ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી દુષ્કર્મના કેસો વધી રહ્યા છે તે પછી નાની બાળકી હોય કે પછી પરિણીતા. ગુજરાતમાં દિકરીઓ સલામત હોવાની વાતો પોકળ સાબિત થઇ છે. ત્યારે ફરી એકવાર વડોદરામાં લંપટોએ સગીરાને પોતાનો શિકાર બનાવી. વડોદરાના ન્યુ. વી.આઇ પી રોડ પાસેના પાર્કિંગના બસમાં સગીરા સાથે દુષ્કર્મ આચર્યુ હોવાનુ સામે આવ્યુ છે.
પોક્સો એકટ હેઠળ નોંધાઇ ફરિયાદ
હજી તો વડોદરામાં કથિત દુષ્કર્મ બાદ ટ્રેનમાં આપઘાતની ઘટનાનું કોકડું ઉકેલાયુ નથી તેવામાં હવસખોરોએ સગીરાને નિશાન બનાવી. આ શખ્સો સગીરાને ન્યુ.વી.આઇ.પી રોડ પાસેના પાર્કિંગમાં લઇ ગયા અને ત્યાં પડેલી બસમાં સગીરા સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્યુ આચર્યુ. ઘટનાને પગલે સગીરાએ પરિવારને જાણ કરતા 3 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.હરણી પોલીસે પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધીને આરોપીઓને ઝડપી પાડવા તપાસના ચક્રોગતિમાન કર્યા છે.
હજી તો આ કેસ ઉકેલાયો નથી
વડોદરામાં રહેતી અને મૂળ નવસારીની યુવતીએ દિવાળીના દિવસે વલસાડની ટ્રેનમાં આપઘાત કર્યો હતો. વલસાડ રેલવે સ્ટેશન પર દિવાળીના દિવસે વહેલી સવારે ગુજરાત કવીનના D12 નંબરના કોચમાં ફાંસો ખાધેલી હાલતમાં યુવતીની લાશ મળી આવી હતી. આ મામલે તપાસ કરતા GRPની ટીમને તેણે લખેલી એક ડાયરી હાથ લાગી હતી જેમાં સામે આવ્યું હતું કે આપઘાતના 2 દિવસ પૂર્વે વડોદરાના 2 રિક્ષાચાલક યુવકે તેનું અપહરણ કર્યું હતું. એ બાદ વેક્સિન ગ્રાઉન્ડમાં યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. જો કે FSL રિપોર્ટમાં યુવતી પર દુષ્કર્મ થયુ ન હોવાનુ તારણ સામે આવતા કેસ ગુંચવાયો છે.