AMTSના સત્તાધીશો દ્વારા તાજેતરમાં આગામી નાણાકીય વર્ષ ર૦ર૦-ર૧ માટે ભપકાદાર બજેટ તૈયાર કરાયું છે. એએમટીએસ અને બીઆરટીએસ વચ્ચે તાજેતરમાં બીઆરટીએસ કોરિડોરમાંથી દોડાવવાના મામલે ઘર્ષણ થયું હતું. હવે આ પ્રકારના ઘર્ષણને ટાળવા માટે સંયુક્ત કમિટી બનાવાશે અને આ કમિટી સમાન રૂટ, સમાન ઓપરેશન અને સમાન મોબિલિટી વગેરે બાબતોનો અભ્યાસ કરશે.
અમદાવાદમાં ૯૦થી વધુ કંટ્રોલ કેબિન, પરંતુ અત્યારે માત્ર રપ કેબિન કાર્યરત
લાલદરવાજા ટર્મિનસની પ૦ ટકાથી વધુ કંટ્રોલ કેબિન બંધ
બસના ટાઈમ સહિતની માહિતી ન મળતાં પેસેન્જર પરેશાન
માસ મેનેજમેન્ટ ઇન્ફર્મેશન સિસ્ટમ ઊભી કરવાની જાહેરાત કરાઇ છે. એએમટીએસના પેસેન્જર માટે વાઇફાઇ સાથેનાં સ્માર્ટ બસ સ્ટોપ પોલ પણ બનાવાશે, પરંતુ ખાટલે મોટી ખોડ એ છે કે પેસેન્જરને નિર્ધારિત સમયે બસ મળી રહે તેમજ અજાણ્યા પેસેન્જરને જે તે રૂટની માહિતી આપી શકે તેવા કંટ્રોલર જ પૂરતી સંખ્યામાં નથી. પરિણામે સેંકડો પેસેન્જરને લાલદરવાજા જેવા મહત્ત્વપૂર્ણ ટર્મિનસ ખાતે પણ બંધ કંટ્રોલ કેબિનના કારણે રઝળવું પડે છે.
એએમટીએસ બસ સર્વિસને 'સ્માર્ટ' બનાવવા માટે બજેટમાં લોભામણી જાહેરાત કરાઇ છે, જેમાં સ્માર્ટ ટોઇલેટનો પણ સમાવેશ કરાયો છે. સોલર પેનલથી ચાલતા સ્માર્ટ બસ સ્ટોપ પોલ આવકાર્ય છે. તંત્ર દ્વારા પેસેન્જરના લાભ માટે અપાતી તમામ સુવિધા છેવટે તો એએમટીએસની રસાતળે ગયેલી પ્રતિષ્ઠા પુનઃ મેળવવા માટે જરૂરી છે, પરંતુ એએમટીએસના લાલદરવાજા જેવા સતત પેસેન્જરની અવરજવરથી ધમધમતા મુખ્ય ટર્મિનસમાં કંટ્રોલ કેબિન બંધ હાલતમાં હોય તે સત્તાવાળાઓ માટે શોભાસ્પદ નથી તેવું એએમટીએસનાં આંતરિક વર્તુળોમાં જ ચર્ચાઇ રહ્યું છે.
એએમટીએસને સ્માર્ટ બનાવો, પરંતુ પહેલાં પેસેન્જરને પ્રાથમિક સુવિધા આપો. લાલદરવાજાની કુલ ૧૦ કંટ્રોલ કેિબન પૈકી અડધોઅડધ કેબિન કંટ્રોલરના અભાવે બંધ પડી છે એટલે પેસેન્જરને નિર્ધારિત સમય પર બસ મળતી નથી. આ તો ઠીક, જે તે સ્થળે જવા માટે બસની પૂછપરછ પણ પેસેન્જર કરી શકતા ન હોઇ ખાસ કરીને અજાણ્યા પેસેન્જરને રીતસરનું રઝળવું પડે છે.
એક અંદાજ પ્રમાણે એએમટીએસના લાલદરવાજા, કાલુપુર, વાડજ, નવા વાડજ, વાસણા, પાલડી જેવાં મહત્ત્વનાં ટર્મિનસ તેમજ ઇસ્કોન, બુટભવાની મંદિર, બાપુનગર, મેઘાણીનગર, બોપલ સહિતના અન્ય જે તે રૂટનાં આરંભ કે છેલ્લાં બસ સ્ટોપ કે રૂટ પરના મહત્ત્વના બસ સ્ટોપના કંટ્રોલ કેબિન મળીને કુલ ૯૦ કંટ્રોલ કેબિન છે, પરંતુ આ ૯૦ કંટ્રોલ કેબિન પૈકી ૭૦ ટકા કેબિન પણ ચાલુ નથી એટલે કે ફક્ત રપ કંટ્રોલ કેબિન કાર્યરત છે. સત્તાવાળાઓએ બજેટ પહેલાં રપ કંટ્રોલ કેબિન શરૂ કરાવી છે, જોકે આટલી સંખ્યા ખરેખર સંતોષજનક તો નથી જ.
આ અંગે એએમટીએસના ચેરમેન અતુલ ભાવસારને પૂછતાં તેઓ કહે છે, છેલ્લાં ર૦ વર્ષથી એએમટીએસમાં નવી ભરતી અને પ્રમોશન થતાં નથી એટલે મ્યુનિસિપલતંત્રમાંથી એએમટીએસમાં પરત આવેલા ૧૦૪ કંડક્ટર પૈકી અમુકને કંટ્રોલરનો ચાર્જ સોંપાશે. આમ કરીને જ્યાં બસની અવરજવર વધુ હોય તે જગ્યાએ કંટ્રોલ કેબિન શરૂ કરાશે. અત્યારે આવી વધુ રપ કંટ્રોલ કેિબન ચાલુ કરવાની વિચારણા છે, જોકે પ્રમોશનના અભાવે કોઇ સરળતાથી કંટ્રોલર બનવા તૈયાર થતું નથી. આ મામલે મારે અવારનવાર મ્યુનિસિપલતંત્ર સાથે ઘર્ષણ પણ થાય છે. તેમ છતાં પ્રમોશનનો મામલો આગળ વધતો નથી.