કોરોનાની મહામારીએ રિયલ એસ્ટેટની કમર ભાંગી નાંખી છે જેને બેઠો કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારને સૂચન કરવામાં આવ્યું છે કે, સ્ટેમ્પ ડ્યુટીમાં ઘટાડો કરો તો રિયલ એસ્ટેટ થોડો થોડો વેગવંતો થાય.
મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે શહેરી ક્ષેત્રોમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા દસ્તાવેજ નોંધણી ફીમાં ઘટાડો કરાયો છે. કોરોનાને કારણે આર્થિક ગતિવિધિ સ્થગિત થઈ ગઈ છે. રિયલ એસ્ટેટ ક્ષેત્ર પણ તેમાંથી બાકાત નથી. આ ક્ષેત્રને ઉત્તેજન આપવા આ નિર્ણય લેવાયો છે. આ 31 ડિસેમ્બર સુધી અમલી રહેશે. 1 ડીસેમ્બર સુધી મહારાષ્ટ્ર સરકારે સ્ટેમ્પ ડ્યુટીમાં 3 ટકા તથા 31 માર્ચ 2021 સુધી બે ટકાનો ઘટાડો જાહેર કર્યો છે. મહારાષ્ટ્રમાં શહેરી વિસ્તારોમાં હાલ સ્ટેમ્પ ડ્યુટીના દર પાંચ ટકા તથા ગ્રામ્ય ભાગોમાં 4 ટકા છે. હવે ગુજરાતના રિયલ એસ્ટેટ ઉદ્યોગની નજરો સરકાર તરફ મંડાઈ છે.
કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને સ્ટેમ્પ ડ્યુટી ઘટાડવાની સલાહ આપી
કોરોના લોકડાઉનથી રિયલ એસ્ટેટ ક્ષેત્રની બગડેલી હાલત સુધારવાના પ્રયાસરુપે મહારાષ્ટ્ર સરકારે સ્ટેમ્પ ડ્યુટીમાં કરેલા ઘટાડાની નોંધ લઇને કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને સ્ટેમ્પ ડ્યુટી ઘટાડવાની સલાહ આપી છે. કેન્દ્ર સરકારના આવાસ તથા શહેરી બાબતોના સચિવ દુર્ગાશંકર મિશ્રાએ વેબીનારમાં કહ્યું કે રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં ડીમાંડ વધારવા માટે સ્ટેમ્પ ડ્યુટી ઘટાડવાનું પગલું જરૂરી છે. તેને પગલે રિયલ એસ્ટેટમાં જોમ આવશે. . પ્રોપર્ટીની કિંમત ઘટાડી શકાય તે માટે આવકવેરા કાયદામાં બદલાવ સહિતની અનેકવિધ માંગ બિલ્ડરોએ મૂકી છે તે દિશામાં સરકાર વિચારશે.
કેન્દ્ર સરકારે 25,200 કરોડનું ફંડ બનાવ્યું
કોરોનાના આર્થિક સંકટને કારણે અટકી પડેલા પ્રોજેક્ટોને આગળ ધપાવવા માટે કેન્દ્ર સરકારે 25,200 કરોડનું ફંડ બનાવ્યું છે. તેમાંથી અત્યાર સુધીમાં 9300 કરોડની ફાળવણી કરવામાં આવી છે. પ્રોપર્ટી ડીમાંડ વધી શકે તે માટે સ્ટેમ્પ ડ્યુટીના દર ઘટાડવા તમામ રાજ્યોને સલાહ આપવામાં આવી હતી.