રાહુલ ગાંધીના 'ચીન આપણા સૈનિકોને માર મારી રહ્યું છે' નિવેદન પર ભારતીય જનતા પાર્ટી આકરા પ્રહાર કરી રહી છે. આ દરમિયાન રક્ષા મંત્રી રાજનાથ સિંહે પણ નામ લીધા વગર નેતાઓને જૂઠાણાની રાજનીતિથી દૂર રહેવાની સલાહ આપી છે. તેમણે કહ્યું કે આપણી સેનાએ ગલવાન અને તવાંગમાં બહાદુરી બતાવી છે.
રાજનાથસિંહે તવાંગમાં ભારતીય સેનાની બહાદુરીની કરી પ્રશંસા
સેનાએ ગલવાન અને તવાંગમાં કરિશ્મા કર્યોઃ રાજનાથસિંહ
સેનાના જેટલા વખાણ કરવામાં આવે તેટલા ઓછા છેઃ રક્ષા મંત્રી
LAC પર ચીન સાથે ચાલી રહેલા તણાવને લઈને કેન્દ્ર સરકારને ઘેરી રહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને હવે રક્ષા મંત્રી રાજનાથસિંહે સલાહ આપી છે. તેમણે કહ્યું કે, ગલવાન અને તવાંગમાં આપણી સેનાએ જે બહાદુરી બતાવી છે, તેના જેટલા વખાણ કરવામાં આવે તે ઓછા છે. રાજનીતિ સત્ય બોલીને કરવામાં આવે છે, જુઠ્ઠું બોલીને નહીં. રાજનાથસિંહે કોઈનું નામ તો નથી લીધું પરંતુ એવું માનવામાં આવે છે કે તેમનો ઈશારો રાહુલ ગાંધી અને તે નેતાઓની તરફ છે જેઓ સેનાની બહાદુરી પર સવાલ ઉઠાવી રહ્યા છે.
'જૂઠું બોલીને લાંબા સમય સુધી રાજનીતિ નથી કરી શકાતી'
દિલ્હીમાં ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (FICCI)ના વાર્ષિક સંમેલન અને AGMમાં રક્ષા મંત્રીએ કહ્યું કે, અમે ક્યારેય વિપક્ષના કોઈ નેતાના ઈરાદા પર સવાલ ઉઠાવ્યા નથી, જો અમે સવાલ ઉઠાવ્યા છે તો નીતિઓને લઈને ઉઠાવ્યા છે. તેમણે કહ્યું, 'ગલવાન હોય કે તવાંગ, આપણી સેનાએ જે બહાદુરી અને પરાક્રમ બતાવ્યું છે તેના જેટલા વખાણ કરવામાં આવે તેટલા ઓછા છે. હું ખૂબ જ નમ્રતાપૂર્વક વિનંતી કરું છું કે અમે પણ ક્યારેય વિરોધ પક્ષના કોઈ નેતાના ઈરાદા પર સવાલ નથી ઉઠાવ્યા, નીતિઓ વિશે ચર્ચા કરી છે. રાજનીતિ સત્ય બોલીને કરવામાં આવે છે. જૂઠું બોલીને લાંબા સમય સુધી રાજનીતિ કરી શકાતી નથી. રાજકારણ બે શબ્દોથી બનેલું છે - રાજ અને નીતિ. જે રાજકીય વ્યવસ્થા સમાજને સાચી દિશામાં આગળ લઈ જવાનું કામ કરે છે તેને રાજનીતિ કહેવાય છે.'
'ભારતીય સેનાએ ગલવાન અને તવાંગમાં કર્યો કરિશ્મા'
રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, ગલવાન અને તવાંગમાં ભારતીય સેનાએ જે કરિશ્મા કર્યો છે તેની તેમણે પોતે કલ્પના પણ નહોતી કરી. તેણે કહ્યું કે, 'ગેલવાન હોય કે હવે તવાંગ. હું પોતે કલ્પના પણ કરી શકતો નથી કે આપણી સેના આવો કરિશ્મા કરી શકે છે. સેનાના જેટલા પણ વખાણ કરવામાં આવે એટલા વખાણ ઓછા છે. આંતરરાષ્ટ્રીય સમુદાયમાં ભારતનું સન્માન વધ્યું છે. તે બધા સ્વીકારે છે. ભારતનું કદ ઘણું ઊંચું થઈ ગયું છે. પહેલા જ્યારે ભારત બોલતું હતું ત્યારે તેની વાતને આંતરરાષ્ટ્રીય મંચ પર બહુ ગંભીરતાથી લેવામાં આવતી ન હતી, પરંતુ આજે જ્યારે ભારત બોલે છે ત્યારે લોકો કાન ખોલીને સાંભળે છે કે ભારત શું બોલી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય જગતમાં ભારતનો દરજ્જો વધ્યો છે.'
ચીન આપણા સૈનિકોને માર મારી રહ્યું છે અને સરકાર ઉંઘી રહી છેઃ રાહુલ ગાંધી
વાસ્તવમાં પીએલએના જવાનો ભારતીય ક્ષેત્રમાં ઘૂસણખોરી કરીને નિર્માણ કરવા જઈ રહ્યા હતા, પરંતુ આપણા બહાદુરોએ તેઓને પાછળ ધકેલી દીધા. આ અથડામણ દરમિયાન બંને સેનાના કેટલાક જવાનો ઈજાગ્રસ્ત થયા છે. રાહુલ ગાંધી LAC પરની સ્થિતિને લઈને સરકાર પર સતત પ્રહારો કરી રહ્યા છે. શુક્રવારે તેમણે આરોપ લગાવ્યો હતો કે, ચીને આપણી 2 હજાર ચોરસ કિલોમીટર જમીન પર કબજો જમાવી લીધો છે. તેમણે કહ્યું હતું કે 'ચીન આપણા સૈનિકોને માર મારી રહ્યું છે'. ચીન યુદ્ધની તૈયારી કરી રહ્યું છે પરંતુ ભારત સરકાર ઉંઘી રહી છે.