ગુજરાત સહિત દેશ-વિદેશના તમામ મોટા સમાચાર; વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ વિરૂદ્ધ ભાવનગર પોલીસે ગુનો દાખલ કરી ધરપકડ કરી છે, આજે યુવરાજસિંહને કોર્ટમાં રજૂ કરાશે
ભાવનગરમાં કથીત તોડકાંડ મામલે યુવરાજસિંહ વિરુદ્ધ ભાવનગર પોલીસે ગુનો દાખલ કરી ધરપકડ કરી છે અને આવતીકાલે યુવરાજસિંહને કોર્ટમાં રજૂ કરાશે. વીડિયો, ચેટના સ્ક્રીન શોટના પૂરાવા તેમજ વિવિધ નિવેદનોના આધારે કાર્યવાહી થઈ છે. અત્રે તમને જણાવી દઈએ કે, ભાવનગર એસઓજીએ યુવરાજસિંહને બે વખતે સમન્સ પાઠવ્યું હતું ત્યારે આજ રોજ ભાવનગર પોલીસ સ્ટેશને પહોંચ્યાં હતાં જ્યાં તેમની લાંબી પૂછપરછ બાદ ધરપકડ કરાઈ છે. 386 અને 388 તેમજ 120 બી - મદદગારી હેઠળ યુવરાજસિંહ સામે નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે જે કલમોમાં 10 વર્ષથી વધુ સજાની જોગવાઈ છે.
રાજકોટનાં ઉપલેટામાં ગઢાળા તાલુકામાં વરસાદી માહોલ છવાયો હતો. ત્યારે ઉનાળામાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. અચાનક વરસાદ વરસતા ખેડૂતોમાં ફરી ચિંતાનો માહોલ સર્જાયો હતો. રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં વાતાવરણમાં પલ્ટો આવવા પામ્યો હતો. ગોંડલ જેતપુર તેમજ ધોરજી ઉપલેટામાં વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. જેમાં ગોંડલ જેતપુર તેમજ ધોરાજી ઉપલેટા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ફરી વાતાવરણાં પલ્ટો આવ્યો હતો. ગ્રામ્ય પંથકમાં બપોર બાદ વાદળછાયું વાતાવરણ જીણા છાંટા પડવાનું શરૂ થયું હતું. જેમાં ગોંડલ-જેતપુર અને ધોરાજી ઉપલેટા સહિતનાં શહેર તેમજ તાલુકાના અનેક ગામોમાં કમોસમી વરસાદ વરસવાનું શરૂ થતે ખેડૂતોનો જીવ પડીકે બંધાઈ ગયો હતો. સતત પંથકમાં પડી રહેલ કમોસમી વરસાદને પગલે ખેડૂતોને વ્યાપક નુકશાન થવાની શક્યતા છે. ત્યારે કમોસમી વરસાદને કારણે ઉનાળુ વાવેતર મગફળી, તલ, જુવાર સહિતનાં પાકોને નુકસાનથવા ની શક્યતા છે.
સરકારી નોકરી વાંચ્છુકો માટે આનંદનાં સમાચાર છે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂત કલ્યાણકારી યોજનાના અમલ માટે નવા મહેકમની મંજૂરી આપવામાં આવી છે. જેમાં વર્ગ-1 અને 3 ની 1120 જગ્યાઓ મંજૂર કરવામાં આવી છે. રાજ્ય સરકારના નિયમ મુજબ પ્રમોશનથી ભરવાની રહેશે. જગ્યાઓ. બાકી રહેતી જગ્યાઓ સીધી ભરતીથી ભરવાની રહેશે. જેમાં ખેત મદદનીશ વર્ગ 3 ની 825 જગ્યાઓ મંજૂર કરાઈ, જુનિયર ક્લાર્ક વર્ગ-3ની 293 જગ્યાઓને મંજૂર કરવામાં આવશે તેમજ નાયબ ખેતી નિયામક વર્ગ 1 ની 2 જગ્યાઓ પર ભરતી થશે.
કોમી સૌહાર્દ જળવાઈ રહે તે માટે હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી છે. ત્યારે રમઝાન ઈદ અને પરશુરામ જયંતિમાં કોમી સૌહાર્દ જળવાઈ રહે તે માટે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. ત્યારે હાઈકોર્ટમાં અરજદારે કરેલી અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં રાજ્ય સરકારે હાઈકોર્ટમાં ખાત્રી આપી છે કે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. તેમજ સંવેદનશીલ વિસ્તારની ઓળખ કરવામાં આવી છે. સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ અને એસઆરપી ની ટુકડીઓ તૈનાત કરવામાં આવશે. તેમજ વધારાની પોલીસ ફોર્સને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. તેમજ વધારાની ફોર્સને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. અને સોશિયલ મીડિયામાં નજર રાખવા સાયબર પોલીસને જાણ કરાઈ છે. તેમજ ગૃહ વિભાગ અને DGP ને જરૂરી પગલા લેવા હાઈકોર્ટ દ્વારા નિર્દેશ પણ કરવામાં આવ્યો છે. ત્યારે આજે રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં પરશુરામ જયંતિ અને રમઝાન ઈદમાં તકેદારી રાખવા નિર્દેશ કરાયો છે.
સુરતમાં આમ આદમી પાર્ટીને એક બાદ એક ઝટકા મળી રહ્યા છે. વાત જાણે એમ છે કે, અગાઉ AAPના 10 કોર્પોરેટર ભાજપમાં જોડાયા બાદ હવે વધુ 2 કોર્પોરેટરે કેસરીયો ધારણ કર્યો છે. નોંધનીય છે કે, આ પહેલા થોડાક દિવસો અગાઉ જ સુરતમાં રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે 6 કોર્પોરેટરો ભાજપમાં જોડાયા હતા. જે બાદમાં આજે વધુ બે કોર્પોરેટર ભાજપમાં જોડાતા રાજકીય ગરમાવો આવી ગયો છે. નોંધનીય છે કે, સુરતમાં AAPના 28માંથી 12 કોર્પોરેટર ભાજપમાં જોડાયા છે. ડાયમંડ નગરી સુરતની મહાનગરપાલિકામાં આપને વધુ એક ઝટકો મળ્યો છે. વિગતો મુજબ આજે સુરતમાં AAPના વધુ 2 કોર્પોરટર ભાજપમાં જોડાયા છે. આજે શહેર ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરાએ પત્રકાર પરિષદ કરી હતી. જેમાં તેમણે કહ્યું કે, વોર્ડ નં-3ના કનુ ગેડિયા અને વોર્ડ નં-2ના અલ્પેશ પટેલ ભાજપમાં જોડાયા છે.
TikTok સ્ટાર કીર્તિ પટેલ ફરી એકવાર વિવાદમાં આવી છે. વાત જાણે એમ છે કે, આ વખતે કીર્તિ પટેલ સામે કામરેજ પોલીસે ગુનો નોંધ્યો છે. વિગતો મુજબ કીર્તિ પટેલ સહિતના વ્યક્તિઓએ ગૌમાતાથી ભરેલી ટ્રક રોકી ડ્રાઈવરોને માર માર્યો હોવાનું સામે આવ્યું છે. આ સાથે ડ્રાઇવરોને માર મારી જાહેરમાં બિભસ્ત વર્તન કરી ભયનો માહોલ ઊભો કર્યો હતો. જેને લઈ હવે પોલીસે ગુનો નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
કોરોના કેસો મામલે આરોગ્ય તંત્ર દ્વારા સતાવાર રીતે જાહેર કરાયેલ આંકડા અનુસાર અમદાવાદ શહેરમાં 98, મહેસાણામાં 29 કેસ સુરત શહેરમાં 28, વડોદરા શહેરમાં 28 કેસ, સુરત ગ્રામ્યમાં 24, પાટણમાં 20 કેસ નોંધાયા છે.તે જ રીતે વડોદરા ગ્રામ્યમાં 12 કેસ, વલસાડમાં 11 કેસ, ગાંધીનગર શહેરમાં 9, સાબરકાંઠામાં 9 કેસ, ભરૂચમાં 8 કેસ, મોરબીમાં 7 અને ગીર સોમનાથમાં 6 કેસ, સુરેન્દ્રનગરમાં 6 કેસ, ગાંધીનગર ગ્રામ્યમાં 5 કેસ, આણંદમાં 4, બનાસકાંઠામાં 4, પોરબંદરમાં 4 કેસ સામે આવ્યા છે.
300 કરોડની લાંચ કેસ પ્રકરણમાં જમ્મુ કશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકને સીબીઆઇ દ્વારા મૌખિક સમન્સ મોકલવામાં આવ્યું છે. સીબીઆઇ દ્વારા પૂછપરછ મામલે સત્યપાલ મલિકને ઓફિસમાં તા. 27 અને 28 એપ્રિલે હાજર રહેવા જણાવ્યું છે. ત્યારે સત્યપાલ મલિકે આ મામલે સ્પષ્ટતા કરવા સમય માંગ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. તો બીજી તરફ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ આ સમન્સ પર આકરી પ્રતિક્રિયા આપી હતી.
અતીક - અશરફનાં હત્યાકાંડ મામલે આતંકી સંગઠન તરફથી ધમકી મળી છે. અલ-કાયદાએ અતીકની હત્યાનો બદલો લેવાની ધમકી આપી છે. આતંકવાદી સંગઠન અલ-કાયદએ સાત પેજની મેગેઝીન જાહેર કરી હતી જેમાં લખ્યું છે કે આ હત્યાકાંડનો બદલો લેશું. માફિયા અતીક અહમદ અને તેના ભાઈ અશરફનું મર્ડર 15 એપ્રિલનાં રોજ પ્રયાગરાજમાં થયું હતું. આ હત્યાકાંડમાં શૂટર અરુણ મૌર્ય, સની અને લવકેશ તિવારીની ધરપકડ કરવામાં આવી. આ ત્રણેય પત્રકાર બનીને આવ્યાં હતાં અને મીડિયાની નજરોની સામે બંદૂકથી બંને પર શૂટિંગ કર્યું હતું. આ ઘટના દરમિયાન આશરે 18 રાઉન્ડ ફાયરિંગ થઈ જેમાં 8 ગોળીઓ અતીકને લાગી હતી.
સુદાનમાં સેના અને અર્ધલશ્કરી દળો વચ્ચે ચાલી રહેલા ગૃહયુદ્ધને કારણે ત્યાંની સ્થિતિ ખરાબથી ખરાબ થઈ રહી છે. ત્યારે હવે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ત્યાં ફસાયેલા ભારતીયો માટે ચિંતા વ્યક્ત કરી છે અને સંબંધિત અધિકારીઓને શક્ય તેટલી વહેલી તકે તેમને બહાર કાઢવા માટે કહ્યું છે. આ માટે PM મોદીએ શુક્રવારે એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી.વડાપ્રધાન કાર્યાલયે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે પીએમ મોદીએ સુદાનમાં સતર્ક રહેવા, ઘટનાક્રમ પર નજીકથી નજર રાખવા અને ભારતીય નાગરિકોની સુરક્ષાનું મૂલ્યાંકન કરવાનો નિર્દેશ આપ્યો છે. PMએ સુદાનમાંથી ભારતીયો માટે આકસ્મિક સ્થળાંતર યોજના તૈયાર કરવા અને સુરક્ષા અને વિકલ્પોની શક્યતાના આધારે ઝડપી ફેરફારોનો નિર્દેશ આપ્યો છે. આ બેઠકમાં વિદેશ મંત્રી એસ જયશંકર, વાયુસેના અને નૌકાદળના વડાઓ, વિદેશ અને સંરક્ષણ મંત્રાલયના ટોચના અધિકારીઓ ઉપરાંત વરિષ્ઠ રાજદ્વારીઓએ હાજરી આપી હતી. જયશંકર હાલ ગુયાનાના પ્રવાસે છે. જણાવી દઈએ કે હાલમાં 3000 થી વધુ ભારતીયો સુદાનમાં ફસાયેલા છે. રાજધાની ખાર્તુમમાં સંઘર્ષને કારણે તેમને બહાર કાઢવામાં મુશ્કેલીઓ આવી રહી છે.