણે સરાજાહેર ગુજરાતનો વિરોધ કર્યો ખાસ કરીને કચ્છનો વિરોધ કર્યો. એ અર્બલ નક્સલવાદીઓ કચ્છ અને ગુજરાતને વિકાસથી વંચિત રાખવાના તમામ પેતરા કર્યા હતા. એ લોકોમાંનું એક નામ છે મેઘા પાટકર, આપણે જાણીએ છીએ કે આ લોકો કઈ પાર્ટી સાથે સંબંધ ધરાવે છે. કોણે તેમણે સાંસદની ચૂંટણી લડવાની ટિકિટ આપી હતી. ગુજરાતમાં લોકોને ભ્રમિત કરી નક્સલવાદ ફેલાવવાની આવા લોકોની પેરવી હતી. પરંતુ ગુજરાતની શાણી અને સમજુ પ્રજાએ તેમજ કચ્છની ખમીરવંતી પ્રજાએ એમના મનસૂબા પર પાણી ફેરવી દીધું. તેમના મનસૂબા ફાવવા દીધા નથી અને ફાવવા દેવાના પણ નથી'.
મા નર્મદાના નીર રોકાય તો ગુજરાત જોઈ ન શકે: જીતુ વાઘાણી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અર્બન નક્સલવાળા નિવેદન પર વાઘાણીએ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે મા નર્મદાના નીર રોકાય તો ગુજરાત જોઈ ન શકે, ગુજરાતના વિકાસમાં રોડા નાખનારને સાંખી નહી લેવાય. ગુજરાતની જનતાએ પણ આવા લોકોને સ્વિકાર્યા નથી અને ભવિષ્યમાં સ્વીકારશે પણ નહીં
ગુજરાતની બે દિવસીય મુલાકાત દરમ્યાન રાજ્યને વિવિધ જનસુવિધા કાર્યોની ભેટ ધરી દિલ્હી જવા રવાના થયેલ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને અમદાવાદ એરપોર્ટ ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ તથા અન્ય મહાનુભાવો દ્વારા ભાવસભર વિદાય આપવામાં આવી. pic.twitter.com/DjGNNNw3gg