હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સનાતન ધર્મનો કોર્સ શરૂ થશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ BAPS કોર્સને લઇ મહત્વનો નિર્ણય લીધો છે. મહત્વનું છે કે, છેલ્લા એક-બે દિવસ અગાઉ સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક સંતોના વિવાદાસ્પદ નિવેદનના કારણે સમગ્ર હિંદુ સમાજ તેમજ સાધુ-સંતોમાં ભારે વિવાદ સર્જાયો હતો. ત્યારે એવામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ મહત્વનો નિર્ણય કર્યો છે.
વિવાદ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો મહત્વનો નિર્ણય: BAPSનો કોર્ષ ભણાવવાનો નિર્ણય રદ્દ કર્યો, હવેથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સનાતન ધર્મનો કોર્ષ શરૂ કરાશે, સંત સમાજ દ્વારા કરવામાં આવ્યો હતો વિરોધ#BAPSCourse#SaurashtraUniversity
સંતોના વિવાદાસ્પદ નિવેદન બાદ યુનિવર્સિટીએ BAPSનો કોર્સ ભણાવવાનો નિર્ણય રદ્દ કર્યો
સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોના વિવાદાસ્પદ નિવેદન બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ BAPSનો કોર્સ ભણાવવાનો નિર્ણય રદ્દ કર્યો છે. એટલે કે હવેથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સનાતન ધર્મનો કોર્સ શરૂ કરાશે. તમને જણાવી દઇએ કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આગામી વર્ષથી BAPSનો કોર્સ શરૂ કરવાની હતી. જેમાં સ્વામિનારાયણ સપ્રદાયના સંતો અને મંદિરના ઉદાહારણો આપવાનો નિર્ણય લેવાયો હતો. વિદ્યાર્થીકાળથી યુવાનોમાં સ્કીલના નામે ધર્મ શીખવવાનો હતો. આ સિલેબસના એક પુસ્તકની કિંમત 220 રૂપિયા છે. આ અંગે યુનિવર્સિટીના રજીસ્ટારે પરિપત્ર બહાર પાડ્યો હતો. BAPS સંસ્થાએ જે વીડિયો લેક્ચર તૈયાર કર્યા છે તે સૌથી પહેલા કોલેજના પ્રોફેસરોને શીખવવાના હતા અને બાદમાં પ્રોફેસર વિદ્યાર્થીઓને શીખવવાના હતા. પરંતુ હવે યુનિવર્સિટીએ BAPSનો કોર્સ ભણાવવાનો નિર્ણય રદ કરી દીધો છે. સંત સમાજ દ્વારા વિરોધ કરવામાં આવતા હવેથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સનાતન ધર્મનો કોર્સ શરૂ થશે.
સરકારના દેખાડવાના અને ચાવવાના દાંત જુદા: સંજય ઠાકર
સંજય ઠાકરે આક્ષેપ કર્યો કે, જો સરકારની ઈચ્છા શક્તિ હોય તો શ્રીમદ્ ભગવદ્ ગીતા પાઠ્યક્રમમાં સામેલ થઈ ગઈ હોત. પણ સરકારની નક્કર ઈચ્છા શક્તિ હોય એવું અમને નથી લાગતું. સરકારે જ્યારે એક મક્કમ નિર્ણય કર્યો હોય, તો પછી એનું અમલીકરણ એ પણ તાત્કાલિક થવું જોઈએ. જે અત્યારે નથી થતું આ સરકારની ઈચ્છા શક્તિમાં મને કંઈક ખોટ દેખાઈ રહી છે.
તેઓએ ભગવત ગીતાને લઈને જણાવ્યું કે, સરકારના દેખાડવાના અને ચાવવાના દાંત જુદા છે. કારણ કે, ગાય, ગીતા અને ગંગા આ ત્રણ હિન્દુત્વની આધારશીલા છે અને આ ત્રણ માટે થઈને નક્કર કામગીરી ન થતી હોય, ગાયો રસ્તે રજડતી હોય, ગાયોની કતલ થતી હોય, ગંગાનું કોઈ શુદ્ધિકરણ ન થતું હોય અને શ્રીમદ્ ભગવદ્ ગીતાની આવી જાહેરાત છતાં હજુ એક પણ રાજ્યમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાના અભ્યાસક્રમનો અમલીકરણ ન થતો હોય તો પછી ગાય, ગીતા અને ગંગા આ ત્રણ હિન્દુત્વની આધારશીલા છે અને એના માટે જો નક્કર કામગીરી ન કરી શકતા હોય તો એને પોકળ જાહેરાતો સિવાય બીજુ શું કહેવું.
રિપોર્ટ તૈયાર કરીને આપ્યો છતાં અભ્યાક્રમમાં નથી કરાયો સમાવેશ
ભગવત ગીતા અભ્યાસક્રમ કમિટીના સભ્ય સંજય ઠાકરે જણાવ્યું છે કે, ચાલુ સત્રમાં ભગવત ગીતાનો અભ્યાસક્રમમાં સમાવેશ કરવાનો હતો. આ મુદ્દે સરકારે 17 માર્ચે જાહેરાત પણ કરી દીધી હતી. સરકારે અલગ-અલગ 15 તજજ્ઞોની કમિટી બનાવી હતી. આ કમિટીએ અભ્યાક્રમ સામેલ કરવા માટે રિપોર્ટ પણ તૈયાર કર્યો હતો. પરંતુ હજુ સુધી શિક્ષણ વિભાગે અભ્યાસક્રમનો સમાવેશ કર્યો નથી.