આજે રણજી ટ્રોફીનાં ઈતિહાસમાં પહેલી વાર કાળો દિવસ હતો. જેન્ટલમૅન ગેમ કહેવામાં આવતી ક્રિકેટમાં આજે અડધી મેચમાં શરમજનક ઘટના સામે આવી છે. મોહાલીમાં પંજાબ અને દિલ્હીની વચ્ચે મેચ રમવામાં આવી રહી છે જે દરમિયાન વિવાદ સર્જાયો હતો. ઘણા લોકો જેને ટીમ ઈન્ડિયાનું ભવિષ્ય માને છે તેવા શુભમન ગિલે આઉટ થઇ ગયા બાદ મેદાન છોડવાની જ ના પાડી દીધી.
પંજાબ આ મેચમાં ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો. સનવીર સિંહ અને શુભમન ગિલ સૌથી પહેલાં બેટિંગ કરવા મેદાનમાં ઉતર્યા. સનવીર સિંહ કંઈ ખાસ કરી ન શક્યા અને બીજી જ ઓવરમાં આઉટ થઇ ગયાં. હવે શુભમન ગિલ પર પંજાબ માટે સારી શરૂઆત કરવાની જવાબદારી હતી. પરંતુ તે ખુબ જલ્દી જ અમ્પાયર દ્વારા આઉટ કરવામાં આવ્યા. અમ્પાયરનાં આ નિર્ણય થી શુભમન ખુબ નાખુશ દેખાયા.
શુભમનની દાદાગીરી બાદ નિર્ણય પલટવામાં આવ્યો
એટલું જ નહીં શુભમને મેદાન છોડવાની જ નાં પાડી દીધી અને અમ્પાયર મોહમ્મદ રફીને અપશબ્દો કહેવા લાગ્યાં. શુભમન ગિલે ચાલુ મેચમાં જ આ રીતે દાદાગીરી કરતા અમ્પાયરે પણ લેગ અમ્પાયર સાથે વાતચીત કરવાની ફરજ પડી અને નિર્ણય પલટી દેવામાં આવ્યો. અમ્પાયરે જ્યારે પોતાનો જ નિર્ણય પલટી દીધો તો આ નિર્ણય દિલ્હીની ટીમને નાં ગમ્યો. આખે આખી ટીમ નીતીશ રાણાની આગેવાનીમાં મેદાન છોડીને બહાર જતી રહી. જે બાદ મેચ જ રોકાઈ ગઈ.
રણજીમાં પંજાબ મોખરે, દિલ્હી સાતમાં સ્થાને
આખરે મેચનાં રેફરી પી રંગનાથને હસ્તક્ષેપ કરવો પડ્યો અને મેચ ફરીથી શરુ કરવામાં આવી. નોંધનીય છે કે શુભમન ગિલ ટીમ ઈન્ડિયા માટે પણ રમી ચુક્યા છે. જીવનદાન મળ્યા બાદ પણ તે કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યા નહિ. 20 વર્ષનાં બેટ્સમેન શુભમને માત્ર 23 જ રન ફટકાર્યા. અનુજ રાવતે તેમનો કેચ વિકેટની પાછળથી પકડી લીધો. 41 બોલમાં શુભમને 23 રન કર્યા. રણજી ટ્રોફીની વાત કરીએ તો પંજાબ 17 અંકો સાથે ટોપ પર છે જ્યારે દિલ્હી 11 અંકો સાથે સાતમાં સ્થાને છે.