ગુજરાતના બે મહાનગરો અમદાવાદ અને સુરતમાં કોરોનાની સ્થિતિને કાબૂમાં રાખવા માટે ઉપરાંત શહેરના વહીવટી કામોને કુશળતાપૂર્વક સાંભળી લેવા માટે રાજ્ય સરકાર નિવૃત્ત અધિકારીઓના અનુભવની મદદ લઇ રહી હોય તેમ જણાય છે. ત્રણ નિવૃત્ત IAS અધિકારીઓને આ શહેરોમાં મુક્યા બાદ આ યાદીમાં નિવૃત્ત IAS અધિકારી M S પટેલનું નામ પણ જોડાઈ ગયું છે જેમને સુરત મેટ્રો રેલવેની જવાબદારી સોંપવામાં આવી છે.
ગુજરાતમાં કોરોનાની સ્થિતિને કાબૂમાં કરવા ઉપરાંત શહેરના વહીવટી કામો માટે નિવૃત્ત IAS અધિકારીઓની પસંદગી ગુજરાત સરકાર ઉતારી રહી છે. આ હારમાળામાં નિવૃત્ત IAS અધિકારી M S પટેલનું નામ પણ જોડાઈ ગયું છે. પટેલ 30 જૂનના રોજ પોતાના પદથી વયનિવૃત્ત થયા હતા જેમને સુરત મેટ્રો પ્રોજેક્ટના એક્ઝીક્યુટીવ ડાયરેક્ટરનું પદ આપવામાં આવ્યું છે.
નોંધનીય છે કે પટેલ અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટથી રિટાયર થયા છે. આ પહેલા તેઓ સુરત અને કચ્છમાં કલેકટર તરીકે અને અમદાવાદમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર તરીકે ફરજ બજાવી ચુક્યા છે.
અહીં સરકાર દ્વારા સતત નિવૃત્ત અધિકારીઓને અગત્યના પદ ઉપર મુકવાના પગલે એવી ચર્ચા જાગી છે કે શું સરકાર હાલના અધિકારીની સક્ષમતામાં વિશ્વાસ નથી ધરાવતી? નિવૃત્ત અધિકારીઓના અનુભવનો લાભ લઇ શકાય એ દેખીતું છે પણ રાજ્યમાં હાલ પદ પર રહેલા અધિકારીઓને છોડીને નિવૃત્ત અધિકારીઓને કેમ પદ ઉપર પાછા બોલાવવામાં આવી રહ્યા છે તે પ્રશ્નનો વિષય છે.
સરકારના અગાઉના પોસ્ટિંગમાં નિવૃત્ત IAS અધિકારી S K લાંગાને સુરત મહાનગર પાલિકામાં સ્પેશ્યલ ઓફિસર ઓન ડ્યુટી તરીકે મુકવામાં આવ્યા છે. આ પહેલા અન્ય નિવૃત્ત IAS અધિકારી રાજ માકડિયાને પણ સુરત મહાનગર પાલિકામાં સ્પેશ્યલ ઓફિસર ઓન ડ્યુટી તરીકે મુકવામાં આવ્યા હતા.
કોન્ટ્રાક્ટના ધોરણે આ પોઝિશન ઉપર 1 વર્ષ માટે મુકવામાં આવ્યા
બંને અધિકારીઓને કોન્ટ્રાક્ટના ધોરણે આ પોઝિશન ઉપર 1 વર્ષ માટે મુકવામાં આવ્યા છે. આ પહેલા અન્ય નિવૃત્ત IAS અધિકારી C R ખરસનને અમદાવાદ મહાનગર પાલિકા AMCમાં સ્પેશ્યલ ઓફિસર ઓન ડ્યુટી તરીકે મુકવામાં આવ્યા છે. નોંધનીય છે કે ખરસન ગયા સપ્ટેમ્બરમાં જ વલસાડ કલેકટર તરીકે નિવૃત્ત થયા છે જયારે લાંગા ગાંધીનગર કલેકટરના પદથી નિવૃત્ત થયા છે. આ ઉપરાંત માકડિયા રેવન્યુ વિભાગના રેવન્યુ ઇન્સ્પેકશન કમિશ્નર તરીકે નિવૃત્ત થયા છે.
સરકારને આ મહામારીને કાબૂમાં લેવા માટે અનુભવી અધિકારીઓની જરૂર છે
આ ત્રણેય અધિકારીઓ ખૂબ અનુભવી ગણાય છે અને તેમણે તેમની કારકિર્દીમાં AMCમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નરનું પદ સાંભળ્યું છે. સરકારમાંથી સુત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર સરકારને આ મહામારીને કાબૂમાં લેવા માટે અનુભવી અધિકારીઓની જરૂર છે. આ ઉપરાંત જો સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના આગામી ઈલેકશન પાછા નથી ઠેલાતા તો મહાનગર પાલિકાઓમાં કામકાજ માટે અનુભવી અધિકારીઓની જરૂર રહેશે.