ઘણી વાર એવું જોવા મળે છે કે સ્કૂલમાંથી બહાર નીકળેલા વિદ્યાર્થીઓ કિશોરાવસ્થામાં ખોટો રસ્તો પકડી લે છે, જે તેમના ભવિષ્યને ખાડામાં લઇ જાય છે. અમેરિકી સંશોધકોએ પણ એક અભ્યાસમાં ચિંતા વ્યક્ત કરતાં કહ્યું છે કે સ્કૂલમાં વિદ્યાર્થીઓ માટે સખત શિસ્ત હાનિકારક સાબિત થઇ શકે છે.
ઘણી વાર એવી સ્થિતિ બને છે કે શિસ્તનું પાલન ન કરનારા વિદ્યાર્થીઓને સ્કૂલમાંથી કાઢી મૂકવામાં પણ આવે છે. સંશોધકોનું માનવું છે કે આમ કરતાં વિદ્યાર્થીઓ વધુ ખોટાં કામ કરવાનું શરૂ કરી દે છે. શિક્ષકોનું આ વલણ કિશોરાવસ્થામાં જ બાળકો માટે જિંદગીનો સૌથી મોટો ટર્નિંગ પોઇન્ટ સાબિત થાય છે.
તેનાથી વિદ્યાર્થીઓમાં તમામ પ્રકારની નકારાત્મકતા આવે છે અને તે અપરાધની દુનિયાનો ભોગ બને છે. તેનું જ પરિણામ છે કે તમારી આસપાસમાં હુમલા, ચોરી અને ડ્રગ વેચવા જેવા ગુનાઓ થવા લાગે છે.
આ અભ્યાસ જસ્ટિસ ક્વાર્ટરલી મેગેઝિનમાં પ્રકાશિત થયો છે, તેમાં સંશોધકોએ લખ્યું છે કે સ્કૂલમાંથી બહાર કઢાયા બાદ વિદ્યાર્થીમાં અપરાધની પ્રવૃત્તિઓ વધી જાય છે. બોલિંગ ગ્રીન સ્ટેટમાં સમાજશાસ્ત્રના આસિ. પ્રોફેસરે જણાવ્યું કે સ્કૂલોમાં વધુ પડતી શિસ્તથી નુકસાન થાય છે. તેના કારણે અડોશપડોશ સ્કૂલ અને સમુદાયમાં અપરાધિક પ્રવૃત્તિવાળા લોકો વધી શકે છે.
અભ્યાસ દરમિયાન જાણવા મળ્યું કે સ્કૂલોમાં શિસ્તને વધુ કડક બનાવતાં વિદ્યાર્થીઓ વધુ હિંસક અને અપરાધી પ્રવૃત્તિવાળા બની જાય છે. ઉંમર વધવાની સાથે-સાથે તેમની પ્રવૃત્તિ વધુ હિંસક બને છે.
સંશોધકોએ કહ્યું કે તેનાથી બચવાનો માત્ર એક જ ઉપાય છે કે વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ કરવામાં આવે અને તેમની મનોસ્થિતિને સમજ્યા બાદ તેમને યોગ્ય દિશા-નિર્દેશ આપવામાં આવે. આ કામમાં શિક્ષકોની સાથે-સાથે વાલી પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.