આપણાં શાસ્ત્રોમાં પંચાંગનું ઘણું મહત્વ છે. તેમાં કાર્તિકી પંચાંગનું આપણે ત્યાં ભારે માહાત્મ્ય છે. કાર્તિકી પંચાંગ મુજબ વર્ષ દરમિયાન આવતા બાર માસમાં પ્રથમ માસ કારતક છે તો છેલ્લો માસ આસો છે. આ ક્રમ પ્રમાણે જોઈએ તો ચોથો માસ મહા માસ આવે છે. મહા માસ આવે એટલે ભગવાન શિવ યાદ આવે જ આવે. કારણ કે આ માસની વદ તેરશે મહાશિવરાત્રી આવે છે. જેને દરેક હિન્દુ ખૂબ શ્રદ્ધાપૂર્વક પોતાની સ્થિતિ પ્રમાણે ઊજવે છે. ચાલુ વર્ષે મહાશિવરાત્રિનું પર્વ મહા વદ ચૌદશને રવિવાર તા.21 ફેબ્રુઆરી 2020ના રોજ આવે છે. આ સમય દરમિયાન ભગવાન શિવનું ષોડ્શોપચારે પૂજન કરવાથી શિવસાયુજ્ય મુક્તિ મળે છે.
મહા માસનું છે અનેરું મહત્વ
વિષ્ણુભક્તિનું મહા માસમાં છે અલગ જ મહત્વ
સ્નાન, દાન, પુણ્ય કરવા માટેનો ઉત્તમ તથા ખૂબ પવિત્ર માસ
જો આપણે હિન્દુ રાષ્ટ્રીય પંચાંગ જોઈએ તો હિન્દુ રાષ્ટ્રીય પંચાંગનો અગિયારમો મહિનો મહા ગણાય. આ માસની પૂનમે ચન્દ્ર મઘા નક્ષત્રમાં હોય છે. તેવી જ આ માસનું સંસ્કૃત નક્ષત્ર મઘા ગણાય છે. આ માસનો મહિમા ઘણો અનોખો છે. પદ્મપુરાણ, મત્સ્યપુરાણ, નિર્ણયસિંધુ નામના મહાગ્રંથોમાં આ માસનું ખૂબ વિસ્તારથી માહાત્મ્ય ગવાયું છે. જો તે આપણે જોવા જઈએ તો એક આખું મહાપુરાણ મહા માસનું માહામ્ત્ય લખવામાં સર્જાઈ જાય. મહા માસ એ સ્નાન, દાન, પુણ્ય કરવા માટેનો ઉત્તમ તથા ખૂબ પવિત્ર માસ છે. આ માસ દરમિયાન કરેલ દાન, પુણ્ય તથા સ્નાન અક્ષય ફળ આપનાર બને છે. જે શ્રદ્ધાળુ આ માસ દરમિયાન જેટલી શ્રદ્ધાથી દાન પુણ્ય સ્નાન કરે છે. તેનું તેને અનેક જન્મ જન્માંતરમાં સુખદ ફળ મળ્યા કરે છે.
આ છે મહા માસનું અપાર માહાત્મ્ય
મહા માસ સ્નાનનો માસ ગણાય છે. તેથી જ હેમંત ઋતુમાં નદીઓનાં જળ તથા વાતાવરણની હવા શીતળ હોય છે. શિશિર ઋતુ આવતાં જ તેની અસર ધીરે ધીરે ઓસરવા લાગે છે. એટલે જ તો શાસ્ત્રો આ માસ દરમિયાન સ્નાન પાછળ વિશેષ પરમાર્થ આદરવો તેવું કહે છે. શાસ્ત્રોનો આવો ઉદ્દાત્ત ભાવ તથા સમષ્ટિનાં કલ્યાણ અર્થે ધીમે ધીમે ઠંડી આ માસ દરમિયાન વિદાય લેવા માંડે છે. વાતાવરણ ધીમે ધીમે ઉષ્ણતા પકડતું જાય છે. જળમાં પણ સમશીતોષ્ણતા આવે છે. તેથી આપણે પણ સ્નાન માટે સમશીતોષ્ણ જળ એટલે કે બહુ ઠંડુ પણ નહીં કે બહુ ગરમ પણ નહીં તેવું પસંદ કરવું જોઈએ.
આવું છે ધાર્મિક મહત્વ
મહા માસનું ધાર્મિક મહત્ત્વ જોઈએ તો આ માસ ભગવાન વિષ્ણુને અતિપ્રિય હોવાથી બને તેટલી વિષ્ણુભક્તિ આ માસ દરમિયાન કરવી જોઈએ. સાથે સાથે થાય તેટલાં દાનપુણ્ય કરવાં જોઈએ. મહા માસની અમાસને મૌની અમાવસ્યા કહેવાય છે. આ માસની દરેક પવિત્ર તિથિ અર્થાત્ પ્રતિપ્રદા, ત્રીજ, પંચમી, સપ્તમી, નવમી, એકાદશી, ત્રયોદશી, પૂર્ણિમા તથા અમાવસ્યાએ દરેક શ્રદ્ધાળુએ બને તેટલું દાન કરવું જોઈએ. જો કોઈ ફક્ત નિસ્વાર્થભાવે દાન પુણ્ય કે સ્નાન કરે તો તેને તેનું બહુ સુખદ ફળ અનેક જન્મ સુધી મળ્યા કરે છે. જો કોઈ મનુષ્ય આ માસ દરમિયાન વિષ્ણુભક્તિ કરે અથવા ૐ નમો ભગવતે વાસુદેવાય મહામંત્રનું લઘુ અનુષ્ઠાન કરે તો તેને તેના મૃત્યુ પછી દેવતાઓનાં ૨૪૦૦૦ વર્ષ સુધી વૈકુંઠમાં રહેવાનો લાભ મળે છે. વળી તેમાં પણ સૌથી ઉત્તમ એવું તો ત્યારે થાય છે કે આ વૈકુંઠવાસ દરમિયાન તે ભગવાન વિષ્ણુનો પ્રિય પાર્ષદ બની ભગવાન વિષ્ણુ જેવું જ બીજું સ્વરૃપ ધારણ કરીને બીજા અનેક જન્મ સુધી તેનું ફળ મળે તેવાં અપાર પુણ્ય મેળવે છે.
આ માસ દરમિયાન આવતી વસંતપંચમીએ ભગવાન વિષ્ણુની સાથે મા સરસ્વતીનું પણ પૂજન અર્ચન કરવાનો અનેરો મહિમા છે. મા સરસ્વતી સંગીત તથા વિદ્યામાં અધિષ્ઠાત્રી દેવી છે. તેમનું પૂજન અર્ચનકરનાર રાગ, રાગિણીમાં તથા વિદ્યામાં ખૂબ પ્રવીણ બને છે. આ તો છે મહા માસનું અનુપમ માહાત્મ્ય.