નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટના નવા ચીફ જસ્ટિસ તરીકે જસ્ટિસ રંજન ગોગોઇની નિમણુંક કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જસ્ટિસ રંજન ગોગોઇના નામ પર નિમણુંકની મહોર મારી દિધી છે. હવે 3 ઓક્ટોબરના રોજ જસ્ટિસ રંજન ગોગોઇ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ તરીકે શપથ લઇ લેશે. હાલના ચીફ જસ્ટિસ 2 ઓક્ટોબરના રોજ નિવૃત્ત થાય છે. જસ્ટિસ રંજન ગોગોઇ આસામના વતની છે. હાલમાં તેઓ સુપ્રીમ કોર્ટમા વરિષ્ઠતાની દ્રષ્ટીએ બીજા નંબરના જજ છે.
તેમણે ગુવાહાટી હાઇકોર્ટથી કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમના પિતા કેશવચંદ્ર ગોગોઇ આસામના મુખ્યમંત્રી રહી ચુક્યા છે. જસ્ટિસ રંજન ગોગોઇ 12 ફેબ્રુઆરી 2011ના રોજ પંજાબ-હરિયાણા HCના ચીફ જસ્ટિસ બન્યા હતા. ત્યારબાદ 23 એપ્રિલ 2012ના રોજ સુપ્રીમ કોર્ટમાં તેમની નિમણુંક કરવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ બન્યા બાદ 17 નવેમ્બર 2019 સુધી તેઓ ફરજ પર રહેશે. ત્યાર બાદ નિવૃત્ત થઇ જશે. અનેક મોટા ચુકાદાની સાથે જસ્ટિસ રંજન ગોગોઇ હાલના CJI દીપક મિશ્રાનો મીડિયા સામે વિરોધ કરીને પણ ચર્ચામાં આવ્યા હતા. કેસની ફાળવણી અંગે ચાર જજોએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી.