PM MODI ની સુરક્ષામાં ક્ષતિ રહી જવાના કેસ મામલે આજે સુપ્રીમ કોર્ટે પંજાબ સરકાર અને કેન્દ્ર સરકારને તેમની તપાસ રોકવાનો આદેશ આપ્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ક્ષતિના મામલાની તપાસ સુપ્રીમ કોર્ટના પૂર્વ જજની અધ્યક્ષતામાં બનેલી એક સમિતિ કરશે.
બંને કમિટીઓને પોતાની તપાસ રોકવાનો આદેશ
આ કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કમિટીની રચના કરવા માટે સંમતિ દર્શાવી છે. આ સાથે જ કેન્દ્ર અને પંજાબ સરકારને તેમની તપાસ રોકવાનો આદેશ આપવામાં આવ્યો છે. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ મામલાને ગંભીરતાથી લેવામાં આવ્યો છે. પંજાબ સરકારે પણ સ્વીકાર્યું છે કે સુરક્ષામાં ખામી રહી છે, સાથે સુપ્રીમે કહ્યું હતું કે અમે નક્કી કરી રહ્યા છીએ કે તપાસ કયા બેઝીસ પર થશે.
કેન્દ્રની માંગ ઠુકરાવી
કેન્દ્રએ કહ્યું કે તેની તરફથી એક સમિતિની રચના કરવામાં આવી છે. કેન્દ્ર સમિતિનો તપાસ રિપોર્ટ કોર્ટમાં રજૂ કરશે અને તેની સમીક્ષા કર્યા બાદ સુપ્રીમ કોર્ટ તે રિપોર્ટના આધારે કાર્યવાહી નક્કી કરશે. જો કે, સુપ્રીમ કોર્ટે આ માટે સહમતિ દર્શાવી ન હતી.
અગાઉ, સુનાવણી દરમિયાન, પંજાબ સરકારે સુપ્રીમ કોર્ટ પાસે માંગ કરી હતી કે સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ અને તેની દેખરેખ હેઠળ એક સમિતિની રચના કરવામાં આવે.
કેન્દ્ર અને રાજ્ય દ્વારા બહાર પાડવામાં આવેલ SHOW CAUSE NOTICE
પંજાબ સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે રાજ્યના સાત અધિકારીઓને કારણ બતાવો નોટિસ જારી કરવામાં આવી છે. તેમને પૂછવામાં આવ્યું છે કે પીએમની સુરક્ષામાં ક્ષતિના મામલામાં તેમની સામે કાર્યવાહી કેમ ન કરવામાં આવે તેનું કારણ આપતી અરજી આપવામાં આવે.
કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે સમગ્ર મામલામાં ડીજી અને ગુપ્તચર સંસ્થાના અધિકારીઓ જવાબદાર છે. કારણ કે તેમની તરફથી રોડ બ્લોક અંગે કોઈ માહિતી જ આપવામાં આવી ન હતી. આ મામલે કેન્દ્ર દ્વારા પંજાબના ડીજીપી અને મુખ્ય સચિવને કારણ બતાવો નોટિસ આપવામાં આવી છે.
અચાનક તો નક્કી ન્હોતી થઈ પીએમની મુલાકાત
સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકાર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે પીએમ મોદીની પંજાબ મુલાકાત અચાનક નક્કી નથી થઈ. આ માટે 4 જાન્યુઆરીએ રિહર્સલ પણ રાખવામાં આવ્યું હતું. પંજાબના ઉચ્ચ અધિકારીઓ તેમની મુલાકાતથી સંપૂર્ણપણે વાકેફ હતા.
એ પણ જાણકરી હતી જ કે જો હવામાન બગડે તો પીએમ રોડ માર્ગે પણ જઈ શકે છે. તુષાર મહેતાએ જણાવ્યું કે પીએમની મુલાકાત દરમિયાન ડીજીપી અને મુખ્ય સચિવ અથવા તેમના પ્રતિનિધિ પીએમની સાથે હોય છે અને તે માત્ર પ્રોટોકોલનો ભાગ નથી. પીએમની સુરક્ષા સંકલનનો પણ એક ભાગ છે. માહિતીના અભાવે પીએમનો કાફલો રોડ બ્લોક પાસે પહોંચી ગયો હતો. કેન્દ્રએ કેબિનેટ સચિવ, આઈબી ડાયરેક્ટર અને એસપીજીના આઈજીની એક કમિટી બનાવવામાં આવી છે.