ચીન પોતાની આંતરરાષ્ટ્રીય સરહદો પણ ખોલશે, ચીન 2020થી લગભગ 3 વર્ષ પછી આંતરરાષ્ટ્રીય કવોરેન્ટાઇન નિયમોમાંથી મુક્તિ આપવા જઈ રહ્યું છે
ચીનમાં કોરોનાના કારણે થયેલી તબાહી વચ્ચે ઘણા નિર્ણયો લેવાયા
8 જાન્યુઆરીથી વિદેશથી આવતા પ્રવાસીઓને ક્વોરેન્ટાઇનમાંથી મુક્તિ
ચીન પોતાની આંતરરાષ્ટ્રીય સરહદો પણ ખોલવા જઈ રહ્યું છે
ચીનમાં કોવિડ પોલિસી પાછી ખેંચી લીધા બાદ કેસ ઝડપથી વધ્યા
ચીનમાં કોરોનાના કારણે થયેલી તબાહી વચ્ચે ઘણા ચોંકાવનારા નિર્ણયો લેવામાં આવ્યા છે. ચીને 8 જાન્યુઆરીથી વિદેશથી આવતા પ્રવાસીઓને ક્વોરેન્ટાઇનમાંથી મુક્તિ આપવાની જાહેરાત કરી છે. એટલું જ નહીં ચીન પોતાની આંતરરાષ્ટ્રીય સરહદો પણ ખોલવા જઈ રહ્યું છે. ચીન 2020થી લગભગ 3 વર્ષ પછી આંતરરાષ્ટ્રીય કવોરેન્ટાઇન નિયમોમાંથી મુક્તિ આપવા જઈ રહ્યું છે. આ પહેલા ચીને ડિસેમ્બરમાં જ વિવાદાસ્પદ કોવિડ પોલિસી પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. આનો ભારે વિરોધ થયો હતો. ચીનમાં કોવિડ પોલિસી પાછી ખેંચી લીધા બાદ કેસ ઝડપથી વધી રહ્યા છે.
ચીનમાં જ્યાં કોરોનાને કારણે તબાહી ચાલી રહી છે તો બીજી તરફ પ્રતિબંધો હટાવવામાં આવી રહ્યા છે. આવી સ્થિતિમાં ચીનના આ નિર્ણયો ચોંકાવનારા છે. ચીને દાવો કર્યો છે કે, છેલ્લા 6 દિવસથી કોરોનાને કારણે કોઈ મૃત્યુ થયું નથી. જોકે સોશિયલ મીડિયા પર જે વીડિયો અને તસવીરો સામે આવી રહી છે તે કંઈક અલગ જ વાર્તા કહી રહ્યા છે. તસ્વીરોમાં સર્વત્ર તબાહીના દ્રશ્યો નજરે પડે છે. હોસ્પિટલોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. ઘણા શહેરોમાં વધી રહેલા કોરોના કેસને કારણે દવાઓની ભારે અછત છે. ડૉક્ટરો અને મેડિકલ સ્ટાફ પણ મોટી સંખ્યામાં સંક્રમિત છે. સ્મશાનગૃહો પર લાઇનો છે. આ બધાની વચ્ચે ચીન ન માત્ર કોરોના સંબંધિત આંકડાઓ છુપાવી રહ્યું છે, પરંતુ તે બતાવવાની કોશિશ પણ કરી રહ્યું છે કે દેશમાં બધું બરાબર છે.
ક્વોરેન્ટાઇનના નિયમોમાં ફેરફાર
આ બધાની વચ્ચે ચીને વિદેશથી આવતા મુસાફરો માટે ક્વોરેન્ટાઇનના નિયમોમાં ફેરફાર કર્યો છે. 8 જાન્યુઆરીથી અહીં આવનારા મુસાફરોને ક્વોરેન્ટાઈન કરવામાં આવશે નહીં. હાલમાં ચીનની બહારથી આવતા મુસાફરોને 5 દિવસ માટે હોટલમાં રાખવામાં આવ્યા હતા જ્યારે ત્રણ દિવસ માટે સેલ્ફ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા હતા. ચીનમાં 2020થી વિદેશી પ્રવાસીઓને ક્વોરેન્ટાઈન કરવાનો નિયમ હતો. પરંતુ હવે તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 8 જાન્યુઆરીથી કોઈપણ મુસાફરને ક્વોરેન્ટાઈન કરવામાં આવશે નહીં. જોકે ચીન આવતા પહેલા મુસાફરોએ કોરોના ટેસ્ટ કરાવવો પડશે. પરંતુ ટેસ્ટ રિપોર્ટ ચીની એમ્બેસીને સબમિટ કરવાનો રહેશે નહીં. તેના બદલે ફ્લાઈટમાં ચઢતા પહેલા માત્ર ટેસ્ટ રિપોર્ટ જ બતાવવાનો રહેશે.
સરહદો ખોલવાનો નિર્ણય
એટલું જ નહીં ચીને પોતાની સરહદો ખોલવાનો નિર્ણય લીધો છે. હવે ચીનમાં સડક અને પાણી દ્વારા આવવા પરનો પ્રતિબંધ હટાવી દેવામાં આવશે અને મુસાફરોની અવરજવર ધીમે ધીમે ફરી શરૂ થશે. આટલું જ નહીં વિદેશથી કામ, ધંધો, અભ્યાસ શરૂ કરવા અથવા પરિવાર સાથે પરત ફરવા માટે આવતા વિદેશી પ્રવાસીઓ માટે સિસ્ટમ વધુ સારી બનાવવામાં આવશે અને તેમને ફરીથી વિઝા આપવામાં આવશે.
અત્યાર સુધી આંતરરાષ્ટ્રીય પેસેન્જર ફ્લાઇટની સંખ્યાને નિયંત્રિત કરવા માટે ચીનમાં ફાઇવ વન પોલિસી લાગુ કરવામાં આવી હતી. આ મુજબ દરેક વિદેશી એરલાઈન્સ ચીનમાં માત્ર એક જ હવાઈ માર્ગ અપનાવશે અને અઠવાડિયામાં એક ફ્લાઈટ ઓપરેટ કરશે. આમાં પણ મુસાફરોની સંખ્યા પર નિયંત્રણ રાખવામાં આવ્યું હતું. પરંતુ હવે ચીને આ નીતિને પણ ખતમ કરવાની જાહેરાત કરી છે. જોકે ફ્લાઇટમાં મુસાફરોએ હજુ પણ માસ્ક સહિત અન્ય કોરોના નિયમોનું પાલન કરવું પડશે.
કોરોના સામે લડવા માટે નવી રણનીતિ
ચીનના પ્રશાસને કોરોના સામે લડવા માટે નવી રણનીતિ બનાવી છે. હવે ચીને કોરોનાને વર્ગ B રોગની શ્રેણીમાં મૂક્યો છે. ડેન્ગ્યુ તાવ જેવા ઓછા ગંભીર રોગોને આ શ્રેણીમાં રાખવામાં આવ્યા છે. એટલું જ નહીં ચીનમાં હવે કોરોનાને ન્યુમોનિયા નહીં પણ ચેપ કહેવાશે. નેશનલ હેલ્થ કમિશને કહ્યું કે, આ ફેરફાર રોગના વર્તમાન ખતરાના સ્તરને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે. 2020થી કોરોના વર્ગ A શ્રેણીમાં હતો. ત્યારબાદ કોરોના કેસ આવ્યા બાદ કડક નિયંત્રણો લાદવામાં આવ્યા હતા. ચેપગ્રસ્ત લોકોને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા હતા. સંબંધિત વ્યક્તિઓની તપાસ કરવામાં આવી હતી. કેસ વધતાં લોકડાઉન લાદવામાં આવ્યું હતું. પરંતુ હવે બી કેટેગરીમાં આવું નહીં થાય. એટલે કે હવે ધ્યાન માત્ર જરૂરી સારવાર અને ચેપથી બચવા પર રહેશે.
નેશનલ હેલ્થ કમિશને શું કહ્યું હતું ?
આ પહેલા રવિવારે નેશનલ હેલ્થ કમિશને કહ્યું હતું કે, તે હવે કોવિડ ડેટા જાહેર કરશે નહીં. પંચ દ્વારા કહેવામાં આવ્યું છે કે, હવે કોરોના સંબંધિત ડેટા ચીનના રોગ નિયંત્રણ અને નિવારણ કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવશે. જોકે સીડીસી કેટલી વાર ડેટા જાહેર કરશે તે જણાવવામાં આવ્યું નથી.
નોંધનીય છે કે, ચીનમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. અહીં છેલ્લા 20 દિવસમાં 25 કરોડ (250 મિલિયન) લોકો કોરોના પોઝિટિવ જોવા મળ્યા છે. સરકારી દસ્તાવેજો લીક થયા બાદ આ વાતનો ખુલાસો થયો છે.રેડિયો ફ્રી એશિયાએ સોશિયલ મીડિયા પર ચાલી રહેલા દસ્તાવેજોને ટાંકીને કહ્યું છે કે, મહિનાના પહેલા સપ્તાહમાં 'ઝીરો-કોવિડ પોલિસી'માં મુક્તિ મળ્યા બાદ સ્થિતિ ચિંતાજનક બની હતી અને માત્ર 20 દિવસમાં સમગ્ર ચીનમાં લગભગ 250 મિલિયન લોકો કોવિડ-19થી પ્રભાવિત થયા છે.