રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે વધુ એક વખત આરબીઆઇ વ્યાજદરમાં ઘટાડો કરશે એવો નિર્દેશ આપ્યો છે. આરબીઆઇ આગામી મહિને ઓગસ્ટમાં યોજાનારી મોનેટરી પોલિસી રિવ્યૂ બેઠકમાં ૦.૨૫ ટકાનો વ્યાજદરમાં ઘટાડો કરી શકે છે એવો શક્તિકાંત દાસે સ્પષ્ટ સંકેત આપ્યો હતો.
આરબીઆઇ અત્યાર સુધીમાં ત્રણ વખત નીતિગત વ્યાજદરમાં ઘટાડો કરી ચૂકી છે અને આ રીતે વ્યાજદરમાં ૦.૭૫ ટકા સુધી ઘટાડો થઇ ચૂક્યો છે. હવે ૭ ઓગસ્ટે મળનારી આરબીઆઇ મોનેટરી પોલિસી રિવ્યૂ કમિટીની બેઠકમાં ચોથી વખત વ્યાજદરમાં ૦.૨૫ ટકાનો ઘટાડો કરશે.
આરબીઆઇના ગવર્નરે જણાવ્યું છે કે રિઝર્વ બેન્ક વ્યાજદરમાં ૦.૭૫ ટકાના ઘટાડા સાથે હવે પોતાના વલણને તટસ્થથી નરમ કરી ચૂકી છે. નરમ વલણનો અર્થ એ થાય છે કે રેપો દરમાં ઓછામાં ઓછા ૦.૨૫ ટકાના ઘટાડાની શક્યતા છે, જોકે બજાર, ઓટો, રિયલએસ્ટેટ અને અન્ય સેક્ટરોની સ્થિતિ જોતા ઓછામાં ઓછા ૦.૫૦ ટકાના ઘટાડાની આશા રાખી શકાય છે.
વર્ષ ૨૦૧૩ બાદ પ્રથમ વખત રિઝર્વ બેન્ક સતત ત્રણ વાર વ્યાજદર ઘટાડી ચૂકી છે અને જો ચોથી વાર વ્યાજદર ઘટાડશે તો એક નવો રેકોર્ડ બનશે. શક્તિકાંત દાસે જણાવ્યું છે કે મોંઘવારી અને ફુગાવો અમારા માટે મુખ્ય બાબત છે, પરંતુ આર્થિક વિકાસ દરમાં સુસ્તીની હકીકત જોતાં તેને ફરીથી પાટા પર લાવવા માટે સૌએ ભૂમિકા ભજવવી પડશે.
ઉદ્યોગોને વાજબી દરે લોન ઉપલબ્ધ કરાવવા પર રિઝર્વ બેન્કનું ખાસ ધ્યાન રહેશે. શક્તિકાંત દાસની વ્યાજદરના ઘટાડા અંગે ટિપ્પણી બાદ બેન્ચમાર્ક ૧૦ સાલના બોન્ડ યીલ્ડ ૮ બેઝિસ પોઇન્ટ વધીને ૬.૪૪ ટકા થઇ ગયું છે.