દેશમાં કોરોનાને પગલે વધી રહેલા મૃત્યુઆંકને કારણે ઇન્શ્યોરન્સ કંપનીઓએ તેમના પ્રીમિયમમાં વધારો કર્યો છે. માર્ચ અને જુલાઈની વચ્ચે કેટલીક ઇન્શ્યોરન્સ કંપનીઓના પ્રીમિયમમાં 3 વખત વધારો નોંધાયો છે.
ઇન્શ્યોરન્સ કંપનીઓના ટર્મ પ્લાનના પ્રીમિયમમાં આ વર્ષે ધરખમ વધારો થયો છે. ટર્મ પ્લાન એક એવી યોજના છે જે ઇન્શ્યોરન્સ લીધેલ વ્યક્તિના મૃત્યુ પછી તેના પરિવારને પહેલેથી નક્કી કરેલી રકમ ચૂકવે છે. આવા પ્લાન્સમાં મોટા ભાગે પ્રીમિયમ વ્યાજબી ભાવનું જ હોય છે। આ વર્ષે ICICI, Tata, બજાજ જેવી કંપનીઓએ તેમના પ્રીમિયમ્સમાં ભડકો કર્યો છે. ICICI, Tata, બજાજના પ્રીમિયમમાં માર્ચથી જુલાઈની અંદર જ 37%, 32% અને 36% જેટલો વધારો નોંધાયો છે.
વધતા જતા મૃત્યુદરથી ઇન્શ્યોરન્સના ક્લેઇમ વધી રહ્યા છે
આ માટેનું મોટું કારણ કોરોનાવાયરસને માનવામાં આવે છે. કોરોનાના પગલે દેશમાં વધતા જતા મૃત્યુદરથી ઇન્શ્યોરન્સના ક્લેઇમ વધી રહ્યા છે. આ ભરપાઈ કરેલા વળતરને પહોંચી વળવા માટે કંપનીઓને તેમના પ્રીમિયમ વધારવાની ફરજ પડી છે.
વ્યાજદરોમાં ઘટાડો પણ વધતા પ્રીમિયમ માટે જવાબદાર
આ કારણ ઉપરાંત ટર્મ પ્લાનના પ્રીમિયમમાં ફેરફાર વ્યાજદરો ઉપર પણ આધારિત છે. માર્ચ મહિનાથી વ્યાજદરોમાં મોટા પાયે ઘટાડો નોંધાઈ રહ્યો છે. આ કારણે પણ ઇન્શ્યોરન્સ કંપનીઓએ પ્રીમિયમ વધારવાની ફરજ પડી છે.
કોવિડ 19ને કારણે દેશમાં મોતનો ભય ફેલાયેલો છે
જો કે ટર્મ ઇન્શ્યોરન્સના પ્રીમિયમ ભારતમાં સિંગાપોર, USA જેવા દેશો કરતા ઓછા છે. આ ઉપરાંત પ્રીમિયમના ભાવ વધ્યા હોવા છતાં ઇન્શ્યોરન્સની માંગમાં મોટા પાયે વધારો થયો છે. આ માટેનું મોટું કારણ કોવિડ 19ને કારણે દેશમાં ફેલાયેલો મોતનો ભય છે. મોટાભાગની ઇન્શ્યોરન્સ કંપનીઓનું માનવું છે કે પ્રીમિયમ વધ્યું હોવા છતાં દેશમાં વીમા મુદ્દે જાગૃતિ વધી હોવાથી ઇન્શ્યોરન્સની માંગમાં ઘટાડો થશે નહીં. આ કપરા કાળમાં લોકોને પોતાના પરિવારની આર્થિક ચિંતા વધુ હોવાથી તેઓ ટર્મ પ્લાન્સ લઇ રહ્યા છે.
આર્થિક નિષ્ણાતોના મતે પોતાની વાર્ષિક આવકથી ઓછામાં ઓછી 10-12 ગણી વધુ રકમ મૃત્યુ પછી મળતી હોય તેવી યોજનામાં ઈન્વેસ્ટ કરવું જોઈએ.