તારીખ 22 માર્ચ... જનતા કર્ફ્યૂનો દિવસ... આ દિવસે જનતાએ સામેથી કર્ફ્યૂનું પાલન કર્યું અને આખો દિવસ બંધ પાળ્યું. સાજે 5 વાગે સમગ્ર દેશની જનતાએ થાળીનાદ કર્યો. આ થાળીનાદ જેના માન માટે કરવામાં આવ્યો હતો તેમાં આરોગ્યકર્મીઓ, પોલીસ, સફાઇકર્મીઓ વગેરેનો સમાવેશ થતો હતો. એટલે કે, એવા લોકોના સન્માનમાં થાળીઓ ખખડાવવામાં આવી હતી. જેઓ કોરોનાના કપરા દિવસોમાં પણ પોતાના પરિવારને છોડીને દેશની સેવામાં વ્યસ્ત બન્યા છે. વીટીવી આવા યોદ્ધાને કોરોના વિરોયર્સ માને છે અને બિરદાવે છે.
સાચા અર્થમાં દેશની સેવા
ગર્ભાવસ્થાના અંતિમ દિવસોમાં પણ પોતાની ફરજ નિભાવે છે સફાઇકર્મી
આ સફાઇકર્મીઓ પર પુષ્પ વસરાવીને કરાયું સ્વાગત
સુરત મહાનગરપાલિકામાં સફાઇકર્મી તરીકે ફરજ બજાવે છે. નયનાબેન પરમાર કોરોના વાયરસની મહામારી વચ્ચે પણ નવ માસના ગર્ભ સાથે શહેરને સ્વસ્થ રાખવાના ઉમદા હેતું પોતાનું કામ કરે છે. તેઓ સાચા અર્થમાં દેશની સેવા કરે છે. આવા કપરી સ્થિતિમાં પણ તેઓ રાષ્ટ્રધર્મ નિભાવી રહ્યા છે.
સફાઇકર્મીઓ પર પુષ્પ વરસાવીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું
દેશની સ્વચ્છતાના માધ્યમથી સ્વસ્થ રાખવા માટે નયનાબેન પોતાની ગર્ભાવ્યસ્થાના અંતિમ દિવસોમાં પણ રોજ 6 કલાકથી વધુ સમય કામ કરે છે. તેઓ રસ્તાઓની સફાઇ કરે છે અને શહેરને ગંદકીમાંથી મુક્તિ અપાવે છે. એટલે હાલ જ આવા સફાઇ કર્મચારીઓનું સન્માન કરવામાં આવે છે. તાપીના વ્યારામાં કોરોના મહામારી વચ્ચે પણ પોતાની ફરજ નિભાવતા સફાઇકર્મીઓ પર પુષ્પ વરસાવીને તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. વોર્ડમાં ડોર ટુ ડોર કચરાનું કલેક્શન કરવા આવનારા સફાઇકર્મીઓ પર નગરજનોએ ફૂલો વરસાવીને તેમનું સ્વાગત કરી રહ્યા છે.
પંજાબના પટિયાલાના નભામાં લોકોએ સફાઈકર્મચારીનું સ્વાગત કર્યું હતું. અહીં પણ લોકોએ સફાઈ કર્મચારીઓ પર ફુલ વરસાવ્યા હતા. તો કેટલાક લોકોએ સફાઈ કર્મચારીને હાર પણ પહેરાવ્યા હતા. લોકોએ રૂપિયાનો હાર પહેરાવીને પણ સ્વાગત કર્યું હતું અને તેમની ફરજને બિરદાવી હતી.
નયનાબેન જેવા લાખો સફાઇકર્મીઓ દિવસ રાત મહેનત કરીને આ દેશને સ્વચ્છ રાખે છે. પરંતુ શું આપણે આ દેશના સફાઇકર્મીઓને સામાન્ય દિવસોમાં પુરતું સન્માન આપીએ છીએ? શું તેમની સાથે યોગ્ય વ્યવહાર કરીએ છીએ? કારણ કે કોરોનાની આફત વચ્ચે જ આપણને સફાઇકર્મીઓનું મહત્વ સમજાયું છે. જોકે, તેમ છતા તેઓની સ્થિતિ હજુ પણ સારી નથી.
જોકે, નયનાબેન જે સુરતમાં કામ કરી રહ્યા છે ત્યા જ સફાઇકર્મીઓ માટે પુરતા માસ્કની પણ વ્યવસ્થા નથી કરવામાં આવી. એટલે જ આ કર્મીઓએ દુપટ્ટાનો ઉપયોગ કરીને સફાઇ કામગીરી કરવી પડે છે. સુરતના માતાવાડી વિસ્તારમાં સફાઇકર્મીઓ માટે માસ્ક કે હાથમોજા પણ આપવામાં નહોતા આવ્યા અને તેમના જીવને જોખમમાં મુકવામાં આવ્યો હતો.
સુરતમાં જીવના જોખમે કામ કરે છે જ્યારે ઉત્તરપ્રદેશમાં તો એક સફાઇકર્મી મોતને ભેટે છે. યૂપીમાં જંતુનાશક દવાની અસરથી સફાઈકર્મીનું મોત થાય છે ત્યારે અહીંની પોલીસ તો તેમને સલામી આપીને સન્માનિત કરે છે. પરંતુ અહીના SDM રાજેશ શ્રીવાસ્તવ અશોભનીયવર્તન કરે છે. કોરોનાથી બચવા દવાના છંટકાવ દરમિયાન સફાઇકર્મી મોતને ભેટે છે તેમ છતા તેઓ કહે છે કે હું કોરોનામાં વ્યસ્ત છું, મારી પાસે ફાલતુ સમય નથી.
જે કચરો ઉઠાવવામાં લોકો સંકોચ અનુભવે છે તેની સફાઇ કરનારા આ સાચા રાષ્ટ્રરત્નોની કદર આપણે આવી મુશ્કેલ સમયમાં તો કરીએ છીએ. પરંતુ તેમ છતા તેમની સાથે સામાજિક ભેદભાવો નથી અટકતા ત્યારે કોરોનાની મહામારીની સાથે સાથે દેશે છૂતાછૂતની મહામારીને પણ તિલાંજલિ આપવાની જરૂર છે.