અમદાવાદમાં લૂંટ, ફાયરિંગ અને હત્યા સહિતની ઘટનાઓમાં વધારો થયો છે. અમદાવાદમાં 2021ના વર્ષની શરૂઆતમાં લૂંટારૂઓ બેફામ બન્યા છે. અમદાવાદમાં છેલ્લા 96 કલાકમાં ફાયરિંગ કરીને લૂંટ અને હત્યાની 4 ઘટનાઓ સામે આવી છે. જેને લઇ કાયદો અને વ્યવસ્થા પર સવાલ ઉઠ્યા છે. શું અમદાવાદ પોલીસનો ગુનેગારોમાં કોઇ ડર નથી રહ્યો? શું પોલીસ હપ્તાખોરી કરે છે જેને લઇને ગુનાનું પ્રમાણ વધ્યું છે? શું પોલીસને માત્ર માસ્ક અને હેલ્મેટ ન પહેરતા લોકોને દંડ કરવા માટે જ રાખવામાં આવી છે? અમદાવાદમાં ખુલ્લેઆમ ગુંડાઓ ફાયરિંગ કરી રહ્યા છે ત્યારે પોલીસ કેમ કડક પગલાં નથી લેતી?
અમદાવાદ સહીત રાજ્યમાં વધી રહી છે ક્રાઇમની ઘટનાઓ
અમદાવાદમાં લૂંટ, ફાયરિંગ, હત્યા સહિતની ઘટનાઓમાં વધારો
અમદાવાદનો કૃષ્ણનગર વિસ્તાર ગુનાખોરીનું હબ બન્યો
એક તરફ અમદાવાદ પોલીસ માસ્ક અને હેલ્મેટ વગરના લોકોને દંડ ફટકારી રહી છે તો બીજી તરફ શહેરમાં છેલ્લા 4 દિવસમાં 3 ફાયરિંગની ઘટના અને 2 હત્યાની ઘટના બની છે. જેને લઇને અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી છે, હવે ગુજરાતમાં બિહારવાળી શરૂ થઈ ગઇ છે. અમદાવાદમાં એક બાદ એક ક્રાઇમની ઘટનાઓ પોલીસ માટે પડકારરૂપ બની છે. અમદાવાદના મેઘાણીનગર, નિકોલ, ઠક્કરબાપાનગર અને વસ્ત્રાલમાં બન્યા બનાવ...
અમદાવાદનો કૃષ્ણનગર વિસ્તાર ગુનાખોરીનું હબ બન્યો
ગુજરાતમાં ગુનાખોરીમાં કૃષ્ણનગર અવ્વલ બની રહ્યું છે. અમદાવાદનો કૃષ્ણનગર વિસ્તાર ગુનાખોરીનું હબ બની રહ્યું છે. નેશનલ હાઇવે કૃષ્ણનગરમાંથી પસાર થાય છે. ત્યારે નેશનલ હાઇવે પર લૂંટના કિસ્સાઓમાં વધારો થયો છે. નેશનલ હાઇવે પર ફાયરિંગ કરી લૂંટ ચલાવાની ઘટનાઓ સામે આવી છે. કૃષ્ણનગરમાં 15 દિવસમાં લૂંટની 17 ઘટનાઓ નોંધાઇ ચૂકી છે. 15 દિવસમાં સામૂહિક દુષ્કર્મની 4 ફરિયાદ નોંધાઇ છે. જ્યારે એક મહિનામાં ઘરફોડ ચોરીના 24 બનાવ નોંધાઇ ચૂક્યા છે. જ્યારે દારૂના મામલે કૃષ્ણનગર વિસ્તાર પણ બદનામ છે. કૃષ્ણનગરમાં દેશી અને વિદેશી દારૂના અડ્ડાઓ ધમધમે છે. કૃષ્ણનગર પોલીસના PSI લાંચ લેતા ઝડપાયા હતા. અને કૃષ્ણનગર પોલીસ સ્ટેશનનો વહીવટદાર ચૌહાણ મોટાભાગનો વહીવટ પાર પાડે છે. ત્યારે સવાલ ઉઠી રહ્યા છે કે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં જ કેમ ગુનાખોરી વધી છે?. PI, ACP અને JCP કેમ કાર્યવાહી નથી કરતા? કૃષ્ણનગરને ગુનાખોરીનું હબ કોણ બનાવી રહ્યું છે? અમદાવાદ CP અને DGP કેમ પોલીસ સ્ટેશનનો રિપોર્ટ નથી લેતા?
નિકોલ વિસ્તારના જવેલર્સમાં 4 રાઉન્ડ ફાયરિંગ કરીને રૂ.7 લાખની લૂંટ
3 જાન્યુઆરીએ અમદાવાદના નિકોલ વિસ્તારની એક જ્વેલર્સમાં 4 રાઉન્ડ ફાયરિંગ કરીને 7 લાખની લૂંટ કરવામાં આવી હતી. લૂંટારૂઓ લૂંટ ચલાવીને ફરાર થઇ ગયા હતા. જેમાં પણ કૃષ્ણનગરમાં લૂંટ કરનાર ગેંગની કરતૂતની શંકા છે. બંનેની ઘટનાઓની મોડસ ઓપરેન્ડી પણ સરખી છે. હાલ પોલીસે અલગ-અલગ ટીમ બનાવી અને તપાસ શરૂ કરી છે. અમદાવાદની હોટલ, ગેસ્ટહાઉસમાં પોલીસ ચેકિંગ કરી રહી છે. હાલ પોલીસ ફરાર ચાર આરોપીની શોધખોળ કરી રહી છે.
ઠક્કરબાપા નગર વિસ્તારમાં ફાયરિંગ કરીને 40 હજારની લૂંટ ચલાવી હતી
2 જાન્યુઆરીએ અમદાવાદના ઠક્કરબાપા નગર વિસ્તારમાં ફાયરિંગની ઘટના સામે આવી હતી. જેમાં લૂંટારૂઓ ફાયરીંગ કરને 40 હજારની લૂંટ કરી ફરાર થયા હતા. લૂંટની સમગ્ર ઘટનાના સીસીટીવી આવ્યા સામે છે. ગાયત્રી કોસ્મેટિકના હોલસેલ વેપારીના ત્યાં ફાયરિંગ થયું હતુ. જોકે હાલ કૃષ્ણનગર પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે.
મેઘાણીનગરમાં મિત્રએ કરી હતી મિત્રની હત્યા
1 જાન્યુઆરી(નવા વર્ષે) અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં ભાર્ગવ રોડ પરની ડિફેન્સ કોલોનીમાં જાહેરમાં ચાકુના ઘા મારી મિત્રએ જ મિત્રની હત્યા કરી નાખી હતી. પોલીસે હત્યાના બનાવ અંગે બે યુવકો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. નાસ્તો કરવા બાબતે બે મિત્રો વચ્ચે થયેલી બોલાચાલીમાં મૃતકે આરોપીને લાફા માર્યા હતા. જેની અદાવતમાં આરોપીએ મૃતકને સાંજે પોતાની પાસે બોલાવી ચાકુના ચાર ઘા મારી રહેંસી નાખ્યો હતો.
વસ્ત્રાલમાં જસવંત રાજપૂત નામના વ્યક્તિની થઈ હતી હત્યા
31 ડિસેમ્બરે અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રાધે ચેમ્બરમાં ફાયરિંગ કરી હત્યા કરવામાં આવી હતી. પૈસાની લેતીદેતીમાં હત્યા થઇ હોવાનું તારણ લગાવવામાં આવી રહ્યું છે. જસવંત રાજપૂત નામના વ્યક્તિની ફાયરિંગ કરીને હત્યા કરવામાં આવી હતી. આરોપીઓએ 6 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જોકે પોલીસે 2 આરોપીઓની અટકાયત કરી છે.
પોલીસનો ગુનેગારો પર ખોફ નથી રહ્યો તેની કારણે બને છે આવી ઘટનાઓ : કોંગ્રેસ
અમદાવાદ સહિત રાજ્યમાં ક્રાઈમની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે ક્રાઈમની આ વધતી ઘટનાઓને લઈને કોંગ્રેસે સરકારને આડે હાથ લીધી છે. કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમારે સરકાર અને પોલીસ વિભાગ પર પ્રહાર કર્યો છે. પોલીસના હપ્તાખોરીને કારણે ગુનેગારો બેફામ બન્યા હોવાનો આક્ષેપ ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમારે કર્યો છે. સાથે જ તેમણે કહ્યું કે, પોલીસનો અને સરકારનો ગુનેગારો પર ખોફ ન રહેતા આવી ઘટનાઓ બને છે.
અમદાવાદ પૂર્વમાં વધતી લૂંટની ઘટનાને લઈ પોલીસ દોડતી
ખોખરા પોલીસે ઘટનાઓને ગંભીરતાથી લઈને સર્વે કર્યો છે. વિસ્તારની તમામ જ્વેલર્સની દુકાનોમાં પોલીસે સર્વે હાથધર્યો છે. આગામી સમયમાં વેપારીઓ સાથે બેઠકોનું પણ આયોજન કરશે.
રાજ્યમાં સાયબર ક્રાઇમમાં ઘરખમ વધારો
તો બીજી તરફ રાજ્યમાં સાયબર ક્રાઇમમાં ઘરખમ વધારો થયો છે. છેલ્લા 8 મહિનામાં સાયબર ફ્રોડમાં 417 ટકાનો ઉછાળો નોંધાયો. 8 મહિનામાં સાયબર ક્રાઇમના 16,503 ગુના નોંધાયા છે. અત્યાર સુધી માત્ર 6 કરોડની રિકવરી શક્ય બની છે. આરોપીઓએ કુલ 63 કરોડ ચાંઉ કર્યા છે.