કોલકાતા: બીસીસીઆઇના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ જણાવ્યું છે કે આગામી વર્ષે ટી-૨૦ વિશ્વકપ માટે જનારી ભારતીય ટીમ અંગે તેણે કંઈક વિચાર્યું છે, જે અંગે ટૂંક સમયમાં જ કેપ્ટન વિરાટ કોહલી અને હેડ કોચ રવિ શાસ્ત્રી સાથે ચર્ચા કરશે.
સૌરવ ગાંગુલી ટી-20 વર્લ્ડકપ વિશે કરશે ચર્ચા
ગાંગુલીએ કહ્યું વિશ્વકપ સુધી સંપૂર્ણ તૈયારી કરી લઈશું
ટી-20 વર્લ્ડકપ ઓસ્ટ્રેલિયામાં રમાશે
સૌરવ ગાંગુલીએ ગઈ કાલે અહીં શર્મિલા ગુપટુના પુસ્તકનું વિમોચન કર્યા બાદ કહ્યું, ''જો આપણે ટી-૨૦ ક્રિકેટમાં લક્ષ્યનો પીછો સારી રીતે કરી રહ્યા હોઈએ તો આપણે પ્રથમ બેટિંગ કરતાં પણ એ જ ચીજ કરવી પડશે. મેં કંઈક વિચાર્યું છે, જેને હું િવરાટ અને શાસ્ત્રી સાથે શેર કરીશ. મને વિશ્વાસ છે કે વિશ્વકપ સુધીમાં આપણે સંપૂર્ણપણે તૈયાર થઈ જઈશું.''
ટી-૨૦ વિશ્વકપ આગામી વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયામાં રમાવાનો છે. ટેસ્ટ રેન્કિંગમાં ભારતીય ટીમના ટોચના સ્થાને પહોંચવા અંગે સૌરવે ટીમની પ્રશંસા કરીને જણાવ્યું, ''ભારતીય ટીમમાં વિદેશી ધરતી પર સતત જીત હાંસલ કરવાની ક્ષમતા છે. આ જ અમારું લક્ષ્ય છે. ટીમ ઇન્ડિયાએ ગત વર્ષે ઓસ્ટ્રેલિયામાં સારું પ્રદર્શન કર્યું છે. આપણી પાસે ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં સારું પ્રદર્શન કરવા માટે સારી ટીમ છે. અમારું એ જ લક્ષ્ય છે કે દુનિયાની સર્વશ્રેષ્ઠ બની જાય.''