ગુજરાત ડાયમંડ વર્કર યુનિયનને 24 જેટલી ફરિયાદો મળી, છેલ્લા એક મહિનામાં 5 હજારથી વધુ રત્નકલાકારોને છૂટા કરાયા હોવાની રજૂઆત
સુરતમાં હીરા ઉદ્યોગમાં મંદીના વાદળો ઘેરાયા
છેલ્લા એક મહિનામાં 5 હજારથી વધુ રત્નકલાકારોને છૂટા કરાયા
દિવાળી બાદ રત્નકલાકારોને છૂટા કરવાની ફરિયાદો ઉઠી
24 જેટલી ફરિયાદો ગુજરાત ડાયમંડ વર્કર યુનિયનને મળી
કોરોનાની સંભવિત લહેરની અસર સુરત હીરા ઉદ્યોગમાં થઈ હોવાની સ્થિતિ સર્જાઇ છે. વાત જાણે એમ છે કે, દિવાળી બાદ સુરતમાં રત્નકલાકારોને છૂટા કરવાની ફરિયાદો ઉઠી હતી. જોકે હવે ગુજરાત ડાયમંડ વર્કર યુનિયનને 24 જેટલી ફરિયાદો મળી છે, આ સાથે છેલ્લા એક મહિનામાં 5 હજારથી વધુ રત્નકલાકારોને છૂટા કરાયા હોવાનું સામે આવ્યું છે. વર્કર યુનિયનનું કહેવું છે કે, કતારગામમાં ફેકટરી બંધ કરી 300 રત્નકલાકારોને બેરોજગાર કરાયા છે.
ડાયમંડ સિટી સુરતથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ સુરત હીરા ઉદ્યોગમાં મંદીના એંધાણ હોય તેવી સ્થિતિ વચ્ચે હવે ગુજરાત ડાયમંડ વર્કર યુનિયનને 24 જેટલી ફરિયાદો મળી છે. જેમાં દિવાળી બાદ રત્નકલાકારોને છૂટા કરવાની ફરિયાદો ઉઠી છે. આ સાથે છેલ્લા એક મહિનામાં 5 હજારથી વધુ રત્નકલાકારોને છૂટા કરાયા હોવાની પણ વાત સામે આવી છે.
સુરતમાં હીરા ઉદ્યોગમાં મંદી ?
છેલ્લા કેટલાંક સમયથી હીરા ઉદ્યોગ મંદીનો સામનો કરી રહ્યો છે. જેમાંથી સુરત-ભવનગરનો હીરો ઉદ્યોગ પણ બાકી રહ્યો નથી. કોરોનાકાળ બાદ હીરા ઉદ્યોગમાં થોડી તેજી આવી હતી, પરંતુ રશિયા અને યુક્રેનના યુદ્ધના કારણે વિદેશમાંથી આવતી કાચી હીરાની રફ આવવાનું બંધ થઈ ગઈ ગયું હતું. જેના કારણે વેપારીઓને મોંઘા ભાવે રફ લેવી પડી રહી છે. જેથી ખર્ચમાં વધારો થતા વેપારીઓને કારખાના અને રત્નકલાકારોને પગાર આપવામાં મુશ્કેલી પડી રહી છે.
હીરા ઉદ્યોગમાં ભાવનગર ગુજરાતમાં બીજા નંબરે
મહત્વનું છે કે, હીરા ઉદ્યોગમાં સુરત બાદ ભાવનગર ગુજરાતમાં બીજા નંબરનું સ્થાન ધરાવે છે. ભાવનગર શહેર અને જીલ્લામાં વિવિધ પ્રકારના હીરા બનાવવા માટે નાના મોટા અસંખ્ય કારખાનાઓ આવેલા છે. આ હીરાના કારખાનાઓમાં લાખોની સંખ્યામાં રત્નકલાકારો કામ કરી પોતાની રોજગારી કમાય છે. એ સિવાય ભાવનગર જીલ્લામાં અનેક ગામડાઓમાં મહિલાઓ પણ મોટી સંખ્યામાં હીરા બનાવવાની કામગીરી કરી હીરામાંથી કમાણી કરે છે. જયારે આ હીરાની લે-વેચ માટે ભાવનગર શહેરમાં મોટી હીરાબજારો પણ આવેલી છે.
ચીનમાં કોરોના બેકાબૂ થતાં મંદી
હીરા ઉદ્યોગમાં અગાઉ કોરોના સમયથી ભારે મુશ્કેલી ઉભી થઈ હતી પરંતુ કોરોના ધીમો પડતા હીરા ઉદ્યોગમાં ભારે તેજી આવી હતી. જેને લઈ હીરા ઉદ્યોગ માટે ખૂબ જ આવનારા દિવસોમાં ઉજળું ભવિષ્ય દેખાતું હતું. આ સાથે વિદેશોમાં પણ ખૂબ મોટી ડિમાન્ડ હીરાની નીકળતા અને ચીનમાં પણ ખૂબ જ મોટા પ્રમાણમાં માલ સપ્લાય થતાં અને રશિયામાંથી રફની સતત આવક થતા હીરા ઉદ્યોગ ધમધમવા માંડ્યો હતો. જોકે હવે હાલમાં જ ચીનમાં કોરોના વાયરસે કહેર મચાવતા ચાઇનામાં જે રનીંગ માલ સપ્લાય થતો હતો પોલીશ થયેલો માલ તે બિલકુલ બંધ થતા હાલમાં હીરા ઉદ્યોગમાં મંદીનું વાતાવરણ ઊભું થઈ ગયું છે.
યુક્રેન-રશિયા વચ્ચે યુદ્ધની પણ થઈ અસર
આ તરફ અચાનક યુક્રેન-રશિયા વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ સર્જાતા અચાનક કાચી રફ આવવાનું બંધ થતા હીરા ઉદ્યોગમાં અચાનક વ્યાપારમાં અને લે વેચમાં બ્રેક લાગી હતી. જેને લઈ હવે અને ધીરે ધીરે મંદીનો માહોલ ઉભો થવા માંડ્યો હતો.