દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં કોરોનાના પાંચ દર્દીઓએ મળમાં રક્તસ્ત્રાવ તથા પેટમાં દુખાવાની ફરિયાદ કરી છે.
કોરોનાના દર્દીઓમાં નવા બે લક્ષણો જોવા મળ્યાં
મળમાં રક્તસ્ત્રાવ તથા પેટમાં દુખાવો
દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં પાંચ કેસો નોંધાયા
દેશમાં પહેલી વાર કોરોના દર્દીઓમાં નવા બે લક્ષણો જોવા મળ્યાં છે. સર ગંગારામ હોસ્પિટલમાં સાઈટોમેગાલોવાયરસ (સીવીએમ) ના પાંચ કેસો આવ્યાં છે. સાઈટોમેગાલોવાયરસ એટલે દર્દીઓને મળમાં લોહી પડવું તથા પેટમાં દુખાવો થવો.
ગંગારામ હોસ્પિટલના અધિકારીઓએ જણાવ્યું કે કોરોનાની બીજી લહેરમાં આવા પાંચ કેસો નોંધાયા છે. પાંચ દર્દીઓમાંથી એકનું ઘણું લોહી વહી જવાથી તથા છાતીમાં વધારે પડતા દુખાવાથી મોત થયું હતું.
હોસ્પિટલ તરફથી જારી નિવેદનમાં કહેવાયું કે એપ્રિલ- મેમાં બીજી લહેર દરમિયાન અમે સીએમવી સંક્રમણના પાંચ કેસો જોયા છે. કોરોના સંક્રમિત થયાના 20 થી 30 દિવસની અંદર આ દર્દીઓએ મળમાં રક્તસ્ત્રાવ તથા પેટ દર્દની ફરિયાદ કરી હતી.
આ પાંચ દર્દીઓ દિલ્હી-એનસીઆર વિસ્તારના હતા તથા તેમની ઉંમર 30 થી 70 વર્ષની હતી. ચાર દર્દીઓએ ઓછા ગેસ્ટ્રોઈટેસ્ટાઈનલ બ્લીડિંગની ફરિયાદ કરી અને એક દર્દીએ આંતરડા સંબંધિત ફરિયાદ કરી હતી.
ગંગારામ હોસ્પિટલના ડોક્ટર અરોરાએ જણાવ્યું કે એન્ટીવાયરલ થેરપી દ્વારા ત્રણ દર્દીઓને સારવાર કરાઈ છે જેમાં તેઓ સાજા થઈ ગયા છે. અધિકારીઓએ એવો ખુલાસો કર્યો કે કોરોના સંક્રમણ અને તેની સારવારમાં વપરાતી દવાઓ દર્દીઓની ઈમ્યુનિટીને દબાવી નાખે છે અને તેથી તેમને અસાધારણ સંક્રમણનો ખતરો રહેતો હોય છે.