કોરોના વાયરસના સતત વધતાં કેસ વચ્ચે ગુજરાતમાં સ્વંયભૂ લોકડાઉન થઈ રહ્યા છે.
ગુજરાતમાં વિવિધ શહેરોમાં લોકડાઉન
નપા સાથે બેઠક કરીને વેપારીઓ કરી રહ્યા છે લોકડાઉન
કેટલાકમાં વિકેન્ડ તો કેટલાકમાં સપ્તાહનું લોકડાઉન
તાલાલા શહેરમાં લોકડાઉન
તાલાલા શહેરમાં પણ ન.પા અને ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. 18 એપ્રીલ સુધી તાલાલામાં લોકડાઉન રાખવામાં આવશે જેમાં શાકભાજી અને મેડીકલ સ્ટોર સવારે 8 થી 1 વાગ્યા સુધી ચાલુ રહેશે. દૂધની ડેરી સવારના 7 થી 9 વાગ્યા સુધી માત્ર બે કલાક માટે જ ખોલવામાં આવશે. બાકીના તમામ વેપાર ધંધા સંપૂર્ણ પણે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
કચ્છના ભચાઉમાં વિકેન્ડ લોકડાઉન લાગશે
કચ્છના ભચાઉમાં નપા, વેપારીઓ, અગ્રણીઓએ કોરોના વાયરસની પરિસ્થિતિ મુદ્દે બેઠક કરી હતી જેમાં વિકેન્ડ લોકડાઉન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ભચાઉમાં 3 દિવસ માટે વિકેન્ડ લોકડાઉન લગાવવામાં આવશે.
ઉપલેટામાં 15થી 18 એપ્રિલ સુધી લોકડાઉન
ઉપલેટામાં કોરોનાના કેસોમાં વધારો થતા 15થી 18 એપ્રિલ સુધી લોકડાઉન કરવા માટે વેપારીઓ તૈયાર થઈ ગયા છે. નગરપાલિકા અને ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે ગુરુવારથી રવિવાર સુધી કોરોના વાયરસની ચેન તોડવા માટે લોકડાઉન કરવામાં આવે. આ સિવાય 30 એપ્રિલ સુધી સવારના 6થી 2 વાગ્યા સુધી જ દુકાનો ખુલ્લી રહેશે તેવો નિર્ણય પણ કરવામાં આવ્યો છે.
વિજયનગરમાં નાના મોટા તમામ ધંધા રોજગાર બંધ
સાબરકાંઠાના વિજયનગરમાં આજથી ત્રણ દિવસ સ્વયંભૂ લોકડાઉન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી ત્રણ દિવસ શહેરના નાના મોટા તમામ ધંધા રોજગાર બંધ રાખવામાં આવશે.
7 દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરાયું
કોરોના મહામારીના પગલે સાબરકાંઠાના ઇડરના દરામલી ગામે સાત દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યુ છે. અન્ય ગામડાઓ માટે સ્વૈચ્છિક લોકડાઉન માટે વિશેષ દિશા સૂચન કર્યું છે. સાબરકાંઠાના દરામલીમાં એક સાથે 15 જેટલા કેસ કોરોના પોઝિટિવ આવતા ગામની રોગ કલ્યાણ સમિતિ એક બેઠક બોલાવી હતી. જેમાં 300 જેટલી દુકાનો સહિત ગામના તમામ લોકો માટે સ્વૈચ્છિક લોક ડાઉન માટેની વાતને સમગ્ર ગામ માટે લાગુ કરવાની રજૂઆત કરી હતી. જે અંતર્ગત ગામના આગેવાનો સહિત વેપારીઓ અને સ્થાનિક કોઈ આ વાતને સ્વીકારી અને તાત્કાલિક ધોરણે લોકડાઉનની વાતને અમલી બનાવી હતી. જે અંતર્ગત ગામમાં સવારે આઠથી બાર વાગ્યા સુધી દુકાનો સહિત બજારો ખુલ્લાં રહેશે ત્યારબાદ ગામમાંથી હાઇવે પસાર થતો હોવા છતાં 300થી વધારે દુકાનો બંધ રહેશે તેમજ આ ગામમાં કોરોના સંક્રમણ વધારે ન ફેલાય તે માટે તમામ લોકોને માસ્ક સેનેટાઈઝર અને સામાજિક અંતર રાખવાની જોગવાઈ કરવામાં આવી છે.
ભાજપ નેતા કાનાબારેએ લોકડાઉનની કરી માંગ
દેશભરમાં કોરોનાની બીજી લહેર ખતરનાક સાબિત થઇ રહી છે. દિવસેને દિવસે કેસમાં વધારો થઇ રહ્યો છે ત્યારે રાજ્યમાં ફરી લોકડાઉન લગાવવાની માગ કરવામાં આવી છે. ભાજપ નેતા ભરત કાનાબારે ખુદ રાજ્યમાં ઓછામાં ઓછા 14 દિવસના લોકડાઉનની માગ કરી છે. ભરત કાનાબારેનું કહેવું છે કે અત્યાર દેશભરમાં લોકોનીની બીજી લહેર ખતરનાક સાબિત થઇ રહી છે. ત્યારે રાજ્યમાં સ્થિતિ એવી છે કે મેડિકલને પણ થોડો વિસામો આપવાની જરૂર છે. જો સરકાર તાત્કાલિક નિર્ણય નહીં લે તો ગુજરાતને પણ મહારાષ્ટ્ર બનતા નહીં અટકાવી શકાય.