નાપાસ થયેલા વિદ્યાર્થીઓ 6 મહિનામાં જ પરીક્ષા આપી શકશે
તમામ વિદ્યાર્થીઓને હવે નિઃશુલ્ક પ્રોવિઝનલ ડિગ્રી સર્ટિફિકેટ અપાશે
વિદ્યાર્થીઓના હિતમાં રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે. પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ મહત્વનો નિર્ણય કર્યો. નાપાસ થયેલા વિદ્યાર્થીઓ હવે 6 મહિનામાં જ પરીક્ષા આપી શકશે. પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓનું વર્ષ ન બગડે તે માટે વિદ્યાર્થીઓના હિતમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ મહત્વનો નિર્ણય લીધો.
કોઈ વિદ્યાર્થી નાપાસ થયો હોય તો તેની પરીક્ષા 6 મહિનાની અંદર લેવાશે
ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કુલપતિની અધ્યક્ષતામાં ગઈકાલે આચાર્યોની એક બેઠક યોજાઈ હતી. જેમાં ત્રણ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયા હતા. કુલપતિએ બેઠકમાં જણાવ્યું હતું કે, 'હવેથી દરેક સેમેસ્ટરની પરીક્ષા વર્ષમાં 2 વખત લેવામાં આવશે. એટલે કે, કોઈ વિદ્યાર્થી નાપાસ થયો હોય તો તેની પરીક્ષા 6 મહિનાની અંદર લેવામાં આવશે. એટલે કે હવે તેણે આખું વર્ષ રાહ નહીં જોવી પડે.'
તમામ વિદ્યાર્થીઓને હવે નિઃશુલ્ક પ્રોવિઝનલ ડિગ્રી સર્ટિફિકેટ અપાશે
આ સાથે 'આઝાદી કા અમૃત મહોત્સવ' અંતર્ગત નિર્ણય કરી તમામ વિદ્યાર્થીઓને હવે નિઃશુલ્ક પ્રોવિઝનલ ડિગ્રી સર્ટિફિકેટ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેની અગાઉ 150 રૂપિયા ફી વસૂલવામાં આવતી. ધો. 12ના પરિણામ જાહેર થયા બાદ કોલેજોમાં એડમિશન પ્રક્રિયા ચાલુ હોવાથી નવું સત્ર શરૂ થાય એ પહેલાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. ગિરીશ ભીમણીએ ગઇકાલે કોલેજના આચાર્યો સાથે એક મહત્વની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં કેટલાંક મહત્ત્વપૂર્ણ નિર્ણયો જાહેર કરવામાં આવ્યા. જેમાં કહી શકાય કે, અગાઉ પદવીદાન સમારોહ થાય ત્યારે જ ડિગ્રી મળતી. જેના લીધે અંદાજે લગભગ 5000 જેટલાં વિદ્યાર્થીઓએ આગળ નોકરી મેળવવા માટે યુનિવર્સિટીમાં 150 રૂપિયા ફી ભરીને પ્રોવિઝનલ ડિગ્રી સર્ટિફિકેટ કઢાવવું પડતું. પરંતુ હવે કુલપતિ દ્વારા તમામ વિદ્યાર્થીઓને ફ્રીમાં પ્રોવિઝનલ ડિગ્રી સર્ટિફિકેટ આપવાનો નિર્ણય કરાયો છે.
પ્રતિકાત્મક તસવીર
હવેથી આગામી તમામ પરીક્ષા ત્રણ સેશનમાં લેવાશે
એ સિવાય હવેથી આગામી તમામ પરીક્ષા ત્રણ સેશનમાં લેવાશે એટલે કે સવારે સેમેસ્ટર 1, બપોરે સેમેસ્ટર 3 અને સાંજે સેમેસ્ટર 5ની પરીક્ષા લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે ત્રીજો મહત્ત્વપૂર્ણ નિર્ણય એ જાહેર કરવામાં આવ્યો છે કે, જે વિદ્યાર્થીઓ કોઈ વિષયમાં નાપાસ થયા હોય તો તેમને એક વર્ષ સુધી રાહ જોવી ન પડે અને તેનું આખું વર્ષ ન બગડે તે માટે નિર્ણય કરી દરેક પરીક્ષા વર્ષમાં બે વખત લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, આ સાથે યુનિવર્સિટી દ્વારા સેમેસ્ટરવાઇઝ વિદ્યાર્થીઓની ફીની સાથે-સાથે પરીક્ષા ફોર્મ ફી પણ લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેનાથી વિદ્યાર્થીઓને એ ફાયદો થશે કે અગાઉ એક્ઝામની તારીખ 15 દિવસ પહેલાં જાહેર થતા કેટલાંક વિદ્યાર્થીઓને મોડું થતા પરીક્ષા ફોર્મમાં લેટ ફી ભરવાની રહેતી. જે હવેથી લેટ ફીનો કોઇ પ્રશ્ન જ નહીં ઉદભવે. કોલેજ દ્વારા જ વિદ્યાર્થીઓના ફોર્મ સમયસર ભરવાના રહેશે.