રાજ્યસભાની ચૂંટણીને લઈને ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય કરાયો છે. કોરોનાને લઈને રાજ્યસભાની ચૂંટણીને મુલતવી રાખવામાં આવી છે. ત્યારે ક્રોસ વોટિંગના ડરે રાજસ્થાનના જયપુર લઇ જવાયેલા ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો અમદાવાદ પરત ફર્યા છે.
ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો અમદાવાદ પહોંચ્યા
છેલ્લા કેટલાક દિવસથી કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને જયપુર લઇ ગઇ હતી
કોરોના વાયરસના કહેરને લઇને રાજ્યસભાની ચૂંટણી રદ્દ કરાઇ હતી
રાજ્યસભાની ચૂંટણી રદ્દ થતાં ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા. વિપક્ષના નેતા પરેશ ધાનાણી અને કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા પણ ગુજરાત પર ફર્યા છે. મહત્વનું છે કે આ કોંગ્રેસના નેતાઓ અને ધારાસભ્યો છેલ્લા કેટલાય સમયથી જયપુરના રિસોર્ટમાં હતા.
અમદાવાદ એરપોર્ટ પર પહોંચેલા કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ સરકાર પર પ્રહાર કર્યા હતા. પરેશ ધાનાણીએ કહ્યું કે, રાજકીય સ્વાર્થ સાધવાના પ્રયાસને જનતા જાણે છે. અમારા ધારાસભ્યોને છેલ્લા 10 દિવસથી પાડોશના રાજ્યમાં આશરો લેવો પડ્યો હતો. અમે એક જ જગ્યાએ હતા. અમે બધા જ સાથે આવ્યા હતા. હવે અમે પોતાના મત વિસ્તારમાં જઇશું.
કોરોના અંગે ધાનાણીએ કહ્યું કે, અમે સુરક્ષીત છીએ. મેડિકલ ટીમ સતત 10 દિવસથી અમારી સાથે હતી. રાજસ્થાન સરકારે અમને સુવિધા પૂરી પાડી હતી. અમે સેલ્ફ ક્વોરોન્ટાઇનમાં હતા. ક્યાંય બહાર ગયા નથી. ગુજરાતના લોકોના મનમાં રહેલ કોરોનાના ભયને નાબૂદ કરવા અને કોરોનાને અટકાવવાના પ્રયાસોમાં ભાગીદાર બનીશું. અમે સુરક્ષિત છીએ અને તમે સૌ પણ સુરક્ષિત રહો તેવી પ્રાર્થના.
26 માર્ચે યોજાનારી રાજ્યસભાની ચૂંટણી રદ્દ
મહત્વનું છે કે રાજ્યસભાની 26 માર્ચે યોજાનારી ચૂંટણી રદ્દ થઇ છે. 10 રાજ્યોની 37 સીટો પર ઉમેદવાર બિનહરીફ થયા છે. જ્યારે 7 રાજ્યોની 18 સીટો પર મતદાન થવાનું હતું. ગુજરાત, આંધ્રપ્રદેશ, ઝારખંડ, રાજસ્થાનમાં રાજ્યસભાની ચૂંટણી યોજાવવાની હતી. ત્યારે હવે ચૂંટણીપંચ દ્વારા જનપ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 153 આધારે ચૂંટણીને મુલતવી રાખવાનો નિર્ણય કરાયો છે. સ્થિતિ સામાન્ય થયા બાદ ચૂંટણી પંચ દ્વારા નવી તારીખો જાહેર કરાશે.