અમદાવાદની મુલાકાતે આવેલા RSSના વડા મોહન ભાગવતનું દિનેશ હોલ ખાતે વક્તવ્ય યોજાયું. શ્રી ગુરુજી વ્યાખ્યાન દ્વારા યોજાયેલ કાર્યક્રમમાં મોહન ભાગવતે સરકાર સામે બળાપો કાઢ્યો હતો.
સંઘ સુપ્રીમો મોહન ભાગવત અમદાવાદના પ્રવાસે
સરકાર સામે કાઢ્યો બળાપો
ગુજરાતની વર્તમાન સ્થિતિ અંગે CM રૂપાણી સાથે કરી બેઠક
મોહન ભાવગતે કહ્યું, હાલ બધા જ લોકો દેશમાં આંદોલન કરી રહ્યા છે. મજૂર, વિદ્યાર્થીઓ, મીલ માલિક બધા જ આંદોલનના રસ્તે છે. તો દેશમાં ઉગ્રવાદીઓનો આતંક પણ વધ્યો હોવાનો આરોપ લગાવ્યો. આ ઉપરાંત તેમણે કહ્યું કે,દેશમાં વિજ્ઞાનથી લોકોમાં જાગૃતિ આવી છે ,પણ કોઈ સુખી નથી.
દિનેશ હોલમાં યોજાયું વક્તવ્ય
નોંધનીય છે કે, RSSના સુપ્રીમો હાલ ગુજરાતના પ્રવાસે છે. ત્યારે આજરોજ અમદાવાદના દિનેશ હોલ ખાતે તેમનું વક્તવ્ય યોજાયું હતું. તેમણે આ ગુજરાતની વર્તમાન સ્થિતિને ધ્યાને રાખીને વાત કરી હતી.
CM રૂપાણી સાથે યોજી બેઠક
શહેરના મણીનગર ખાતે આકાર પામેલ સંઘ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ગુજરાત આવેલા સંઘ સુપ્રીમો મોહન ભાગવતે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે અડધી કલાક બેઠક યોજી હતી. સંઘના કાર્ય સાથે ગુજરાતમાં છેલ્લા કેટલાંય દિવસથી અનામત અને બિનઅનમાત વર્ગનાં આંદોલનો અંગે પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.
ગુજરાતમાં હાલ ચાલી રહ્યું છે બિન અનામત વર્ગનું આંદોલન
1 ઓગસ્ટ 2018નો પરિપત્ર મુદ્દે હજુ સુધી કોઇ સમાધાન નથી થયું. આ મામલે બિનઅનામત અને અનામત એમ વર્ગ આમના સામને આવી ગયા છે. અનામત વર્ગ 1 ઓગસ્ટ 2018નો પરિપત્ર રદ્દ ન કરવાની માંગણી કરી રહ્યાં છે તો બીજી તરફ અનામત પક્ષ આ પરિપત્રને રદ્દ કરવા માટે લાંબા સમયથી આંદોલન કરી રહ્યાં છે. આજે ગાંધીનગર સેન્ટ્રલ વિસ્તારમાં પાસ અને એસપીજીની આગેવાનીમાં બિન અનામત મહિલાઓ ધરણા કરી રહી છે.
અમદાવાદ ખાતે RSSના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન
નોંધનીય છે કે, અમદાવાદ ખાતે RSSનું નવું કાર્યાલય બનાવવામાં આવ્યું છે. આ કાર્યાલય સાથે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પણ અનેક યાદો જોડાયેલી છે. RSS ના સરસંઘચાલક મોહન ભાગવતની ખાસ હાજરીમાં આ કાર્યાલયનું ઉદ્ધાટન યોજાયું હતું જેમાં ગુજરાત સરકારના મંત્રીઓ તથા CM રૂપાણી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. નવું બિલ્ડીંગ 8 કરોડના ખર્ચે બંધાયું છે અને એ માટે આરએસએસના ત્રણ લાખ સ્વયંસેવકોએ દાન આપ્યું છે.