રાજકોટઃ મગફળીકાંડ મામલે વિપક્ષના નેતા પરેશ ધાનાણી ઉપવાસ કરી રહ્યા છે. ત્યારે આજે પરેશ ધાનાણીના પ્રતિક ઉપવાસનો બીજો દિવસ છે. પરેશ ધાનાણી ગોંડલના રામરાજ્ય ગોડાઉન સામે પ્રતિક ઉપવાસ કરશે.
મહત્વનુ છે કે રાજકોટ જિલ્લામાં પ્રથમ વખતે 2 ફેબ્રુઆરીના રોજ 28 કરોડની મગફળી બળીને ખાક થઈ હતી.
આ મામલે પોલીસે ગોડાઉન માલિક સહિત 6 લોકોની ધરપકડ કરાઈ હતી. 4 મહિના બાદ પોલીસ દ્વારા જામીન પર આરોપીઓને છોડવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે રાજકોટમાં જેતપુરના મગફળીના ગોડાઉનમાંથી બોરીઓમાંથી માટી અને કાંકરા મળી આવ્યા હતા. ત્યારે આ મામલે કોંગ્રેસ દ્વારા મગફળીકાંડ મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. વિપક્ષના નેતા પરેશ ધાનાણી જેતપુરના જયશ્રી ગોડાઉન ખાતે ધરણા પર ઉતર્યા હતા. ત્યારે આજે તેમના ઉપવાસનો બીજો દિવસ છે.
વિપક્ષના નેતાના સરકાર પર આક્ષેપ
વિપક્ષના નેતાએ સરકાર પર પ્રહાર કરતા કહ્યુ હતુ કે આ પહેલા સરકારી ગોડાઉનોમાં આગ લાગી હતી. સરકારે પુરાવાનો નાશ કરવા માટે ષડયંત્ર રચ્યુ છે. ત્યારે હવે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જવાબ આપતા કહ્યુ છે કે આ મામલે દોષિતોને સજા આપવામાં આવશે. ભાજપ અથવા કોંગ્રેસના કોઈ સભ્ય હોય તમામ સામે કાર્યવાહી થશે.