ત્રણ રાજ્યો પંજાબ, પશ્ચિમ બંગાળ અને કેરળના મુખ્યપ્રધાનોએ નાગરિકતા સંશોધન વિધેયક (કેબ)ને બંધારણની વિરુદ્ધનું ગણાવીને આ બિલને પોતપોતાના રાજ્યોમાં લાગુ નહીં કરવાની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આ બિલને મંજૂરી આપી દીધી છે. તેમની મંજૂરી બાદ હવે આ બિલ કાયદો બની ગયો છે.
પંજાબના મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિંદરસિંહે સીએબીને અયોગ્ય ગણાવ્યું
કેરળના મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયને કહ્યું છે કે, કેરળ સીએબીનો સ્વીકાર નહીં કરે
સીએબીથી ડરવાની જરૂર નથી : મમતા બેનરજી
પંજાબ કોઈ પણ સંજોગોમાં આ વિધેયકને મંજૂરી નહીં કરે
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પંજાબના મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિંદરસિંહે સિટીઝનશિપ એમેન્ડમેન્ટ બિલ (સીએબી) અને નેશનલ રજિસ્ટર ફોર સિટીઝન (એનઆરસી) બંનેને અયોગ્ય ગણાવ્યા હતા. કેપ્ટને કહ્યું હતું કે, પંજાબ કોઈ પણ સંજોગોમાં આ વિધેયકને મંજૂરી નહીં કરે, કેમ કે તે પણ એનઆરસીની જેમ જ લોકશાહીની ભાવનાની તદ્દન વિરુદ્ધ છે. તેમણે કહ્યું હતું કે , પંજાબમાં નાગરિકતા સંશોધન બિલ લાગુ કરવામાં આવશે નહીં.
વિજયને આ સંશોધનને ગેરબંધારણીય ગણાવ્યું
બીજી તરફ, કેરળના મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયને કહ્યું છે કે, કેરળ સીએબીનો સ્વીકાર નહીં કરે. વિજયને આ સંશોધનને ગેરબંધારણીય ગણાવતાં કહ્યું કે, કેન્દ્ર સરકાર ભારતને ધાર્મિક આધારો પર વિભાજિત કરવાનો પ્રયાસ કરી રહી છે.
પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજીએ સરકાર પર કર્યા હુમલા
દરમિયાન શરૂઆતથી જ નાગરિકતા સંશોધન બિલના ઉગ્ર વિરોધી રહેલાં પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજીએ ખડગપુરમાં કહ્યું હતું કે, મારા શાસનમાં આ બિલ રાજ્યના લોકો પર લાગુ નહીં પડે. સીએબીથી ડરવાની જરૂર નથી. અમે તમારી સાથે જ છીએ. જ્યાં સુધી અમે અહીં છીએ ત્યાં સુધી કોઈ આ બિલને તમારા પર લાદી શકશે નહીં.