રાજકોટ પોલીસે પેટ્રોલ પંપ પર સિગારેટ સળગાવી દાદાગીરી કરતા બે શખ્સોની ગણતરીની કલાકોમાં ધરપકડ કરીને કાયદાનું ભાન કરાવ્યું છે.
દૂધસાગર રોડ પર પેટ્રોલ પંપમાં દાદાગીરીનો મામલો
ઘાંચીવાડના 2 શખ્સોની પોલીસે કરી ધરપકડ
શખ્સોએ પેટ્રોલ પંપ પર મચાવ્યો હતો આતંક
છેલ્લા ઘણા સમયથી રાજકોટમાં અસામાજિક તત્વોનો આતંક વધ્યો હોવાના કિસ્સા સામે આવી રહ્યા છે. કેટલાક અસામાજિક તત્વો પોતાનો રૌફ બતાવવા ગુનાહિત પ્રવૃતિઓને અંજામ આપી રહ્યા છે. ત્યારે હાલ આવો જ વધુ એક કિસ્સો સામે આવ્યો છે.
પંપ પર સિગારેટ સળગાવી કરી દાદાગીરી
રાજકોટના દૂધસાગર રોડ પર આવેલા પેટ્રોલ પંપ ઉપર બે શખ્સો પેટ્રોલ પૂરાવવા માટે ગયા હતા, આ દરમિયાન એક શખ્સે પેટ્રોલ પંપ પર સિગારેટ સળગાવી હતી. જેથી પેટ્રોલ પંપના કર્મચારીએ પેટ્રોલ પંપ પર સિગારેટ પીવાની મનાઈ કરતા બીજા શખ્સે તીક્ષ્ણ હથિયાર બતાવીને ધમકી આપી હતી અને પેટ્રોલ પંપ પર દાદાગીરી કરી હતી. જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા.
પેટ્રોલ પંપના સંચાલકે નોંધાવી ફરિયાદ
આ સમગ્ર મામલે પેટ્રોલ પંપના સંચાલક યાસીનભાઈ ગાંજાએ આવારા તત્વોના આતંકને લઈને થોરાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પેટ્રોલ પંપના સંચાલકની ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
ગણતરીની કલાકોમાં જ બંને શખ્સોને દબોચી લીધા
પોલીસે ગણતરીની કલાકોમાં જ પેટ્રોલ પંપ પર આતંક મચાવનાર બે શખ્સોને દબોચી લીધા હતા. પોલીસે ઘાંચીવાડ વિસ્તારમાં રહેતા આમીર સલીમ મેમણ અને અરબાઝ ડોડીયા સુમર નામના બે શખ્સોને પકડીને કાયદાનું ભાન કરાવ્યું છે.