બારડોલી લોકસભા બેઠક દક્ષિણ ગુજરાતની આગવી બેઠક છે. બારડોલી બેઠક અનુસૂચિત જનજાતિ માટે અનામત બેઠક છે અને હાલ બારડોલી લોકસભા બેઠક ઉપર ભાજપના સાંસદ પ્રભુભાવ વસાવા છે. છેલ્લાં પાંચ વર્ષમાં સાંસદ પ્રભુભાઇ વસાવાએ કેવી કરી કામગીરી જોઇએ, વીટીવી વિશેષ સાંસદનું સરવૈયુંમાં
2009માં અસિત્વમાં આવી બારડોલી લોકસભા બેઠક
બારડોલી લોકસભા બેઠક કુલ સાત વિધાનસભા બેઠકોમાંથી બનેલી છે. 2009માં અસિત્વમાં આવેલી બારડોલી લોકસભા અનુસૂચિત જનજાતિ માટે અનામત છે. 2009માં પહેલી વાર કોંગ્રેસના ડો. તુષાર ચૌધરી સાંસદ બન્યાં હતા. 2014માં મોદી લહેરમાં ભાજપના પ્રભુભાઇ વસાવાએ કોંગ્રેસના ડો. તુષાર ચૌધરીને કુલ એક લાખ ત્રેવીસ હજાર મતે હરાવ્યાં હતા. 2014ની લોકસભા ચૂંટણી સમયે પ્રભુભાઇ વસાવાએ પોતાની કુલ મિલકત રૂપિયા એક કરોડ 59 લાખ જાહેર કરી હતી. 2014ની ચૂંટણી સમયે પ્રભુભાઇ વસાવાએ વિસ્તાર વિકાસ માટે અનેક વચનો આપ્યાં હતા. સ્થાનિક ક્ષેત્રે રોજગારીનું વચન મૂખ્ય આપ્યું હતુ. તો વિસ્તારમાં મેડીકલ અને ઇજનેર કોલેજ માટે પ્રયાસ કરશે તેવા વચનો અપાયા હતા.
પ્રભુભાઇ વસાવાએ દત્તક લીધેલ ગામનો જ વિકાસ કર્યો
સાંસદ તરીકે પ્રભુભાઇ વસાવાએ પોતે લીધેલ દત્તક ગામ ચિખલાવનો વિકાસ કર્યો છે, પણ અન્ય વિસ્તારના નાગરિકોની વચનપૂર્તિ અંગે ફરિયાદો છે. પોતાની સાંસદ તરીકેના છેલ્લાં પાંચ વર્ષના ગાળામાં બારડોલી સંસદીય મતક્ષેત્રનો કેટલો વિકાસ કર્યો તે ખૂદ પ્રભુભાઇ વસાવા પોતે જ કહેશે. સાંસદ પ્રભુભાઇ વસાવાએ પોતાના વિસ્તારમાં નેશનલ હાઇ-વેના વિકાસના કાર્યો કર્યા હોવાનો દાવો કર્યો છે, પણ શું બારડોલી લોકસભા બેઠક વિસ્તારના પ્રશ્નોમાં ફક્ત રોડ-રસ્તાના વિકાસથી જ અટકી જવાશે. હકીકતમાં સાંસદ પ્રભુભાઇ વસાવા છેલ્લાં પાંચ વર્ષમાં શું નથી કરી શક્યા એ પણ મહત્વું છે.
પાંચ વર્ષમાં પ્રભુભાઇ વસાવાએ કુલ 273 પ્રશ્નો ઉઠાવ્યાં
સાંસદ તરીકે પ્રભુભાઇ વસાવાએ પુરી ગ્રાન્ટ સ્થાનિક વિકાસમાં પાણી, શાળાના ઓરડા, કોમ્યુનિટી હોલ, બાંકડા, સ્વચ્છતા, રોડ-રસ્તા અને રેલ્વે પાછળ વાપરી છે. પણ વિસ્તારની હાલત નબળી છે. સ્થાનિકોને હજી પણ રોજગારી માટે સુરત તરફ સ્થળાંતર કરવું પડે છે. બારડોલી સાંસદ પ્રભુભાઇ વસાવાને સ્થાનિક નાગરિકોએ ક્યાંક વખોડ્યા છે, તો કોઇએ વખાણ્યાં છે. પ્રભુભાઇ વસાવાની સંસદીય કાર્ય તપાસીએ તો પ્રભુભાઇ વસાવાએ દેશના સાંસદોના સરેરાશ કાર્ય કરતાં પણ ઓછું કામ કર્યું છે. બોરડોલી સાંસદ પ્રભુભાઇ વસાવાએ સંસદમાં દેશના અન્ય સાંસદો કરતાં ઓછી હાજરી આપી છે. દેશના સાંસદોએ જ્યારે 67 ટીબેટમાં ભાગ લીધો છે, ત્યારે પ્રભુભાઇ વસાવાએ ફક્ત 19 જ ડીબેટમાં હિસ્સો લઇને વિસ્તારના પ્રશ્નો બાબતે મૌન રહ્યાં છે. સંસદમાં એક સરારેશ સાંસદ પ્રશ્નો પુછે તેના કરતાં ઓછા પ્રશ્નો કરીને વિસ્તારના પ્રશ્નો બાબતે આંખ આડા કાન કર્યા છે. છેલ્લાં પાંચ વર્ષમાં પ્રભુભાઇ વસાવાએ કુલ 273 પ્રશ્નો સંસદમાં ઉઠાવ્યાં છે.
દેશ અને રાજ્યના સાંસદોની પ્રશ્નો પુછવાની સરેરાશ કરતાં ઓછા પ્રશ્નો પ્રભુભાઇ વસાવાએ પુછ્યા છે. જેનાથી સ્થાનિક પ્રશ્નોને અપેક્ષા કરતાં ઓછી વાચા મળી છે. જે પ્રશ્ન પ્રભુભાઇએ પુછ્યા છે જેમાં વિસ્તારને લગતા પ્રશ્નો જોઇએ તો નેશનલ હાઇ-વે આઠ ઉપરના ફ્લાય ઓવર, આદિવાસી વિકાસ, ખાંડ ખરીદીમાં ગેરરીતી મુખ્ય છે. પ્રભુભાઇ વસાવાએ સંસદમાં આદિવાસી અને દલિતો સામે થતા ગુના અંગે પણ સંસદમાં અવાજ ઉઠાવ્યો છે. આદિવાસી વિસ્તારમાં યોગ કેન્દ્રની પ્રવૃતિઓ અને તેના કામ અંગે પ્રશ્ન પુછયો છે. વિશેષ તો પ્રભુભાઇએ આદિવાસી ક્ષેત્રમાં કાર્યરત જિલ્લા હોસ્પિટલોની સ્થિતિ અંગે પણ પ્રશ્ન ઉઠાવ્યો છે. કોલેજમાં ભુતિયા શિક્ષકોથી કોલેજ સ્તરના શિક્ષણ ઉપર અસર પડે છે તે બાબતે પણ પ્રભુભાઇએ સંસદમાં પ્રશ્ન ઉઠાવ્યો છે. તો રોડ ઉપર થતાં અકસ્માતો અને તેની ગંભીરતા અંગે પણ પ્રશ્ન ઉઠાવી પ્રભુભાઇ વસાવાએ દેસનું ધ્યાન ખેંચ્યું છે. પ્રભુભાઇએ સંસદમાં કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ અંગે પણ અનેક પ્રશ્નો પુછ્યા છે.
સંસદમાં મુખ્યત્વે સરકારી કાર્યક્રમની સિદ્ધિને વાચા આપતા વધુ પ્રશ્નો પ્રભુભાઇ વસાવાએ કર્યા છે, પણ વિસ્તારને સીધી રીતે અસર કરતાં અનેક પ્રશ્નો પુછ્યાં નથી. પ્રભુભાઇએ સંસદમાં પુછેલાં કુલ 273 પ્રશ્નો પૈકી તેમના વિસ્તારને અસરકર્તા નહીં તેવાં પણ અનેક પ્રશ્નો પુછ્યા છે. બાડોલી જેવાં આદિવાસી બહુમુલક વિસ્તારના સાંસદ તરીકે પ્રભુભાઇ વસાવાએ સરહદી વિસ્તારમાં પોસ્ટની વ્યવસ્થાનો પ્રશ્ન કર્યો છે. પ્રભુભાઇ વસાવાએ દેશમાં સ્માર્ટ સીટી કેવા હશે અને તેનાથી શહેરી વિકાસ કેવો થશે તે બાબતે પ્રશ્ન કર્યો છે. તો આર્થિક વિકાસમાં એસ.ઇ.ઝેડની ભૂમિકા અંગે પણ સંસદમાં પ્રશ્ન પુછ્યો છે. હાલ દેશમાં સરળતા માટે બે ટાઇમ ઝોન હોવાં જોઇએ તે બાબતે પણ સાંસદ પ્રભુભાઇ વસાવાએ કરી છે. તો દેશના ન્યૂક્લિયર પ્લાન્ટની ક્ષમતા અને નાના એરપોર્ટના વિકાસ મુદ્દે પણ સંસદમાં પ્રશ્ન કરી સૌનું ધ્યાન ખેંચ્યું છે.
અનેક પ્રશ્નો વણ ઉકલ્યા
પ્રભુભાઇ વસાવાએ પોતાની પાસે વિસ્તારના વિકાસ અને સમસ્યા અંગે સંસદમાં અવાજ ઉઠાવવા આવેલી તકનો પુરતો ઉપયોગ કર્યો હોય તેવું જણાતું નથી. જેના કારણે બારડોલી સંસદીય મતક્ષેત્રમાં હજી પણ અનેક પ્રશ્નો વણ ઉકલ્યા રહ્યાં છે. વિશેષ તો સ્થાનિક સ્તરે ઉઘોગોની ગેરહાજરીના કારણે યુવાઓમાં બેરોજગારી વધી છે. સાંસદ ઉઘોગો લાવવામાં નિષ્ફળ ગયા છે. કોંસબાથી મીટરગેજ ટ્રેન બંધ થઇ અને ઘણાં સમયથી લોકોની માંગ છે તે ટ્રેન શરૂ કરવાની પણ આ માંગ હજી સુધી સંતોષાઇ નથી. ખાસ તો સુરતથી પસાર થતા નેશનલ-હાઇવે-8 ઉપર અને મહારાષ્ટ્ર જતી ટ્રેનના રૂટ ઉપર વર્ષોથી ઓવરબ્રીજની માંગ છે તે પુરી સંતોષાઇ નથી. એવી જ રીતે વર્ષોથી ઉકાઇ ડેમના પાણીનો પુરતો લાભ સ્થાનિકોને મળતો નથી. વિશેષ તો ઉનાળામાં ખેડૂતો અને અંતરિયાળ વિસ્તારમાં ઉકાઇના પાણીની માંગ રહે છે તે સંતોષાઇ નથી. સોનગઢ અને નિઝર વિસ્તારના ખેડૂતોને પણ વર્ષોથી પુરતી સિંચાઇ વ્યવસ્થાની માંગ છે તે અપૂર્ણ રહી છે. ખેડૂતોને સમયસર અને પુરતી વીજળી મળતી નથી તે માંગ ખેડૂતોની વણઉકલી રહી છે. ખેડૂતોને શેરડીના ટેકાના ભાવ પુરતા મળતા નથી તેની પણ વર્ષોથી વણઉકલી માંગ રહી છે.
VTVએ કેટલાં ગુણ આપ્યાં
બારડોલી સંસદીય મતક્ષેત્રમાં જે પ્રશ્નો સાંસદની સક્રિયતાથી ઉકલી શકાય તેવાં હતા તે પ્રશ્નો પણ છેલ્લાં પાંચ વર્ષમાં ઉકેલાયા નહી. જેનાથી સ્થાનિકોમાં મોટા પાયે ફરિયાદ અને અપેક્ષા બંન્ને છે. છેલ્લાં પાંચ વર્ષની સાંસદ પ્રભુભાઇ વસાવાનું સંસદીય કાર્ય અને સ્થાનિકોના પ્રતિભાવના કારણે વીટીવી આપે છે 10 માર્ક માંથી 6 માર્કસ. 2014માં મોદી લહેરમાં બારડોલી બેઠક ભાજપ માટે સરળતાથી નીકળી ગઇ. પણ 2014 થી 2019 વચ્ચેના પાંચ વર્ષના સમયગાળા દરમિયાન સ્થાનિકોની અપેક્ષા પુરી રીતે સંતોષાઇ નહીં હોવાથી 2019નો યૂંટણી જંગ રોમાંચક રહેશે. ખાસ તો બારડોલી સંસદીય મતક્ષેત્રના ગ્રામીણ મતદારો કરતાં સુરતના શહેરી વિસ્તારોનું મતદાન નિર્ણાયક સાબિત થશે.