ગુજરાતમાં મેઘો અનરાધાર વરસી રહ્યો છે અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓ એવા છે જ્યાં વરસાદે આફત સર્જી છે. ત્યારે હવામાન વિભાગે પણ હજુ ભારે વરસાદની આગાહી કરી છે .
ગુજરાતમાં ભારે વરસાદની આગાહી યથાવત
વલસાડ-નવસારીના અનેક વિસ્તારોમાં પૂર ઓસર્યા પણ નુકસાનીનો આંકડો કરોડોમાં
વલસાડમાં આવતીકાલે શાળા-કોલેજમાં રજા
ગુજરાતમાં વરસાદની આગાહી
રાજ્યમાં ભારે મેઘતાંડવ વચ્ચે આજે ફરી એકવાર હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આગામી તા. 16 જુલાઇ સુધી ગુજરાતના અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ ત્રાટકી શકે છે. તો બીજી બાજુ હવામાન વિભાગની આગાહીને લઈને દરેક જિલ્લામાં તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. જેને લઈ હવે આગામી 5 દિવસ સુધી દરિયો ન ખેડવા માછીમારોને સૂચન આપવામાં આવ્યું છે. આ સાથે લોકોને પણ સતર્ક રહેવા આપીલ કરવામાં આવી છે.
માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના
રાજ્યમાં ભારે વરસાદની આગાહીને લઈ તંત્ર પણ સજ્જ હોય તેમ જરૂર જણાએ ટીમો રેસ્ક્યૂની કામગીરીમાં યુધ્ધના ધોરણે લાગી જાય તેવું આયોજન ઘડી કાઢવામાં આવ્યું હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે. વરસાદી આફતને લઈને આગામી 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપી દેવામાં આવી છે.
સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતના આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
આજે તા. 15 જુલાઈને શુક્રવારના રોજ જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં ભારે વરસાદની શક્યતાને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે ભાવનગર, વલસાડ, પોરબંદર, રાજકોટ, કચ્છ, ભરૂચ, સુરત અને ડાંગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આવતીકાલે તા.16 જુલાઈએ અહી પડી શકે છે ભારે વરસાદ
16 જુલાઈ પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, મોરબી, જામનગર, વલસાડ અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ તરફ વરસાદી આફતને લઈને આગામી 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપી દેવામાં આવી છે.
વલસાડ શહેરમાં ઔરંગા નદીમાં અઠવાડિયામાં જ બે વખત પૂર આવતા વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. પૂરના પ્રકોપને કારણે અનેક દુકાનદારો પાયમાલ થયાં છે તો બજારોમાં પણ પાણી ઓસરતા તબાહીના દ્રશ્યો જોવા મળ્યા હતા. આ કપરી સ્થિતિનો તાગ મેળવવા માટે રાજ્ય સરકારના મંત્રી કનુભાઈ દેસાઈ વલસાડની બજારમાં પહોંચ્યા હતા અને વેપારીઓ સાથે વાતચીત કરી હતી.
વલસાડમાં શાળા-કોલેજો બંધ રહેશે
ભારે વરસાદની સ્થિતિ વલસાડમાં જોવા મળી રહી છે અને હવામાન વિભાગે આવતીકાલે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે ત્યારે શાળા-કોલેજો બંધ રાખવાનો સ્થાનિક કલેકટર દ્વારા આદેશ આપવામાં આવ્યો છે.
નવસારીની અંબિકા નદીમાં ઘોડાપૂર જેવી સ્થિતિ, રેસ્ક્યૂના ફિલ્મો જેવા દ્રશ્યો જોવા મળ્યા
અંબિકા નદીમાં ત્રીજી વખત ઘોડાપુર આવતાં સમગ્ર નવસારી જિલ્લો જળમગ્ન બન્યો છે. વાત કરીએ અંબિકા નદી તો તેની ભયજનક સપાટીથી ઉપર પર ગાંડીતૂર બનીને વહી રહી છે. જેનાં પગલે નવસારી જિલ્લાના છાપરા સહિત નદી કિનારાના અનેક ગામો બેટમાં ફેરવાયા છે.જેને લઈને છાપર ગામના લોકોની હાલત કફોડી બની જવા પામી હતી.
નવસારીની સ્થિતિની ખૂદ મુખ્યમંત્રીએ કરી સમીક્ષા
મોડી રાત્રે છાપર ગામના 19 લોકોનું સ્થળાંતર કરાયું
નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદથી તારાજી સર્જાઈ છે. અંબિકા નદીમાં ગાંડીતૂર બનતા શહેરમાં જળબંબાકારની સ્થિતિ બની છે. વરસાદી માહોલે આફત સર્જી છે. જેને કારણે સીધી અસર લોકોના જનજીવન ઉપર પડી છે. આકાશમાંથી આફતરૂપી વરસતા વરસાદે જનજીવન અસ્ત વ્યસ્ત કરી નાખ્યું છે. અત્યાર સુધી અંબિકા નદીના આસપાસ વસેલા નીચાણવાળા વિસ્તારોમાં અને ઘરોમાં પાણી ભરાતા ચિંતાજનક વાતાવરણ ઊભું થયું છે. જે ગામોમાં કદી પાણી ભરાતા ન હતા ત્યાં પણ હવે મુસીબત રૂપ પાણી જોવા મળી રહ્યુ છે. આમ અંબિકા નદી છાપર ગામ પાસે પોતાની ભયજનક સપાટીથી ઉપર રૌદ્રસ્વરૂપે વહેતાં સમગ્ર ગામમાં બેટમાં ફેરવાઈ ગયું હતું.જેને લઈને ગત મોડી રાત્રે 19 લોકોનું પોલીસ અને સ્થાનિક તરવૈયાની મદદથી સ્થળાંતર કરવામાં આવ્યું હતું.
બાળકીનું હેલિકોપ્ટરમાં કરાયું રેસ્ક્યૂ
લોકોને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા અપીલ
ઉલ્લેખનિય છે કે, હવામાન વિભાગની આગાહી બાદ તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. જેને લઈ લોકોને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા પણ જણાવાયું છે. વધુમાં વહેતા નદી નાળામાંથી પસાર ન થવું અને નદી-ડેમના પટ્ટમાં અવર-જવર ન કરવા પણ અપીલ કરવામાં આવી છે.