મહારાષ્ટ્રમાં સરકાર ગઠન (Government Formation In Maharashtra)ને લઇને ગુચ ઉકેલાવાની જગ્યાએ વધુને વધુ જટીલ બની રહી છે. શિવસેના (ShivSen)એ એકવાર ફરી શનિવારે પોતાની સહયોગી પાર્ટી બીજેપી (BJP) પર નિશાન સાધ્યું. પાર્ટીએ પોતાના મુખપત્ર 'સામના'માં બીજેપીને પૂછ્યું કે તે સરકાર બનાવવાનો દાવો રજૂ કેમ નથી કરી રહી?
પાર્ટીએ પોતાના મુખપત્ર 'સામના'માં બીજેપી પર સાધ્યુ નિશાન
શિવસેનાએ કહ્યું- બીજેપી સરકાર બનાવવાનો દાવો રજૂ કેમ નથી કરી રહી?
રાજ્યમાં 24 ઓક્ટોબરે વિધાનસભા ચૂંટણીના પરિણામોની જાહેરાત કરાઇ હતી
નોંધનીય છે કે, રાજ્યમાં 24 ઓક્ટોબરે વિધાનસભા ચૂંટણીના પરિણામોની જાહેરાત કરાઇ હતી. જેના 13 દિવસ બાદ પણ કોઇ પાર્ટી સરકાર ગઠન માટે જરૂરી 145 બેઠકો મેળવી શકી નથી. વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 105 બેઠકો અને શિવસેનાને 56 બેઠકો મળી. બીજેપી અને શિવસેનાએ રાજ્યમાં મળીને ચૂંટણી લડી હતી પરંતુ ચૂંટણી પરિણામ આવ્યા બાદ બંને પાર્ટીઓ વચ્ચે ખેંચતાણ ખુલ્લીને સામે આવી છે.
શિવસેના પોતાના માટે મુખ્યમંત્રી પદની માંગ કરી રહી છે. શિવસેના આ પદ માટે 50:50ની ફોર્મૂલા ઇચ્છે છે, પરંતુ ભાજપ તેના પર તૈયાર નથી. કાર્યવાહક મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના આમને-સામને આવ્યા બાદ શુક્રવારે બંને પાર્ટીઓની વચ્ચે વાત વધુ વણસી ગઇ હતી.
શિવસેનાના મુખપત્ર 'સામના' ના સંપાદકીયમાં પાર્ટીએ કહ્યું કે, ગોવા અને મણીપુરમાં સૌથી મોટી પાર્ટી નહોતી પરંતુ તેમણે સરકારનું ગઠન કર્યું. આ વાત સૌ કોઇ જાણે છે કે આ તમામ રાજ્યપાલના સક્રિય સહયોગથી થયું. પરંતુ મહારાષ્ટ્રમાં સૌથી વધારે બેઠક મેળવવા છતા ભાજપ સરકાર બનાવવાનો દાવો રજુ કેમ નથી કરી રહી ? સંપાદકીયમાં પાર્ટીને એકવાર ફરી જલ્દી જ સરકાર બનાવવાની વાત કરાઇ. મહારાષ્ટ્રનું વર્તમાન વિધાનસભા સત્ર 9 નવેમ્બરે પૂર્ણ થઇ રહ્યું છે.
શિવસેનાએ કહ્યું, 'રાજ્યપાલ ભાજપને સરકાર બનાવવા માટે બોલાવી શકે છે. કેમકે તેમની પાસે સૌથી વધારે બેઠકો છે અને ભાજપે આ તક ન ગુમાવવી જોઇએ. 'સામના' માં ભાજપના શિવસેના સાથે મળીને સરકાર બનાવવાના દાવાની ટીકા પણ કરાઇ હતી. શિવસેનાએ કહ્યું, એ વચનનું શું જે ગઠબંધન બનાવતા સમયે સત્તાની વહેંચણીને લઇને અપાયુ હતું? ભાજપ સતત એમ કહી રહી છે કે સત્તાની ભાગીદારીને લઇને કોઇ આશ્વાસન આપવામાં આવ્યું નથી.
મુખ્યમંત્રી પદ શેયર કરવાનું વચન પૂર્ણ ન કરવાને લઇને પણ એકવાર ફરી શિવસેનાએ ભાજપ પર હુમલો કર્યો. શિવસેનાએ કહ્યું, શિવસેના વિના રાજ્યમાં સરકારનું ગઠન ન થઇ શકે, પરંતુ ભાજપ પોતાની પ્રતિબદ્ધતાઓ પૂર્ણ કરવા તૈયાર નથી. આ કેવી રાજનીતિ છે.