બોલિવુડની ટોચની અભિનેત્રી સોનાક્ષી સિંહાએ તાજેતરના એક ઇન્ટરવ્યુમાં જણાવ્યુ હતુ કે કેટલીક પ્રાદેશિક ફિલ્મો મેઇનસ્ટ્રીમ હિન્દી ફિલ્મો કરતાં ઘણી સારી હોય છે છતાં તે ફિલ્મોને રાષ્ટ્રીય કક્ષાએ આવકાર કે પ્રશંસા મળતી નથી.
આ ઉપરાંત સોનાક્ષીએ જણાવ્યુ હતુ કે પ્રાદેશિક ફિલ્મોની તાકાત મેં જોઇ છે. તે તાકાત મને હિન્દી ફિલ્મોમાં જોવા મળતી નથી. 'મેં લિંગા ફિલ્મ કરી ત્યારે તેની કામ કરવાની પદ્ધતિ મારા ધ્યાનમાં આવી હતી. તેની જે ઊર્જા હતી તે હિન્દી ફિલ્મોમાં જોવા મળતી નથી.
સોનાક્ષીએ આગળ કહ્યુ કે તે લોકોનું સમયપાલન કથાની મૈાલિકતા કામ કરવાની પદ્ધતિ તે લોકોનો ફિલ્મ પ્રત્યેનો અભિગમ અને વીઝન હિન્દી ફિલ્મોમાં જોવા મળતો નથી.
સોનાક્ષીએ વધુમાં ઉમેર્યુ કે એવું ન હોય તો બાહુબલિ હિન્દીમાં કેમ ન બની શકે? સોનાક્ષીએ કહ્યુ કે મારો ફર્સ્ટ લવ તો હિન્દી ફિલ્મો જ રહેશે. પ્રાદેશિક ફિલ્મ સર્જકો કરી શકે એવું હિન્દી ફિલ્મો સર્જકો કેમ ન કરી શકે?
સોનાક્ષી ઉપરાંત ગયા મહિને 65મા નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહમાં ઇન્ટરનેશનલ ફિલ્મ સર્જક શેખર કપૂરે પણ કહ્યું હતું કે ભારતમાં મેઇનસ્ટ્રીમ હિન્દી ફિલ્મો કરતાં પ્રાદેશિક ફિલ્મો ઘણી આગળ છે.
આ ઉપરાંત ડિજિટલ માધ્યમ વિશે પૂછતાં સોનાક્ષીએ કહ્યું કે મનોરંજન આપણું ભવિષ્ય છે. મને સારી ઑફર મળશે તો હું પણ ડિજિટલ ફોર્મેટમાં કામ કરીશ.