ગુજરાત કોંગ્રેસની ચિંતામાં વધારો થયો છે. 19મી જૂને યોજાનારી રાજ્યસભાની ચૂંટણીમાં નવો વળાંક આવ્યો છે. કોંગ્રેસના વધુ બે ધારાસભ્યોએ રાજીનામાં આપ્યા છે. અગાઉ પણ ચાર ધારાસભ્યો રાજીનામાં આપ્યા છે.
ગુજરાત કોંગ્રેસ સંકટમાં
વધુ બે ધારાસભ્યોએ આપ્યા રાજીનામાં
ભાજપ જડતોડ કરતી હોવાનો આક્ષેપ
ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીને લઈને ઘમાસાણ ચાલી રહ્યુ છે ત્યારે મોટા સમાચાર સામે આવ્યા છે. કરજણના અક્ષય પટેલ અને કપરાડાના જીતુ ચૌધરીએ રાજીનામું આપી દીધુ છે. આ અંગે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ સત્તાવાર રીતે જાહેરાત કરી હતી.
શું કહે છે વિધાનસભા અધ્યક્ષ
વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતુ કે, મારી પાસે કોંગ્રેસના બે ધારાસભ્ય આવ્યા હતા. એક કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ મને મળવા આવ્યા હતા અને રૂબરૂ રાજીનામું આપ્યું હતુ જેમાં મેં તેમનું માસ્ક ઉતરાવીને કન્ફોર્મ કર્યુ હતુ કે તે પોતે જ છે. અક્ષય પટેલે પોતે રાજીખુશીથી રાજીનામું આપ્યુ છે. અને કપરાડાના જીતભાઈ ચૌધરી તેઓએ પોતાના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે. મેં તેમનું રાજીનામું સ્વીકાર્યુ છે તે આજથી ધારાસભ્ય નથી રહ્યા.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 4, 2020
અગાઉ કોંગ્રસના 5 ધારાસભ્યોએ રાજીનામાં આપ્યા હતા
ધારીના ધારાસભ્ય જે.વી.કાકડિયા
લીંબડીના ધારાસભ્ય સોમા પટેલ
અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા
ગઢડાના ધારાસભ્ય પ્રવિણ મારૂ
ડાંગના ધારાસભ્ય મંગળ ગાવિત
કોણ કોણ છે મેદાનમાં?
ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠકો માટે 19 જૂને ચૂંટણી યોજાશે. સવારે 9 થી સાંજે ચાર વાગ્યા સુધી મતદાન થશે. ત્યાર બાદ સાંજે 5 વાગ્યે મતગણતરી યોજાશે. આ ચૂંટણીમાં કોંગ્રેસમાંથી શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે ભાજપ વતી અભય ભારદ્વાજ, રમીલાબેન બારા અને નરહરિ અમીને ઉમેદવારી નોંધાવી છે. આ પહેલા રાજ્યસભા ચૂંટણી 26 માર્ચ 2020ના રોજ યોજાવાની હતી. પરંતુ કોરોનાને કારણે ચૂંટણી મોકૂફ રાખવામાં આવી હતી.