વેક્સિન બનાવતી કંપનીઓની માંગ છે કે જૉ તેમની વેક્સિન કોઈને નુકસાન પહોંચાડે છે તો સરકાર કંપનીને કાયદાકીય કાર્યવાહી તથા વળતરના દાવા સામે છૂટ આપે.
ભારતમાં વેક્સિનેશન માટે ખૂબ જરૂરી છે વિદેશી વેક્સિનના ડોઝ
વેક્સિનનિર્માતા કંપનીઓએ સરકાર સામે મૂકી દીધી શરત
વિદેશી કંપનીઓને સરકાર છૂટ આપી શકે તેવું સાંભળતા જ સિરમ ઈન્સ્ટિટ્યૂટે પણ બાંયો ચડાવી
ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર ચાલી રહી છે. કોરોના વાયરસના કારણે દરરોજ હજારો લોકો જ્યાં જીવ ગુમાવી રહ્યા છે ત્યાં જલ્દીથી બધાને વેક્સિન મળે તે ખૂબ જરૂરી છે, એવામાં ભારત સરકાર પર વેક્સિનની નીતિને લઈને ચારે તરફથી દબાણ કરવામાં આવી રહ્યું છે.
ભારતમાં વિદેશી વેક્સિન આવે તેવી માંગ
ભારતમાં વિદેશોથી વહેલામાં વહેલી તકે ફાઇઝર અને મોડર્ના સહિતની વેક્સિનના ડોઝ ઓર્ડર કરીને લાવવામાં આવે તેવી સરકાર પાસે માંગ કરવામાં આવી રહી છે. સરકારનો દાવો છે કે જુલાઇ મહિનામાં ભારતમાં દરરોજ એક એક કરોડ ડોઝ લોકોને આપવામાં આવશે ત્યારે વેક્સિનને સરળતાથી ભારતમાં ઉપયોગની છૂટ મળે તે માટે ભારત સરકાર કેટલાક નિયમોમાં ફેરફાર કરવા તથા રાહત આપવા માટે તૈયાર થઈ છે જેમાં સૂત્રો દ્વારા કરાયેલા દાવા અનુસાર ભારત સરકાર હવે વિદેશી વેક્સિનનિર્માતા કંપનીને નુકસાન ભરપાઈ મામલે કાયદાકીય કાર્યવાહીમાં છૂટ આપી શકે છે.
શું છે આખો મામલો
જે તે વેક્સિન બનાવતી કંપનીઓની માંગ છે કે જૉ તેમની વેક્સિન કોઈને નુકસાન પહોંચાડે છે તો સરકાર કંપનીને કાયદાકીય કાર્યવાહી તથા વળતરના દાવા સામે છૂટ આપે.
સિરમે કહ્યું નિયમ બધા માટે એક જ હોવા જોઈએ
સિરમ ઇન્સ્ટિટ્યૂટની માંગ છે કે જૉ વિદેશી વેક્સિન કંપનીઓને એ સુવિધા આપવાં આવે તો ઘરેલૂ કંપનીઓને પણ તેની છૂટ આપવી જોઈએ. જોકે સરકાર સત્તાવારરૂપે હજુ સુધી આ મુદ્દે કોઈ નિર્ણય લીધો નથી.
સિરમ ઈન્સ્ટિટ્યૂટે પણ કરી માંગણી
કોવિશિલ્ડ વેક્સિનની મેન્યુફેક્ચરર કંપની સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ સરકાર પાસેથી વેક્સિનના નુકસાનની પૂર્તિ કરવાની જવાબદારીથી છૂટ માંગી છે. ભારત સરકાર ફાઇઝર અને મોડર્નાને આ નિયમમાં છૂટ આપવા જઈ રહી છે તેવી જાણકારી સામે આવતા જ સિરમ પણ સામે આવી છે સરકાર પાસે આ પ્રકારની માંગણીઓ કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે ભારતમાં કોરોના વાયરસની રસીને લઈને ભારત સરકારના સૂત્રો દ્વારા જાણકારી સામે આવી છે કે સરકાર ભારતમાં વેક્સિનને મંજૂરીમાં તેજી લાવવા માટે ફાઇઝર અને મોડર્નાને વળતરના મુદ્દા પર છૂટ આપી શકે છે. જે બાદ ભારતની અન્ય વેક્સિન નિર્માતા કંપનીઓ પણ આ જ માંગ કરી રહી છે.
બ્રિજિંગ ટ્રાયલમાંથી આપી મુક્તિ
ભારતમાં અત્યાર સુધી નિયમ હતો કે વિદેશમાંથી કોઈ કંપની ભારતમાં વેક્સિન લાવે છે તો પહેલા તે વેક્સિનનું બ્રિજિંગ ટ્રાયલ કરવાં આવે. પરંતુ ભારતમાં કોરોના વાયરસની રસીની ઉપલબ્ધતાને પહોંચી વળવા માટે ભારત સરકાર દ્વારા તેમાં પણ રાહત આપવામાં આવી છે. હવે કોરોના વાયરસ સામેની વેક્સિનનો ઉપયોગ ભારતમાં શરૂ કરવો હોય તો તેના માટે બ્રિજિંગ ટ્રાયલની આવશ્યકતા નથી. માનવામાં આવે છે કે ભારત સરકારના આ નિર્ણયથી વિદેશી વેક્સિનને ભારતમાં વહેલામાં વહેલી તકે ઉપયોગમાં લેવામાં સરળતા આવશે.