સંસદીય બોર્ડમાંથી હટાવ્યા બાદ પ્રથમ વખત શિવરાજ સિંહ ચૌહાણનું નિવેદન
પાર્ટી કહે તે કરવા માટે તૈયાર હોવાનો શિવરાજ સિંહે કર્યો દાવો
ભાજપના સંસદીય બોર્ડમાંથી બહાર થયા બાદ મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પ્રથમ વખત પ્રતિક્રિયા આપી છે. શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે, સંસદીય બોર્ડમાંથી બહાર થવા પર મને કોઈ અચરજ નથી. કેન્દ્રીય સ્તર પર એક ટીમ હોય છે, જે એ નક્કી કરે છે કે, કોને શુ કરવું. જેવી રીતે અમે રાજ્યમાં નક્કી કરીએ છીએ. શિવરાજે કહ્યું કે, આજે લોકો ચિત્ર વિચિત્ર વાતો કરી રહ્યા છીએ, તે બધા લોકો વાતો કરવાનું છોડી દે. અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ સંસંદીય બોર્ડમાં જેમને સામેલ કર્યા છે, તે તમામ લોકો યોગ્ય ઉમેદવારો છે. સંસદીય બોર્ડમાં પૂર્વ-પશ્ચિમ, ઉત્તર-દક્ષિણને ધ્યાનમાં રાખીને બનાવામાં આવ્યું છે.
શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે, મેં ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું કે, હું એક દિવસ મધ્યપ્રદેશનો મુખ્યમંત્રી બનીશ. હું પાર્ટીનો એક નાનો કાર્યકર્તા છું. જો પાર્ટી કહેશે તો, જાજમ પાથરવા માટે પણ તૈયાર છું, શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે તેમની પાર્ટીના તમામ નિર્ણયો સમજી વિચારીને લેવામાં આવે છે. જોયા જાણ્યા વગર કોઈ નિર્ણય લેવાતો નથી. શિવરાજે કહ્યું કે, મને આ વાતનું કોઈ અહમ નથી, કે હું જ પાર્ટીમાં યોગ્ય છું. ઘણા બધાં નેતાઓ યોગ્ય છે. જે સંસદીય બોર્ડનો ભાગ બની શકે છે. શિવરાજે કહ્યું કે, રાષ્ટ્રહિત માટે પાર્ટી જે નિર્ણય લે છે, તેને હંમેશા માનવા માટે તૈયાર છું.
પાર્ટી કહેશે તો મારા ગામમાં જ રહીશ
શિવરાજ અહીંથી અટક્યા નહોતા. તેમણે કહ્યું કે, જે દિવસે પાર્ટી આદેશ આપશે કે, હું મારા ગામ જૈતમાં જ રહું, તો ત્યાં પણ રહીશ. પાર્ટી કહેશે કે ભોપાલમાં રહો, તો ભોપાલમાં રહીશ. રાજનીતિમાં વ્યક્તિગત મહત્વકાંક્ષા ન હોવી જોઈએ. શિવરાજે કહ્યું કે, દેશના કેટલાય રાજ્યોમાં ભાજપ પોતાના દમ પર સરકાર ચલાવી રહી છે. અમારા માટે આનાથી વધારે ખુશીની વાત શું હોઈ શકે. પાર્ટી વિસ્તરી રહી છે. તેનાથી વધારે શું જોઈએ. આજે બીજી પાર્ટીઓ ભાજપ સામે નતમસ્તક થઈ ગઈ છે. શિવરાજે કહ્યું કે, ભાજપનો એક વિશાળ પરિવાર છે.
અમારી સામે મોટો ટાર્ગેટ, તે મેળવવો એજ અમારો ઉદ્દેશ્ય
આગળ બોલતા શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે, હું મધ્ય પ્રદેશનો મુખ્યમંત્રી છું, જ્યારે રાજકારણમાં પગ મુક્યો ત્યારે વિચાર્યું પણ નહોતું કે ધારાસભ્ય પણ બનીશ. શિવરાજ સિંહે કહ્યું કે, વિપક્ષના લોકો એ નથી જાણતા કે ભાજપના કાર્યકર્તાઓ રાત દિવસ પાર્ટીની મજબૂતી માટે કામ કરે છે. તેઓ પોતાની સામે એક મોટો ટાર્ગેટ બાંધીને ચાલે છે. આ લક્ષ્યને સામે રાખીને પાર્ટીના કામમાં લાગેલા રહે છે.