બનાસકાંઠા: આગામી લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા બનાસકાંઠામાં કોને ટિકિટ આપવામાં આવે તે માટે વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે હવે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણી માટે શંકર ચૌધરીને ટિકિટ આપવામાં આવી શકે છે.
બનાસકાંઠા બેઠક પર પરથી ભટોળ અને હરી ચૌધરીના નામ પર ફરી એક વખત કાતર લાગી શકે છે. આ બેઠક પર ભાજપ દ્વારા ટિકિટ આપવામાં આવે તો ફરી એક વખત શંકર ચૌધરીએ ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી છે.
તમને જણાવી દઇએ કે, તમામ સમાજના લોકો પોતપોતાના આગેવાનો માટે ટિકિટની માગ કરી રહ્યા છે. બનાસકાંઠામાં ઠાકોર સમાજનું પ્રભુત્વ વધુ છે. ત્યારે તાજેતરના થોડા દિવસો પહેલાં ડીસામાં ઠાકોર સમાજની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં લોકસભા ટિકિટ મુદ્દે ચર્ચા કરવામાં આવી અને ઠાકોર સમાજ દ્વારા ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષ પાસેથી ટિકિટની માગ કરી છે અને જો ટિકિટ નહીં આપે તો અપક્ષ ઉમેદવાર ઉતારવાની પણ તૈયારી બતાવી હતી.
તો આ બાજુ બનાસકાંઠા બેઠક પરથી ટિકિટ મેળવવા લીલાધર વાઘેલાએ ધમપછાડા શરૂ કર્યા હતા. ટિકિટ મેળવવા માટે લીલાધર વાઘેલાએ મુખ્યમંત્રી વિજય રૂપાણી, જીતુ વાઘાણી અને ભીખુ દલસાણિયાને પત્ર લખ્યો હતો અને 2014માં પક્ષે ટિકિટ આપવાનો વાયદો યાદ અપાવ્યો હતો.
લીલાધર વાઘેલાએ પત્રમાં દાવો કર્યો હતો કે, 2014ની ટિકિટની વહેંચણી વખતે પક્ષે હરિભાઈ ચૌધરીને ટિકિટ આપવાનું નક્કી કર્યું હતું અને 2019માં મને ટિકિટ આપવાનું વચન આપ્યું હતું. પત્રમાં તેમણે રજૂઆત કરી હતી કે, પક્ષ વચન પૂર્ણ કરે અને મને અથવા પુત્ર દિલીપને ટિકિટ આપે.
તમને જણાવી દઇએ કે, લોકસભાની બનાસકાંઠા બેઠક પરથી ચૂંટણી લડવા માટે ભાજપના બે સાંસદ લીલાધર વાઘેલા અને હરિભાઈ ચૌધરી વચ્ચે ગજગ્રાહ ચાલી રહ્યો છે ત્યારે હવે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણી માટે શંકર ચૌધરીને ટિકિટ આપવામાં આવી શકે છે.