રાજસ્થાનમાં ચાલી રહેલી રાજનીતિક ઉઠાપટકના પ્રથમ અંકનો પટાક્ષેપ થયો છે, જેમાં રાજ્યના મુખ્યમંત્રી અને કોંગ્રેસના વયોવૃદ્ધ અને અનુભવી નેતા અશોક ગેહલોત અને નાયબ મુખ્યમંત્રી કમ યુવા આગેવાન સચિન પાયલોટ વચ્ચેના દ્વંદ યુદ્ધમાં પ્રથમ ભાગમાં અશોક ગેહલોતનો હાથ ઉપર રહ્યો હોવાનું સ્પષ્ટ જણાઈ રહ્યું છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી સુદ્ધા સચિન પાયલોટની હકાલપટ્ટી કરી દેવામાં આવી છે. ત્યારે હવે શું છે પાયલટ પાસે રસ્તો? આગળ શું કરી શકે છે?
સચિનને કોંગ્રેસ દ્વારા કરાયા છે બરતરફ
ભાજપને જોઈન કરવાના મૂડમાં નથી સચિન
નવો પક્ષ બનાવવાનો એકમાત્ર વિકલ્પ બાકી
જે બાદ તેમને આગામી યોજના વિશે પૂછવામાં આવતા તેમણે ન્યુઝ ચેનલ ANIને આપેલા એક ઇન્ટરવ્યુંમાં જણાવ્યું હતું કે તેઓ હાલમાં ભાજપને જોઈન કરવા જઈ રહ્યાં નથી કે તેમનો એવો કોઈ ઈરાદો પણ નથી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે તેમણે જીવનભર ભાજપ સામેની રાજનીતિ કરી છે તો તેઓ તેને કઈ રીતે જોઈન કરી શકે? અને તેમણે દાવો પણ કર્યો હતો કે છેલ્લા 6 મહિનાથી તેમની જ્યોતિરાદિત્ય સિંધિયા સાથે કોઈ મુલાકાત થઈ નથી. તો શું પછી તેઓ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીની માફક કોંગ્રેસ સામે હિસાબ ચૂકતે કરશે?
રાજસ્થાન કોંગ્રેસના બાગી નેતા અને ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ સચિન પાયલોટે પોતાની જ પાર્ટીની સરકાર સામે બળવો પોકારતા કોંગ્રેસ આલાકમાન દ્વારા તેમની હકાલપટ્ટી કરવામાં આવી છે. એટલું જ નહિ સરકાર અને સંગઠન સહિતના તમામ પદોથી તેમને બરતરફ કરાયા હતા. જે બાદમાં મીડિયામાં રાજસ્થાન સરકારના અસ્તિત્વ પર ઘેરાઈ રહેલા સંકટના અહેવાલોને પગલે મુખ્યમંત્રી અશોક ગેહલોત સક્રિય બન્યા હતાં અને પાર્ટીના હાઈકમાન્ડને વિશ્વાસમાં લઈને સરકાર સુરક્ષિત હોવાનો દાવો કર્યો હતો. જેની પુષ્ટિ માટે તેમણે કોંગ્રેસના ધારાસભ્ય દળની બેઠક બોલાવી હતી અને મીડિયા સમક્ષ ઉપસ્થિત થયા હતાં. આ બેઠક બે વાર બોલાવવામાં આવી હતી. જેમાં કોંગ્રેસના ધારાસભ્યો સહિત સરકારમાં સામેલ અપક્ષ ધારાસભ્યો પણ સામેલ થયા હતાં અને તેમના ટેકા અને સમર્થન પત્રો દ્વારા ગેહલોતે સાબિત કર્યું હતું. તેમના નેતૃત્વ નીચેની રાજસ્થાનની કોંગ્રેસ સરકાર સંપૂર્ણપણે સુરક્ષિત છે જે બાદમાં તેમણે સચિન પાયલોટ પર પ્રહારો કર્યા હતાં. પછીથી કોંગ્રેસ પાર્ટી દ્વારા સચિનને સરકાર સહિત સંગઠનના તમામ હોદ્દાઓ પરથી દુર કરાયા હોવાના અહેવાલો પ્રસિદ્ધ થયા હતા.
જોકે આ મુદ્દે સચિન પાયલોટ ખુલીને મીડિયા સમક્ષ આવ્યા નહોતા. તેમણે માત્ર એવું જ કહ્યું હતું કે તેઓ ભાજપને જોઈન કરવા જઈ રહ્યાં નથી. આમ અમુક સમયથી ભાજપના અમુક નેતાઓ દ્વારા જે રીતે સચિનના સમર્થનમાં વિવિધ ટિપ્પણીઓ કરવામાં આવી રહી હતી. જેના લીધે એવો માહોલ બની રહ્યો હતો કે સચિન શું ભાજપ જોઈન કરવાના છે? પરંતુ આ અફવાઓનો સચિને છેદ ઉડાડી દીધો હતો.
આગળ શું રસ્તો ?
સચિન પાયલોટ પાસે હવે પોતાની રાજનીતિક કરિયરને ચાલુ રાખવાનો એકમાત્ર વિકલ્પ હવે નવો પક્ષ બનાવીને નવેસરથી કોંગ્રેસ સામે સંઘર્ષ ચાલુ કરવાનો રહ્યો છે. અત્યાર સુધી ચાલી રહેલી અંધાધૂધી અને ગેરસમજણથી શંકાના વાદળો ઘેરાઈ રહ્યાં હતા.
ઉલ્લેખનીય છે કે જ્યારે ક્યાંય કોઈ દિશા ન દેખાય ત્યારે એકમાત્ર રસ્તો ઇતિહાસના પાનાઓને ખોળવાનો રહે છે. જેમાં અત્યાર સુધીમાં માત્ર એકમાત્ર એવો દાખલો આંધ્રપ્રદેશના હાલના મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીનો મળે છે. પોતાના પિતા આંધ્ર કોંગ્રેસના મુખ્યમંત્રી અને દિગ્ગજ નેતા YS રાજશેખર રેડ્ડીના એક હેલીકોપ્ટર દુર્ઘટનામાં 2009માં મોત થયા બાદ રાજ્ય કોંગ્રેસ મોવડીમંડળ અને કોંગ્રેસ આલાકમાન દ્વારા જગન મોહન રેડ્ડીની સતત ઉપેક્ષા કરવામાં આવી હતી. તેમને રાજ્યમાં સાવ કોરાણે મુકવાના પ્રયત્નો પણ થયા અને આવક 2019માં યોજાયેલી ચૂંટણીમાં તેમના પક્ષ YSR કોંગ્રેસને પ્રચંડ બહુમત મળ્યો હતો. સાથે જ લોકસભા ચૂંટણીઓમાં પણ તેમણે રાજ્યમાંથી કોંગ્રેસ અને અન્ય વિપક્ષનો સફાયો કરી નાખ્યો હતો. આ માટે તેમણે સતટ બે વર્ષો સુધી રાજ્યના અલગ અલગ ભાગોમાં જનસંપર્ક માટે પદયાત્રાઓ યોજી હતી અને જનાક્રોશને વાચા આપી હતી. પ્રજાની લાગણીઓને પોતાની તરફેણમાં ફેરવી અને પ્રચંડ બહુમત મેળવી સરકાર બનાવી હતી.
શું સામ્યતા છે રેડ્ડી અને પાયલોટમાં?
ઘણી બધી સમાનતાઓ છે. બંનેના પિતા કોંગ્રેસના દિગ્ગજ લીડર રહી ચુક્યા છે. સચિન પાયલોટના પિતા તો 1997માં કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી પણ સોનિયા ગાંધી સમર્થિત ઉમેદવાર સામે લડી ચુક્યા છે. બંને યુવા છે. પોતપોતાના રાજ્યોમાં જનતા સાથે સાહજિક સંપર્ક ધરાવે છે. ક્લીન અને સાફસુથરી ઈમેજ ધરાવે છે. જનતાના દરેક વર્ગમાં લોકપ્રિય છે. રેડ્ડીની જેમ રાજસ્થાનમાં કોંગ્રેસને જીતાડવા માટે સચિન પાયલોટ પણ ઘણી પદયાત્રાઓ કરી ચુક્યા છે. એ સર્વવિદિત છે કે રાજ્યની તત્કાલીન ભાજપ સરકારને ઉથલાવીને કોંગ્રેસને સત્તાનશીન કરવામાં તેમનો સિંહફાળો રહ્યો છે. બંને જુઝારુ અને સાહસિક પ્રવૃત્તિના નેતા છે. બંનેને કોંગ્રેસ આલાકમાન દ્વારા પ્રતાડિત કરવામાં આવ્યા છે. વગરે...
શું કામ રેડ્ડી મોડેલ?
ભાજપને નનૈયો ભણ્યા પછી હવે રાજ્યમાં ત્રીજો મોરચો બનાવવો એવો એક્માત્ર વિકલ્પ સચિન પાસે બાકી રહે છે. નવો પક્ષ બનાવ્યા પછી કઈ રીતે ભારતીય રાજકારણમાં સફળ બની શકાય તવો એકમાત્ર જ્વલંત ઉદાહરણ હાલના તબકકે જગન મોહન રેડ્ડીનું છે. પણ તેમાં પણ અમુક વિસંગતતાઓ છે જેવી કે આંધ્ર અને રાજસ્થાનની પરિસ્થિતિઓ સાવ અલગ છે. સંસ્કૃતિ, સભ્યતા, સમાજ, પહેરવેશ સાથે જ પરંપરાને રાજનીતિક સોચ મામલે બંને પ્રદેશો સાવ અલગ છે. આંધ્ર પ્રદેશની જેમ રાજસ્થાનનું વિભાજન થયું નથી. આંધ્રની જેમ અહીં પહેલાથી કોઈ પ્રાદેશિક પક્ષનું વલણ રહ્યું નથી. કોંગ્રેસ અને ભાજપ એમ બે રાષ્ટ્રીય પક્ષોનું જ વર્ચસ્વ રહ્યું છે. સચિનને આ માટે બંને રાજકીય પક્ષો સાથે બાથ ભીડવી પડશે. જે માટે રેડ્ડી મોડેલનો જ સહારો બાકી બચે છે.
શું છે પ્રોબ્લેમ્સ?
ભારતના હિન્દી બેલ્ટનું રાજસ્થાન એક પ્રમુખ રાજ્ય છે. અહીં જાતીવાદી રાજકારણની બોલબાલા રહી છે. એ વાત સાચી કે સચિન પાયલોટ એક પ્રભાવશાળી નેતા છે. પરંતુ એ પણ સામે એટલું જ ખરું હતું કે અત્યાર સુધી તેઓ કોંગ્રેસના પ્રદશ અધ્યક્ષ હતાં. જેના હિસાબે તેમને એક રાષ્ટ્રીય પક્ષના રાજ્યના એકમનું નેતૃત્વ કરવાની તક મળી હતી. માટે લોકોના મનોપટલ પર સચિન એટલે કોંગ્રેસ એવી છબી અંકિત ચુકી છે. મિટાવીને સચિન એટલે માત્ર સચિન એવી છબી બનાવીને ઉપસાવીને એને વ્યાપક બનાવવાનો પડકાર રહેશે. સચીનને કોંગ્રેસ સિવાય ભાજપ સામે પણ ઝઝુમવું પડશે. પોતે જે ગુર્જર સમુદાયમાંથી આવે છે તેની વસ્તી રાજસ્થાનમાં કુલ આબાદીના 7 ટકા જેટલી માંડ છે. માટે માત્ર આટલી વસ્તીના ટેકા દ્વારા મુખ્યમંત્રી બની ન શકાય એ સત્યથી તો પાયલોટ પોતે પણ પરિચિત હશે જ. આ સિવાય રાજ્યના વિવિધ સમુદાયોનો ટેકો મેળવવા માટે તેમને તેમના આગેવાનોનો સપોર્ટ મેળવવો પડશે. જેમાં મોટાભાગના લોકો ભાજપ કે કોંગ્રેસ સાથે પહેલાથી જ જોડાયેલા છે. તેમને ખેંચીને પોતાની તરફ કરવા તે સચિન માટે આસાન નહિ રહે. આ સિવાય રાજ્યના યુવાનોનો પણ સાથ મેળવવો પડશે. જે માટે વિવિધ કેડર બનાવવી પડશે. ખુદ જગન રેડ્ડી એ રાજ્યના જાતિગત સમીકરણોને ઠેકાણે પાડવા પાંચ પાંચ નાયબ મુખ્યમંત્રીઓની નિમણુંક કરવી પડી છે. આમ સચિન માટે આગળની રાહ આસન રહે એવા એંધાણ બિલકુલ નથી.