કંગના અને શિવસેના વિવાદ હજુ શમવાનો નામ નથી લઇ રહ્યો, હવે સામનામાં સંજય રાઉતના એક લેખથી બોલિવૂડ અને રાજકીય ક્ષેત્રમાં ખળભળાટ મચી ગયો છે.
શિવસેનાના મુખપત્ર સામનામાં સંજય રાઉતના લેખમાં કંગનાના પર વિવાદિત ટિપ્પણી
અમીરો માટે મુંબઈનું મહત્વ માત્ર પૈસા કમાવવા પૂરતું : સંજય રાઉત
ફિલ્મી હસ્તીઓ પણ સંજય રાઉતના નિશાના પર કહ્યું બોલવાની જરૂર હતી
રાજ ઠાકરેને પણ ધમકી આપતા કહ્યું આનું પરિણામ ભોગવવું પડશે
સામાનાના માધ્યમથી શિવસેના દરરોજ કંગના રણૌત પર સવાલ ઉઠાવી રહી છે ત્યારે ફરીએકવાર સામનામાં કંગના પર વિવાદિત ટિપ્પણી કરવામાં આવી છે. આ લેખમાં મુંબઈના મહત્વને ઓછું કરવાના પ્રયત્નો પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે. સંજય રાઉતના લેખમાં પૂછવામાં આવ્યું કે આ અભિનેત્રીની પાછળ કોણ છે ? આ સિવાય બીજા સિતારાઓએ કંગના વિરુદ્ધ અવાજ ન ઉઠાવ્યો તેને લઈને પણ સંજય રાઉતે સવાલો ઉઠાવ્યા છે.
સંજય રાઉતે કહ્યું કે મહારાષ્ટ્રના રાજધાનીને ગ્રહણ લગાવવાના પ્રયત્ન ફરી શરુ થઇ ગયા છે. આ ગ્રહણ બહારના લોકો લગાવી રહ્યા છે પરંતુ તે લોકોને મજબૂત કરવા માટે ઘરનાં જ ભેદી સામે આવ્યા છે.
શિવસેના કંગનાની સાથે સાથે બોલિવૂડના અન્ય કલાકારોને પણ તેમાં લપેટી લીધા કહ્યું કે આખું હિન્દી ફિલ્મ જગત નહીં તો કમ સે કમ અડધા લોકોએ તો મુંબઈના અપમાનના વિરોધમાં અવાજ ઉઠાવવાની જરૂર હતી. કંગનાનો મત બધાનો મત નથી એવું કહેવાની જરૂર હતી, અક્ષય કુમાર વગેરે જેવા મોટા કલાકારોએ તો સામે આવવાની જરૂર હતી જ. મુંબઈએ બધાને આપ્યું છે પણ મુંબઈના સંદર્ભમાં આભાર વ્યક્ત કરવામાં કેટલાય લોકોને તકલીફ થાય છે.
સામનામાં કહેવામાં આવ્યું કે મુંબઈને પાકિસ્તાન અને બીએમસીને બાબર કહેતા લોકોની સાથે વિપક્ષના લોકો છે. પણ તે બધા સુશાંત અને કંગનાના સમર્થનથી બિહાર ચૂંટણી જીતવા માંગે છે. બિહારના ઉચ્ચ વર્ગ રાજપૂતના મત લેવા માંગે છે અને તે માટે મહારાષ્ટ્રનું અપમાન થાય તોય ચાલશે.
સંજય રાઉત આટલામાં ન અટક્યા આગળ તેમણે ઠાકરે બ્રાન્ડની વાત કરતા કહ્યું કે મહારાષ્ટ્રમાં ઠાકરેએ સ્વાભિમાનનું એક બ્રાન્ડ છે અને બીજા મહત્વપૂર્ણ બ્રાન્ડ પવાર છે. જે દિવસે ઠાકરે બ્રાન્ડનું પતન થશે તે દિવસથી મુંબઈનું પતન શરુ થઇ જશે. રાજ ઠાકરે પણ તે જ બ્રાન્ડના એક ઘટક છે અને તેનું પરિણામ તેમણે ભવિષ્યમાં ભોગવવું પડશે.